વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ
Vadodara Misdemeanor Case : મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા ટેબલ હટાવવા બહાને સગીરાને ઘરમાં બોલાવી હતી. ત્યારબાદ સગીરા સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરાએ નરાધમનો પ્રતિકાર કર્યો હતો અને હાથ પર બચકુ ભરી નરાધમના ચુંગાલમાં છુટીને પોતાના ઘરે ભાગી ગઇ હતી. માતાપિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મકરપુરા ડેપોની પાછળ પસાર થઈ રહેલી સગીરાને ટેબલ હટાવવાના માટે મદદ જોઈએ છે તેમ કહી સગીરાને બોલાવી 23 વર્ષીય યુવકે તેનો હાથ પકડીને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. સગીરાએ તેનો પ્રતિકાર કર્યો છતાં સગીરા સાથે યુવકે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. 17 વર્ષીય સગીરા યુવકના હાથ પર બચકું ભરી તેની ચુંગાલમાંથી છુટી પોતાને બચાવીને ભાગી તેના ઘરે પહોંચી ગઇ હતી. સગીરાએ તેની સાથે બનેલી ઘટના બાબતે માતા પિતા સહિતના પરિવારના સભ્યોને જાણ કરી હતી. ત્યારે પરિવાર સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી સગીરાના પરિવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જય વ્યાસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી જય વ્યાસ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. વર્ષ 2019માં પાદરાના ચાણસદ ગામે પોતાના ધર્મની માનેલી બહેનને કામ છે તેમ કહી બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરાએ ઇનકાર કર્યો હતો. જેથી જય વ્યાસ રોષે ભરાયો હતો અને સગીરા પર હથોડી તથા કુહાડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને ગોદડીમાં લપેટીને પાદરાના ચાણસદ ગામના તળાવમાં ફેકી દીધી હતી. જેમાં આરોપી જય વ્યાસ સગીર હોય તેના માતા પિતાની ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.