સુરતના ભેજાબાજે કેનેડા જવા ઇચ્છતા વડોદરાના ત્રણ વ્યક્તિઓ પાસેથી સાત લાખ પડાવ્યા
Updated: Sep 17th, 2020
વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
વડોદરા શહેરમાં કેનેડા જવા માંગતા ત્રણ ઇચ્છુંકો પાસેથી રૂપિયા સાત લાખ પડાવી લઇ નકલી વર્ક પરમિટ વિઝા અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવી છેતરપિંડી આચરનાર સુરતના ભેજાબાજ વિરૂદ્ધ નવાપુરા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
વડોદરા શહેરના સમા ગામમાં રહેતા ભદ્રેશભાઈ પંડ્યા કન્સલ્ટનસી વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને કારેલીબાગ ખાતે ઓફિસ ધરાવે છે. દરમિયાન નડિયાદના ગ્રાહક હીરાભાઈ પટેલ સાથે પરિચય થયો હતો.
તેઓએ જણાવ્યું હતું કે મૂળ નડિયાદનો રહેવાસી અને હાલમાં સુરતના ઉધના ખાતે રહેતો રાજેન્દ્ર કુમાર ઉમાશંકર પ્રસાદ વર્ક પરમિટ વિઝા આપવાનું કામ કરે છે.
જેથી ભદ્રેશભાઈએ કેનેડા જવા માંગતા તુષાર પટેલ, મિત્તલ ચાવડા અને હર્ષ મનોહરને રાજેન્દ્ર કુમારનો સંપર્ક કરાવ્યો હતો જ્યાં તેણે ટોકન પેટે ત્રણેવ પાસેથી 1.50 રોકડા લીધા હતા અને ત્યારબાદ તુષાર પટેલ પાસેથી 2 લાખ મિત્તલ ચાવડા પાસેથી 1.75 લાખ અને હર્ષ મનોહર પાસેથી રૂપિયા 76500 મળી વધુ 4,51,500 પડાવ્યા હતા. ત્યારબાદ નકલી વર્ક પરમિટ વિઝા એપોઇન્ટમેન્ટ લેટર બનાવી છેતરપિંડી આચરી હતી.