સુરતની ઓળખ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિરોધાભાસી સ્થિતી: GST ચાર્જમાં વધારનો ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિરોધ, હીરા ઉદ્યોગે વધારવા રજૂઆત કરી
Updated: Nov 24th, 2021
- રફ અને તૈયાર હીરા પર 0.25 ટકાનો જીએસટી વધારીને 1.50 ટકા હીરા ઉદ્યોગકારોએ રજૂઆત કરી
- કરોડોની જમા થયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મજરે મળી શકે તે માટે જીજેઇપીસીએ બજેટમાં જોગવાઇ કરવા માંગણી
સુરત
સુરતની ઓળખ ગણાતા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિરોધાભાસી સ્થિતીનું નિર્માણ થવા પામ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગમાં જીએસટી દરમાં 7 ટકાના વધારો કરવામાં આવતા ઉદ્યોગકારો આંદોલન શરૂ કરવાનું મૂડ બનાવ્યું છે જયારે હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન જીએસટી દરમાં વધારો કરવા માટે જીજેઇપીસીએ સામે ચાલીને રજૂઆત કરી આગામી બજેટમાં જોગવાઇ કરવા જણાવ્યું છે.
હીરા ઉદ્યોગમાં કાચા હીરા પર 0.25 ટકા અને તૈયાર હીરા ઉપર પણ 0.25 ટકા જીએસટી દર અમલી છે. ઉપરાંત હીરા ઉદ્યોગકારો જે સુવિધાઓ મેળવે છે તેમાં મુખ્યત્વે સર્ટિફીકેશન્સ પર 18 ટકા જીએસટી, બેક સર્વિસીઝ પર 18 ટકા અને લેબર ચાર્જ પર 5 ટકા જીએસટી દર અમલી છે. આ અંગે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે જુદી-જુદી સુવિધાઓ પર હીરા ઉદ્યોગકારોએ ચુકવેલો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે પરત મળે છે.
આ રીતે મોટી રકમની આઇ.ટી.સી હીરા ઉદ્યોગકારોના ખાતામાં જમા થઇ છે. આ આઇ.ટી.સી નો ઉપયોગ થઇ શકતો નથી. જેથી ખુદ હીરા ઉદ્યોગકારો વતી જીજેઇપીસીએ કેન્દ્રને રજૂઆત કરી હાલમાં કાચા હીરા અને તૈયાર હીરા બંને પર પર પ્રવર્તમાન 0.25 ટકા જીએસટીનો દર વધારીને 1.5 ટકા કરવામાં આવે અને આગામી બજેટમાં જોગવાઇ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જેથી હીરા ઉદ્યોગકારોને જમા આઇ.ટી.સી.ની મસમોટી રકમ મજરે મળી શકે.