અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો
ઝુંડાલ સર્કલ પાસેની બીએમડબલ્યુ કારથી હીટ એન્ડ રનનો મામલો
કારચાલક યુવક પિતાનું નામ ઘનશ્યામ હેરમાઃ કોલ ડીટેઇલ અને મોબાઇલ લોકેશનના આધારે એલ ડીવીઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ,બુધવાર
શહેરના ઝુંડાલ સર્કલ પાસે થોડા દિવસ પહેલા એક બીએમડબલ્યુ કારના ચાલકે પુરઝડપે ચલાવીને ટક્કર મારતા બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ હજુપણ નાજુક છે. ત્યારે અકસ્માત કરનાર કારચાલક યુવકના પિતાનું નામ ઘનશ્યામ હેરમા હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. ત્યારે આ બાબત કારચલાવનાર યુવક અંગે પણ કેટલીક કડી મળી છે. જો કે એલ ડીવીઝન પોલીસનું કહેવુ છે કે હાલ આ અંગે પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ઇજાગ્રસ્ત યુવકના પરિવારના નિવેદન બાદ કાર્યવાહી કરવામાં આવશે.
સાબરમતી ગણેશ સોપાન ફલેટમાં રહેતા ૩૪ વર્ષીય યાજ્ઞાીક સુથાર ગત ૧૧મી સપ્ટેમ્બરના રોજ રાતના બાઇક પર ઝુંડાલ સર્કલ પાસે સર્વોતમ હોટલ પાસેથી પસાર થતા હતા. ત્યારે સામેથી આવી રહેલી બીએમડબલ્યુ કારના ચાલકે યાજ્ઞાીકભાઇના બાઇકને ટક્કર મારતા તે નીચે પટકાયા હતા. જેમાં તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ કારચાલક યુવક ત્યાં કાર મુકીને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ યાજ્ઞાીકભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં હાલ તેમને તબીબે સારવાર માટે વેન્ટીલેટર પર રાખ્યા છે.
આ અંગે ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ જણાવ્યું કે હોસ્પિટલમાં ઘનશ્યામભાઇ હેરમા નામના વ્યક્તિ મળવા માટે આવ્યા હતા. ઘનશ્યામભાઇએ તેમને જણાવ્યું હતું કે બીએમડબલ્યુ કાર તેમનો પુત્ર ચલાવતો હતો અને તેણે અકસ્માત કર્યો છે. જો કે કોઇ મદદની જરૂર હોય તો કહેજો. ત્યારબાદ તે હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ યાજ્ઞિાકભાઇના પરિવારજનોએ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મિડીયા પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘનશ્યામભાઇ હેરમાનો પુત્ર સત્યજીતનો અકસ્માત કરનાર કાર સાથેનો ફોટો હતો. આ ઉપરાંત, અકસ્માત સ્થળે પણ સ્થાનિક લોકોએ એક યુવકને જ ત્યાંથી નાસતો જોયો હતો.
ત્યારે આ અંગે એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ ડી પટેલે જણાવ્યું કે આ અંગે મંગળવારે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં હાલ બીએમડબલ્યુ કારની માલિકી ગાંધીનગર જિલ્લાના જાખારોમાં રહેતા અશોક ડોબરિયાની છે. ત્યારે અકસ્માત મામલે હોસ્પિટલમાં મળેલા વ્યક્તિની પણ તપાસ કરવામાં આવશે. જેના આધારે તમામ બાબતોને આધારે કાર્યવાહી થશે.