ધાવા ગીરમાં દીકરીની હત્યા કરનાર પિતા સહિત બેને આજે રિમાન્ડ માટે રજૂ કરાશે
Updated: Oct 14th, 2022
ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે સુરત પહોંચી આરોપીની સુરત રહેતી બહેન સહિતના કુટુંબીજનોની પૂછપરછ : અમુક શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા
તાલાલા, : તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે 14 વર્ષિય દીકરીને વડગાડ ઉતારવા તાંત્રિક વિધિના બહાને અમાનુષી અત્યાચાર ગુજારી મોતના ઘાટ ઉતારનાર પિતા તથા મોટા બાપુની ધરપકડ બાદ પોલીસ દ્વારા બંને આરોપીઓને રીમાન્ડ માટે તાલાલા કોર્ટમાં તા.૧પ મીના રજૂ કરાશે. દરમિયાન સુરત ખાતે રહેતી આરોપીઓની બહેન તથા અન્ય કુટુંબીજનોની પૂછપરછ હાથ ધરાઈ છે તથા અમૂક શખ્સોને રાઉન્ડઅપ કરાયા છે.
તાલાલાના ધાવા ગીર ગામે 14 વર્ષિય ધૈર્યા નામની તરૂણી ઉપર વળગાડ ઉતારવા તાંત્રિક વિધિના બહાને અમાનુષી અત્યાચાર ગુજારી તેના પિતા ભાવેશ અકબરી તથા મોટા બાપુ દિલીપ અકબરીએ મોતને ઘાટ ઉતારતા બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ બનાવનું સત્ય બહાર લાવવા પોલીસ દ્વારા બંને આરોપીઓને તા. 15 ના તાલાલા કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરાશે.
સમગ્ર રાજયમાં હાહાકાર મચાવનાર આ બનાવ પાછળ શું કારણ છે. તેની તપાસ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક હાથ ધરાઈ છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી છે તથા આરોપી શખ્સોની બહેન તથા અન્ય કુટુંબીજનોની પૂછપરછ હાથ ધરાઈ છે.
જયારે આરોપી પિતા અમુક તાંત્રિક શખ્સોના સંપર્કમાં હોવાનું જાણવા મળતા તે અંગે પણ તપાસ હાથ ધારી અમુક શખ્સોને રાઉન્ડઅપ કરાયા છે. તથા તેમની પૂછપરછ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન મહત્વની કડી મળશે તો પોલીસ આ હત્યા કેસમાં તેમની પણ ધરપકડ કરાશે.