માણસે પોતાના સત્યને જાણીને ચાલવું .
Updated: Jan 18th, 2023
- કર્મના ફળના ત્યાગથી સત્વ શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ થાય પછી જ્ઞાાનની પ્રાપ્તિ થાય ત્યાર પછી જ આ રીતે સર્વ કર્મનો ત્યાગ એટલે પરમાર્થ જીવન જીવવાની જ કાયમી શાંતિ અને સુખ ઉપલબ્ધ જીવનમાંથી જ થાય છે.
માણસે પોતાના જ આત્મિક સત્યને જાણીને જ આંતરિક શુદ્ધ સત્ય સ્વરૂપ થઈ શુદ્ધ ભાવના યુક્ત થઈને જ જીવનમાં ચાલવું જોઈએ, અને અનાસકત ભાવમાં સ્થિર થઈને કર્મો અંતરના કર્તા ભાવથી મુક્ત થઈને એટલે કે હું કર્મ કરું છું, એવા અંતરના ભાવથી મુક્ત થઈને મારી પોતાની પ્રકૃતિ મારી પાસે કર્મો કરાવે છે, એટલે કે પરમાત્મા મારી પાસે કર્મો કરાવે છે, એવા અંતરના શુદ્ધ આંતર ભાવમાં સ્થિર થઈને અને અહંકારથી મુક્ત થઈને ફળની આશા અપેક્ષા અને તૃષ્ણા છોડીને જિંદગી ભર કર્મો કરવા જોઈએ. આજ પરમ શાંતિ અને સુખ જીવનભર પ્રાપ્ત કરવાનો આધ્યાત્મિક સત્યનો માર્ગ છે.
આ રીતે થતાં કર્માેમાંથી ફળની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં મનનું સંતુલન કરી, સમતા ધારણ કરીને એટલે કે જીવનમાં નિર્ગુણ સાંખ્ય બુદ્ધિ, સગુણ યોગ બુદ્ધિ એટલે અનાસક્તિ યુક્ત નિસ્વાર્થતા અંતરથી ધારણ કરી કર્મ કરનારો માણસ આ રીતે ફળની આશા અપેક્ષા તૃષાણથી મુક્ત મનવાળો માણસ જ પોતાના જીવનમાં શાશ્વત શાંતિ મેળવે જ છે અને સાથે મુક્તિ પણ મેળવે જ છે અને કર્મમાંથી ફળ પણ સારું મેળવે છે, તે લાભમાં રહે છે.
આમ કર્મના ફળના ત્યાગથી સત્વ શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ થાય પછી જ્ઞાાનની પ્રાપ્તિ થાય ત્યાર પછી જ આ રીતે સર્વ કર્મનો ત્યાગ એટલે પરમાર્થ જીવન જીવવાની જ કાયમી શાંતિ અને સુખ ઉપલબ્ધ જીવનમાંથી જ થાય છે. માનવ જીવનના દરેક સુખ પર દુખનો પડછાયો હોવાનો જ પણ પરમ જ્ઞાાન અને મોક્ષ પર દુખનો પડછાયો પણ હોતો નથી એટલે જ્ઞાાન પ્રાપ્ત કરવું એજ જીવનમાં કાયમી સુખ અને શાંતિ ઉપલબ્ધ કરવાનો આત્મિક સત્યનો માર્ગ છે.
આમ કાયમી સુખ કે કાયમી દુ:ખની મુક્તિ સાથે જીવન જીવવા માટે જ આપણને માનવ જીવન મળેલ છે. આજ આપણો સ્વભાવ છે, સ્વ સ્વરૂપ છે, સ્વધર્મ પણ છે, એટલું જાણો જીવનમાં આનો અર્થ કમાવું નહીં એવું નથી કે સંસાર છોડી ભગવા ધારણ કરવું એવું તો નથી જ પણ માત્રને માત્ર જીવનમાં આ રીતે આત્મિક સત્ય સ્વરૂપ જાગૃતતા પ્રાપ્ત કરીને પોતાની જ પ્રજ્ઞાામાં સ્થિર થઈને જાગૃતિપૂર્વક અનાસક્ત ભાવમાં સ્થિર થઈને પોતાના જ સત્યના આધારે જીવવાનું છે.
જીવનમાં માત્રને માત્ર અંતરનો આંતરિક ભાવ બદલીને અનાસકત ભાવે કર્મ કરવાના છે અને જે ફળ મળે તેમાં પણ પ્રાપ્તિ, અપ્રાપ્તિમાં મનનું સંતુલન ધારણ કરીને એટલે કે સમતા ધારણ કરીને તેનો સ્વીકાર કરીને તેનો જીવનમાં ઉપયોગ કરવાનો છે, આજ શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે.
આ અનાસકત ભાવના ધોરણે કર્મ કરીને મિલકત ધારણ કરો મૂડી એકઠી કરો પણ તેની ઉપર મોહ અને મમતા રાખો નહીં, આસક્તિથી મુક્ત થાવ આટલું જ કરવાનું છે. આમ કરવાથી કાયમી શાંતિ અને સુખ માટે ટુંકમાં ચિત્તને પદાર્થની પકડથી મુક્ત કરો, અને પ્રસન્ન ચિત્તે જીવ એજ જીવન છે, જે દુખથી મુક્ત થવાનો સત્યનો માર્ગ છે.
(ક્રમશ :)
- તત્વચિંતક વિ પટેલ