વહેમ...અંધશ્રધ્ધા મુડદાલપણાના ચિહ્નો છે જે અધઃપતન કરાવે છે: સ્વામી વિવેકાનંદ
Updated: Jun 30th, 2021
કો રોનાની મહામારીના ભીષણ તાંડવ સામે સમસ્ત વિશ્વ એક થઇ, પ્રચંડ પુરુષાર્થ કરી, જરૂરી ઉપાયો શોધી, કામિયાબ થતું જાય છે... ત્યારે... ખાસ કરીને આપણા દેશમાં રસી મૂકાવવા બાબતે વહેમ અંધશ્રધ્ધા જેવી ક્ષુદ્ર બાબતો, મહામારી સામે લડવાના આપણા પુરુષાર્થમાં અવરોધો ઊભાં કરે છે. ત્યારે, થાય છે કે વિશ્વ, મંગળ ચંદ્ર સુધી પહોંચી, અવનવાં વૈજ્ઞાાનિક રહસ્યો ખોલવા પ્રયત્ન કરી રહ્યું છે તેવા વૈજ્ઞાાનિક યુગમાં, અંધશ્રધ્ધાના આપણે હાથા બની, મુડદાલપણાનાં દર્શન કરાવીએ, એ કેટલું વાજબી છે ?
''વહેમ-અંધશ્રધ્ધા''માં ફસાઈ ન જઇએ તે માટે ''સ્વામી વિવેકાનંદજીના'' વિચારો ઉપર ચિંતન કરી, માનસિક તાકાત વધારવા જેવી છે.
સ્વામી વિવેકાનંદજી ''વહેમ-અંધશ્રધ્ધા'' વિષે કહે છે કે: -
''જો મગજમાં વહેમ અને અંધશ્રધ્ધા ઘૂસે તો, જિંદગી અધોગતિએ જાય છે. આ બંનેથી અળગા રહો. ચમત્કારોની ઘેલછા અને વહેમીપણું, એ હમેશાં મુડદાલપણાનાં ચિહ્નો છે. અધઃપાત અને મોતની નિશાની છે.
આવા વહેમોમાં જ મનુષ્યો પોતાનું જીવન બગાડે છે. આપણામાં કેટલાય વહેમો અંધશ્રધ્ધા, ઘર કરી ગયાં છે. તેનાથી આપણા દેશમાં સમાજ ઉપર ઘમાં (વહેમો અંધશ્રધ્ધાને) જ્ઞાાન, સમજ, વિવેકરૂપી નસ્તર મૂકીને, કાપી કાઢીને આપણે નાશ કરવાનો છે. વહેમોનાં આ કાળાં ધાબાં જેમ બને તેમ વહેલાં કાઢી નાખવામાં આવે તે જરૂરી છે. તો જ આપણો પ્રભાવ ઝળકી ઊઠશે. કોઇપણ ભોગે આંધળા વહેમોનો ત્યાગ કરવો પડશે જ. ગામડામાં તો એકેએક વહેમ 'વેદવાક્ય' મનાય છે. એવી ગામડાંની મુડદાલ મનોદશા છે. આપણે વહેમ અંધશ્રધ્ધામાં માની, ''મૂર્ખ'' બનવાનું નથી.
સૈકાઓથી વહેમો - અંધશ્રધ્ધાને આપણે છાતીએ વળગાળતા આવ્યા છીએ. એવા સેંકડો વહેમોને દેશમાંથી ઉખેડી કાઢીને ફેંકી દેવા જોઇએ. જેથી તે કાયમ માટે દફનાઈ જાય. વહેમ-અંધશ્રધ્ધા પ્રજાની અધોગતિનાં કારણો છે. એનાથી મગજ બહેર મારી જાય છે. મગજ ઉચ્ચ અને ઉમદા ભાવનાઓનો વિચાર કરી શક્તું નથી. મૌલિકતાઓની સર્વ શક્તિઓ ખોઈ બેસે છે. 'જોમ' ચાલી જાય છે.
- લાભુભાઈ ર. પંડયા