સંત પાસે તો વિવેક દ્રષ્ટિ હોવી જોઇએ
Updated: Jun 30th, 2021
સં ત હસન સાંજના સમયે નદી કિનારે ફરી રહ્યા હતા. તેમણે જોયું તો સાંજના આછા અંધકારમાં નદી કિનારે એક વૃક્ષ નીચે એક પુરુષ તથા એક સ્ત્રી, એકબીજા સાથે હળીમળીને વાતો કરી રહ્યાં છે. પુરુષ મોટેથી હસી રહ્યો છે તેના હાથમાં એક બોટલ પણ છે. સંતે તેને કહ્યું ઃ 'દુષ્ટ ! આ સંધિકાળમાં તને દુરાચાર કરવાનું સૂઝે છે ? છોડી દે આ કુસંગ !'
એવામાં નદીમાં એક નાવ ઊંધી પડી. નાવમાં બેઠેલા યાત્રાળુઓ ડૂબવા લાગ્યા. એવામાં પેલો યુવક નદીમાં કૂદી પડયો. અને ડૂબી રહેલા બધા માણસોને કિનારે ખેંચી લાવ્યો. સંત હસને આ જોઈ રહ્યા. તેમણે કલ્પના પણ નહોતી કરી કે આ માણસ આટલો દયાળુ હશે. એટલામાં પેલા યુવકે સંત હસનને પ્રણામ કરી કહ્યું : 'એકદમ કોઇની નિંદા કે પ્રશંસા ન કરો. પેલા વૃક્ષ નીચે બેઠી છે એ મારી બહેન છે, તે બીમાર છે. એને હું દવા પિવડાવી રહ્યો હતો. અને એના દુઃખી વિચારોને બદલવા હસાવી રહ્યો હતો. પરંતુ તમે કોણ જાણે શું સમજી બેઠા ? તમારા જેવા સંત પાસે તો વિવેકદ્રષ્ટિ હોવી જોઇએ.'
સંત વિચારવા લાગ્યા કે પૂરી વાત જાણ્યા વગર કોઈ અભિપ્રાય બાંધી લેવો એ ભૂલ છે અને એવી ભૂલ સુધારી લેવી જોઇએ.
- કનૈયાલાલ રાવલ