અડાજણમાં ચૌહાણ પરિવારનું કારસ્તાન: ફાઇનાન્સ કંપનીમાં મોર્ગેજ ફ્લેટ વેચી વૃધ્ધ યાર્ન દલાલ પાસેથી 15 લાખ પડાવ્યા
Updated: Sep 14th, 2021
- લોન ભરપાઇન નહીં કરતા કંપનીની નોટીસ આવતા ભાંડો ફૂટયો, સોસાયટીના બોગસ શેર સર્ટિફિકેટ અને NOC તૈયાર કરી લોન લીધી હતી
સુરત
અડાજણના શિખર કોમ્પ્લેક્ષના ફ્લેટ ફાઇનાન્સ કંપનીમાં મોર્ગેજ હોવા છતા વૃધ્ધ યાર્ન દલાલને વેચાણ કરી 15 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર ચૌહાણ પરિવાર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે. લોન ભરપાઇ નહીં કરતા ફાઇનાન્સ કંપનીએ નોટીસ મોકલાવતા સમગ્ર હકીકત બહાર આવી હતી.
અડાજણના શિખર કોમ્પ્લેક્ષના ફ્લેટ નં. એ 102 માં રહેતા યાર્ન દલાલ રમેશચંદ્ર શંકરલાલ શાહ (ઉ.વ. 65) પર ગત દિવસોમાં એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) ની રૂ. 15 લાખની લોન ભરપાઇ મુદ્દે નોટીસ આવતા ચોંકી ગયા હતા. જેને પગલે દોડતા થયેલા રમેશચંદ્રએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ફ્લેટના મૂળ માલિક એવા હિતેશ જેઠાભાઇ ચૌહાણ, જમના જેઠાભાઇ ચૌહાણ, કેતન જેઠાભાઇ ચૌહાણ, ભાવના જેઠાભાઇ ચૌહાણ અને અલ્પા જેઠાભાઇ ચૌહાણે વર્ષ 2001 માં ફ્લેટની માલિકી અંગે શિખર કો.ઓ. હા. સોસાયટી દ્વારા આપવામાં આવેલા શેર સર્ટીફીકેટ નાનપુરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં રજૂ કરી લોન લીધી હતી. સ્ટેટ બેંકમાંથી લોન લીધી હોવા છતા વર્ષ 2007 માં ચૌહાણ પરિવારે શિખર કો.ઓ. હા. સોસાયટીના લેટરપેડનો દુરપયોગ કરી એલોટમેન્ટ લેટર, સોસાયટીની એનઓસી અને શેર સર્ટીફીકેટ પર સોસાયટી પ્રમુખના બોગસ સહી-સિક્કા કર્યા હતા. આ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) માંથી રૂ. 15 લાખની લોન લીધી હતી પરંતુ લોન આજ દિન સુધી ભરપાઇ કરી ન હતી. ઉપરાંત ફ્લેટ ભાવેશ સતીષચંદ્ર મોદીના નામે નોટોરાઇઝ કબ્જા સહિતનો વેચાણ કરાર કરી આપ્યો હતો અને ભાવેશ પાસેથી રમેશ પટેલ નામે પાવર લઇ તેના આધારે ફ્લેટ યાર્ન દલાલને વેચી દીધો હતો.