સાબરમતી ટોલનાકા પાસે જીએસટી અધિકારીઓ સાથે ગેરવર્તન કરનાર 3 સામે ગુનો
Updated: Dec 8th, 2022
અમદાવાદ,તા.8 ડિસેમ્બર 2022,બુધવાર
જીએસટી અધિકારીઓ સાથે ગેરવર્તન કરનાર પિતા અને બે પુત્ર સહિત ત્રણ જણા સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મંગળવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીએસટી અધિકારીઓએ ઈ-વે બિલ વગર માલ લઈ જતી ટ્રક રોકી જમા લીધી હતી. આરોપીઓએ સાબરમતી ટોલનાકા ત્રણ રસ્તા પાસે ટ્રક રોકી અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.જીએસટી અધિકારીઓએ પિતા અને બે પુત્રોને સાબરમતી પોલીસ સ્ટેશને લાવી તેઓ સામે કાર્યવાહી કરી હતી.
ઈ-વે બિલ વગરનો ટ્રક કબ્જે લેતા પિતા અને બે પુત્રની અધિકારી સાથે દાદાગીરી
સેન્ટ્રલ જીએસટી કમિશનર કચેરી આશ્રમરોડ ખાતે સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા પ્રભાત નાગેન્દ્રપ્રસાદ સિંગએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહેસાણા જીલ્લાના પાંચોટ ખાતે રહેતાં ભરતભાઈ કેશરીમલ અગ્રવાલ અને તેમના બે પુત્ર કેતન અને સુમીત વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ ફરિયાદી મંગળવારે અન્ય સુપ્રિટેન્ડન્ટ મનીષ સતીષચંદ્ર સોનકર અને જીએસટી પીઆઈ સુખમીંદરસિંગ અંગ્રેજસિંગ સાથે હિમંતનગર ખાતે સર્ચ ઓપરેશન કરવા માટે ગયા હતા. કામ પતાવીને તેઓ પરત અમદાવાદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન હિમંતનગર ખાતે સફલ હોસ્પિટલ પાસે એક ટ્રક ઈ વે બિલ વગર પસાર થતી હોવાનું કમ્પ્યુટર પરથી જણાયું હતું. આ ટ્રક રોકીને ડ્રાઈવર લલીત દેસાઈ પાસે માલનું ઈ-વે બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. આથી, કાર્યવાહી કરી ટ્રક અમદાવાદ કસ્ટમ હાઉસ ખાતે લઈ આવવા ડ્રાઈવરને જણાવ્યું હતું. પ્રાંતિજ પાસે ડ્રાઈવર ટ્રક મુકીને ભાગી જતા અધિકારીઓએ બીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. તે સમયે સાબરમતી ટોલનાકા ત્રણ રસ્તા પાસે બ્રેજા કારમાં આવેલા ભરત અગ્રવાલ, સુમીત અને કેતને ટ્રકને રોકી ચાવી કાઢી લીધી તેમજ ડ્રાઈવરને જેમફાવે તેમ બોલતા હતા. આરોપીઓએ ફરિયાદી અને અન્ય અધિકારીઓને ધમકી આપી કે, તમારે ટ્રક લઈ જવાની નથી તેમ કહી ગેરવર્તન કરવા લાગ્યા હતા.