દબાણ દૂર કરવા સુરત પાલિકા કતારગામની કામગીરીને રોલ મોડલ બનાવી શકે
Updated: Jan 24th, 2023
- શહેરના ચૌટા બજાર અને રાજમાર્ગ પરની દુકાન બહારના દબાણ દૂર કરવા મૂર્હત ની જરૂર છે?
- કતારગામ માં દબાણ માટે જવાબદાર દુકાનદાર સામે કાર્યવાહી કરી તેવી કામગીરી ચૌટા બજારમાં કરવા માંગણી
સુરત,તા.24 જાન્યુઆરી 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં દુકાનો બહાર કરવામાં આવેલા દબાણ દૂર કરીને ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી છે. કતારગામમાં દબાણ કરી ન્યુસન્સ ઊભો કરતા દુકાનદારો સામે જે કાર્યવાહી થઈ એવી જ કામગીરી શહેરના ચૌટા બજાર સહિત તમામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાના કતારગામ જોન દ્વારા દબાણ દૂર કરવા માટે અનોખી કામગીરી શરૂ કરી છે. દુકાન ની બહાર દબાણ ઊભું કરી ન્યુસન્સ કરતી 75 દુકાનો સીલ કરવામાં આવી છે. આ દુકાનો સીલિંગની કામગીરી કરવા સાથે આ વિસ્તારમાં દબાણની સમસ્યા દૂર થતા ટ્રાફિકમાં રાહત થઈ છે.
દબાણ દૂર કરવાની કામગીરી માટે મહાનગરપાલિકા કતારગામ ઝોનની કામગીરીને રોલ મોડલ બનાવી કામગીરી કરે તો શહેરના અન્ય વિસ્તારમાં પણ કતારગામની જેમ દબાણ દૂર થઈ શકે તેમ છે. કતારગામ ની કામગીરી જોતા જ શહેરના ચૌટા બજાર વિસ્તારની આસપાસ રહેતા લોકો પણ કતારગામ જેવી કામગીરી ચૌટા બજારમાં કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ચૌટા બજારમાં 99 ટકા દુકાનોની બહાર દબાણ કરવામાં આવે છે. આ ઉપરાંત છાબડી વાળા અને લારીવાળાઓના દબાણને કારણે ચૌટા બજારમાં વાહન ચલાવવું તો ઠીક પણ ઘણી વખત ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. સુરત પાલિકા ચૌટા બજારમાં દબાણ દૂર કરવાની કામગીરી તો કરે છે પરંતુ આ કામગીરી વર્ષમાં માંડ આઠ થી દસ દિવસ જ કરવામાં આવે છે આ કામગીરીની અસર પણ દિવસના થોડા કલાકો રહે છે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર થતી નથી. ચૌટા બજારની જેમ જ ઝાંપા બજાર, કમાલ ગલી, કાદરશાની નાળ, રાંદેર ટાઉન, પાલનપુર જકાતનાકા, નવસારી બજાર તલાવડી, ગૌરવ પથ, પાલ હજીરા રોડ, ઉમા ભવન, બરોડા પ્રીસ્તેજ સહિત અનેક વિસ્તારોમાં દબાણની ભારે સમસ્યા છે. આ બધી જગ્યાએ દુકાનદારો પોતાની દુકાન બહાર દબાણ કરતા હોવાથી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.
પાલિકાના કતારગામ સોને જે રીતે દબાણ કરનારા દુકાનદારો સામે સીલીંગની કામગીરી કરી તેવી જ રીતના શહેરના અન્ય દુકાનદારો સામે પણ કામગીરી કરવામાં આવે તો દબાણની સમસ્યામાં મોટી રાહત થઈ શકે તેમ છે.
સુરતના જાહેર રસ્તા પર દબાણ દૂર કરવાની કામગીરી સાથે સુરત મહાનગરપાલિકા કતારગામની જેમ જ દબાણ કરતાં દુકાનદારો સામે કામગીરી કરે તેવી માંગણી ઉઠી છે.