આરટીઇ પ્રવેશ પ્રક્રિયા હેઠળ 3 રાઉન્ડનું પરિણામ જાહેર
- ૨૪મી પહેલા શાળામાં જઇ પ્રવેશ મેળવવાનો રહેશે
- વાલીઓને એસએમએસ કરાયા : પ્રવેશ મેળવતા સમયે વાલીઓએ કોઇ પણ પ્રકારની ફી ભરવાની નથી
ભાવનગર, તા. 19 ઓક્ટોમ્બર 2020, સોમવાર
આરટીઇ પ્રવેશ પ્રક્રિયા હેઠળ આજે સોમવારે ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે અને વાલીઓને જાણ કરવામાં આવેલ છે તેથી સમય મર્યાદામાં શાળામાં વિદ્યાર્થીનો પ્રવેશ શાળામાં મેળવી લેવા જણાવેલ છે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રક્રિયના પ્રથમ તથા બીજા તબક્કાને અંતે જે બાળકોની અરજી જિલ્લાકક્ષાએ મંજુર થઇ હોય પરંતુ પ્રવેશ મળેલ ન હોય તેવા બાળકોના વાલીઓને ત્રીજા રાઉન્ડ માટે ગત તા.૧૫ થી ૧૮ ઓક્ટોબર સુધીમાં બાકી જગ્યાઓ પર શાળા પુનઃ પસંદગી કરવાની તક આપેલ હતી. ત્રીજા રાઉન્ડનું પરિણામ આજે તા.૧૯ ઓક્ટોબરના જાહેર થયેલ છે. પ્રવેશ મળનાર બાળકોના વાલીઓને તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર વડી કચેરી દ્વારા એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવેલ છે. જો કોઇ ટેકનિકલ કારણોસર એસએમએસ ન મળેલ હોય તો rte.orpgujarat.com પર જઇ અરજીની સ્થિતિ વિકલ્પ પસંદ કરી એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી અરજીની સ્થિતિ (આપને પ્રવેશ મળેલ છે કે નહીં તે) નક્કી કરી શકશો, જો પ્રવેશ મળેલ હોય તો સાઇટ પરથી એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર)ની પ્રિન્ટ લઇ આપે ફોર્મ ભરતા સમયે અપલોડ કરેલ તમામ આધાર પુરાવાઓનો એક સેટ અસલ તથા એક સેટ નકલ લઇ આગામી તા.૨૪-૧૦ પહેલા આપને ફાળવેલ શાળામાં જઇ પહોંચી શાળા પ્રવેશ અંગેની રિસીપ્ટ મેળવી પ્રવેશ નક્કી કરી લેવો. અન્યથા આપોઆપ આપનો પ્રવેશ રદ થઇ જશે. વધુમાં આપને ફાળવેલ શાળા આપે પસંદ કરેલ શાળાઓમાંથી જ વડી કચેરી દ્વારા વેબ પોર્ટલના માધ્યમથી ફાળવવામાં આવેલ હોય શાળા ફેરફાર શક્ય નથી તથા પ્રવેશ મેળવતા સમયે વાલીએ કોઇપણ પ્રકારની ફી ભરવાની થતી નથી તેમ ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જણાવેલ છે.