ચાંદખેડાના દેવપ્રયાગ ચાર રસ્તા પાસે વ્યાજે લીધેલા રૂપિયાનો હિસાબ ચુકતે કર્યા બાદ યુવક પર હુમલો
Updated: Jan 25th, 2023
અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર
ચાંદખેડાના કોટેશ્વર રોડ પર દેવપ્રયાગ ચાર રસ્તા પાસે સાત દીવસ અગાઉ વ્યાજખોરોએ યુવક પર લાકડીઓ અને પાઈપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને બંને પગ, જમણા હાથ અને આંગળીમાં ફ્રેકચર થયા હતા. યુવકે હિસાબ ચુકતે કર્યા બાદ આરોપીઓએ વધુ રૂપિયાની માંગ કરી કોર્ટમાં કેસ કર્યો હતો. જે બાબતે યુવકે વાત કરતા આરોપીઓ ઉશ્કેરાયા હતા.
હિસાબ પુરો થયા બાદ આરોપીએ કોર્ટ કેસ કર્યો : યુવકને પગ, જમણા હાથે ફ્રેકચર થતા ફરિયાદ
ભાટ ગામમાં કોટેશ્વર રોડ પર જિર્કોન કલાસીસમાં ભાડાના મકાનમાં રહેતાં નિખિલ જયેન્દ્ર વ્યાસ (ઉં,૩૬)એ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લક્ષ્મણભાઈ દેસાઈ, કુશ જયરામભાઈ દેસાઈ, અનિલ પોપટ ભરવાડ સહિત ચાર જણા સામે ફરિયાદ કરી છે. જે મુજબ આરોપીઓને હિસાબ ચુકતે કર્યા બાદ પણ અનિલ ભરવાડે તેની પાસે રહેલો ફરિયાદીનો ચેક બેંક ખાતામાં ભરાવ્યો હતો. આ ચેક રિર્ટન થતાં કોર્ટમાં કેસ કર્યો હતો. ઘરે બેઠા ઓટો કન્સલ્ટન્ટનો વેપાર કરતા ફરિયાદીની અગાઉ નરોડા ખાતેની ઓફિસે આરોપીઓ આવતા હતા. તે સમયે ફરિયાદીના મિત્ર માધાભાઈ આહિરને પૈસાની જરૂર હોઈ ધાર્મિક પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આ પૈસા બાબતે ધાર્મિક ફરિયાદી પાસે વ્યાજ માંગતો હોઈ નિખિલભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે અંગે સમાધાન થતાં હાઈકોર્ટમાં કવોશિંગ કરાવ્યું બાદમાં ધાર્મિકના પૈસા અનિલ પાસેથી લઈ ફરિયાદીએ ચુકવ્યા હતા. તે પછી ફરિયાદીએ અનિલ ભરવાડને પણ પૈસા ચુકવી દીધા હતા. જો કે, તેની પાસે ફરિયાદી નિખિલનો ચેક હોવાથી તે અનિલે બેંકમાં ભરાવતા રિર્ટન થયો હતો.આ અંગે અનિલે કોર્ટમાં કેસ કરતા નિખિલે ફોન કરી અનિલને જણાવ્યું કે, હિસાબ પતી ગયો પછી આવું કયાં કરવાની જરૂર હતી. અનિલે કોર્ટમાં તારે જવાબ આપવાનો તેમ જણાવ્યું હતું. ગત તા.૧૭મી જાન્યુઆરીના રોજ રાત્રે ફરિયાદી નિખિલ દેવપ્રયાગ ચાર રસ્તા પાસે મસાલો ખાવા પાન પાર્લર પર ગયો હતો. તે સમયે ફોર્ચ્યુનર કારમાં આવેલા ધાર્મિક, અનિલ સહિતના આરોપીઓએ આવી લાકડીઓ અને પાઈપથી હુમલો કર્યો હતો.