સ્ટુડન્ટ વિઝા પર લંડન જતો મહેસાણા જિલ્લાના ખેરવાનો યુવાન ભોગ બન્યો
- જિલ્લાના ગોસ્વામી પરિવારે એકનો એક દિકરો ગુમાવ્યો
- ઓટોમોબાઈલના અભ્યાસક્રમ માટે રવાના થયો હતો : શોકાતૂર પિતા અને દાદા ડીએનએ ટેસ્ટ માટે અમદાવાદ ખાતે પહોંચ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી ૨૪૨ મુસાફરોને લઈને લંડન જવા રવાના થયેલું એર ઈન્ડીયાનું વિમાન થોડેક જ દૂર જતાં શહેરના મેઘાણીનગરમાં ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં ૨૫૦થી વધુ લોકોના મોત થયા હતા. આ કરૂણાંતિકામાં ં ઉત્તર ગુજરાતના ૨૦ મુસાફરોનો સમાવેશ થાય છે. જેમાં મહેસાણા તાલુકાના ખેરવા ગામના સંકેતગીરી અતુલગીરી ગોસ્વામી (૧૯ વર્ષ) નો પણ નાનકડી ઉંમરમાં જીવનદીપ બુઝાયો છે. જાણવા મળતી હકિકત પ્રમાણે, સંકેતને ઓટોમોબાઈલનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે યુકેનો સ્ટુડન્ટ વિઝા મળ્યો હતો. જેથી પોતાના દિકરાની ઉજ્જવળ કારકિર્દી બનશે તેની આશાએ પરિવાર આનંદવિભોર બન્યો હતો. આ યુવાનના વિદેશાગમનની ખુશીમાં આગલા દિવસે ખેરવામાં તેના ઘરે સબંધીઓ સાથે જમણવાર રાખવામાં આવ્યો હતો. જયાં પરિવારના લોકોએ તેને આશિર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સંકેતને મુકવા માટે ગુરૂવારના રોજ સવારે પરિવારના સભ્યો અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા. અહીં પોતાના એકના એક દિકરાને વિદાય આપ્યા બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા અને લંડન જવા પોતાનો પુત્ર જે વિમાનમાં સવાર થયો હતો તે ક્રેશ થયો હોવાની જાણ થતાં તેઓના માથે આભ ફાટી ગયું હતું.અંતરંગ સુત્રોએ જણાવ્યા પ્રમાણે, ભોગ બનેેલા યુવાનના પિતા અને દાદા ડીએનએ ટેસ્ટ માટે અમદાવાદ પહોંચ્યા છે.