બ્રહ્માસ્ત્રમાં રણબીરે મંદિર નહીં દુર્ગા પંડાલમાં શૂઝ પહેરી રાખ્યાનો બચાવ
Updated: Jun 20th, 2022
- બોયકોટ બ્રહ્માસ્ત્ર ટ્રેન્ડ થતાં મેકર્સ દ્વારા ખુલાસો
- ડાયરેક્ટરના દાવા અનુસાર પંડાલમાં શૂઝ પહેરી શકાય, ભારતીય સંસ્કૃતિનું પૂરેપુરું માન જાળવ્યાની સ્પષ્ટતા
મુંબઈ : બ્રહ્માસ્ત્ર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં રણબીર કપૂરને શૂઝ પહેરીને મંદિર જેવી જગ્યામાં ફરતો દેખાડાયોનો વિવાદ શરુ થયો હતો. હિંદુ સંસ્કૃતિના અપમાન મામલે બોયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ પણ શરુ થઈ જતાં આખરે હાંફળાફાંફળા બનેલા મેકર્સ દ્વારા રવિવારે આ મુદ્દે ખુલાસો પ્રગટ કરાયો છે કે રણબીરે મંદિર નહીં પણ દુર્ગા પંડાલમાં શૂઝ પહેરી રાખ્યા છે અને એ કોઈ વાંધાજનક બાબત નથી.
ે બ્રહ્માસ્ત્રનું ટ્રેલર થોડા દિવસો પહેલાં રિલીઝ થયું છે. તેમાં રણબીર કપૂરને શૂઝ સાથે મંદિર જેવી જગ્યામાં પ્રવેશતો દેખાડાયો છે. આ સીનની નેટિઝન્સ દ્વારા ગંભીર નોંધ લેવાઈ હતી અને તેના માટે બ્રહ્માસ્ત્રના સર્જકોને ટ્રોલ કરવાના શરુ કરી દેવાયા હતા. હિંદુ માયથોલોજી પર આટલાં મોટાં બજેટની ફિલ્મ બનાવી છે પણ આટલી સાદી વાતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો નથી એ બાબતે લોકોએ ભારે ઝાટકણી કાઢી હતી. ટ્વિટર પર બોયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ પણ શરુ થઈ ગયો હતો.
કોઈપણ પ્રકારનો ધાર્મિક બેકલેશ ટાળવો છેવટે દિગ્દર્શક અયાન મુખરજીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર એક સ્પષ્ટતા પ્રગટ કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે રણબીરને જ્યાં શૂઝ સાથે દેખાડાયો છે એ કોઈ મંદિર નથી પરંતુ દુર્ગા પૂજાનો પંડાલ છે. અયાને એમ પણ કહ્યું હતું કે દુર્ગા પુજાના પંડાલમાં તો લોકો શૂઝ પહેરી જ રાખતા હોય છે. તેણે કહ્યું હતું કે અમારો પરિવાર ૭૫ વર્ષથી દુર્ગા પુજાના આયોજન સાથે સંકળાયેલો છે. મને નાનપણથી ખબર છે તે પ્રમાણે પંડાલમાં તો શૂઝ પહેરી જ શકાય છે. છેક મંચ પાસે જ્યાં માતાજીની પ્રતિમા હોય ત્યાં પગરખાં કાઢવાના હોય છે.
આ ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસનો પૂરેપૂરો આદર જાળવવામાં આવ્યો હોવાનો બચાવ પણ તેણે કર્યો હતો.
જોકે,ટ્રેલરમાં બીજી કેટલીક વિસંગતતાઓ તરફ પણ લોકોએ ધ્યાન દોર્યું છે. એક જગ્યાએ અમિતાભ બચ્ચન રણબીરનો પરિચય કરાવતાં તેને સિકંદર સાથે સરખાવે છે. હિંદુૂ માયથોલોજી આધારિત પિક્ચરમાં સિકંદર સાથે સરખામણી કેવી રીતે થઈ શકે તેવો સવાલ પણ લોકોએ ઉઠાવ્યો છે.