વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પૂરી થયા બાદ સુરત પાલિકામાં વિકાસના કામો ધમધમશે
Updated: Dec 4th, 2022
વિકાસના કામોને વધુ વેગ આપવા પાલિકા કમિશ્નરે કરી રિવ્યુ બેઠક : આચાર સંહિતા બાદ રિવઝન આકારણીના બિલ ઈસ્યુ કરવા આપી સુચના
સુરત, તા. 04 ડિસેમ્બર 2022 રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે સુરત પાલિકા તંત્રની કામગીરી સઘન બનાવવા માટે કવાયત શરૂ કરી છે. પાલિકાના બજેટમાં કરવામા આવેલી જોગવાઈનો મહત્તમ ઉપયોગ થાય અને વિકાસની કામગીરીને વેગ મળે તે માટે સુરત મ્યુનિ. કમિશ્નર દ્વારા બજેટની રિવ્યુ બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી વધુ સારી થાય તે માટે પણ હાલથી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આચારસંહિતા નો અમલ પુરો થાય કે તરત જ રિવિઝન આકારણીના બિલ માટે કામગીરી કરવા સાથે વિકાસના કામોની ગતિ વધુ તેજ થાય તે માટે સુચના આપી છે.
સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે આગામી માસમાં પાલિકાનું વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટ રજુ કરવા માટે તૈયારી કરી દીધી છે. પાલિકા કમિશનરે આ માટે તમામ ઝોનના અને વિભાગના અધિકારીઓની એક બેઠક કરી હતી. બજેટ પ્રોજેક્ટ માટે રિવ્યુ બેઠકમાં વિવિધ માહિતી મેળવવામાં આવી હતી. બજેટમાં રહેલી જોગવાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે પાલિકા કમિશ્નરે તાકીદ કરી છે.
આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટના કામ જે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે તે બજેટના કામો સમયસર પૂર્ણ થાય તે માટે આયોજન કરવા માટે તૈયારી કરવા માટે સુચના આપવામાં આવી છે. પાલિકા કમિશ્નરે તમામ ઝોનલ ચીફ, વિભાગીય વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી અને તેમાં સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં છેલ્લા કેટલાક વખતથી સુરત બીજા નંબરે આવે છે તેને પહેલા નંબરે કઈ રીતે લાવી શકાય તે માટે આયોજન કરવા માટે તાકીદ કરી તી. સ્વચ્છ ભારત સર્વેક્ષણ માટે વિવિધ કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગને સુચના આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત ટીપી સ્કીમ હેઠળ સુરતમા જે કામગીરી થઈ રહી છે. તે કામગીરી હેઠળ રસ્તા ખોલવા માટેની કામગીરી પણ ઝડપી થાય તે માટે આયોજન કરવા સુચના આપી દીધી છે. સુરત શહેરમાં વિવિધ સોસાયટીના રસ્તાના કારપેટ રી કારપેટની કામગીરી કરવાની છે તે કામગીરી ને બદલે સોસાયટીમાં સીસી રોડની કામગીરી થઈ શકે કે કેમ તે માટે પણ રિવ્યુ માગ્યો છે.
આ ઉપરાંત પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત એવા મિલકત વેરા અને વિવિધ વેરાની વસુલવા માટે ખાસ કામગીરી થાય તેવી સૂચના આપી છે. વિધાનસભાની ચૂંટણીની મતગણતરી બાદ આચારસંહિતા ઉઠી જશે ત્યાર બાદ આકારણીના રિવિઝન બિલની કામગીરી ત્વરિત કરવા માટે પણ સુચના આપી છે.