ત્રણ દિવસ બાદ વેક્સીનેશન શરૂ થતાં ફરી રામાયણ શરૂ
લોકો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યાં છતાં ટોકન ન મળતાં ભારે આક્રોસ
મોબાઈલ પર બીજા ડોઝનો મેસજ આવ્યા છતાં લોકોને વેક્સીન ન મળતી હોવાની વ્યાપક ફરિયાદ
Updated: Jul 10th, 2021
સુરત, 10 જુલાઇ 2021 શનિવાર
સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ આજથી વેક્સીનેશન શરૂ થવાની સાથે જ રસીની રામાયણ શરૂ થઈ ગઈ છે. ત્રણ દિવસ બાદ વેક્સીન શરૂ થઈ છે પરંતુ સરકાર તરફથી મર્યાદિત સ્ટોક આવતાં સુરત મ્યુનિ. માટે પડકાર ઉભો થયો હતો. સુર તમાં વેક્સીન લેવા માટે લોકોમાં વધુ ઉત્સુકતા હોવાથી લોકો વહેલી સવારથી જ વેક્સીન લેવા માટે લાઈન લગાવી દીધી હતી. પરંતુ દરેક વેક્સીનેશન સેન્ટર પર મર્દાયિત સ્ટોક હોવાથી સવારથી લાઈન પર લોકો ઉભા રહ્યાં હોવા છતાં વેક્સીન મળી ન હોવાની ફરિયાદ થઈ રહી છે. અનેક લોકો પર બીજા ડોઝના મેસેજ આવ્યા હતા તેમાંથી પણ અનેકને વેક્સીન મળી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે.
સરકારના મહાવેક્સીનેશનના અભિયાન બાદ સુરતીઓમાં વેક્સીન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે લોકો વેક્સીન લેવા માટે ઉત્સુક છે, પરંતુ ચાર દિવસ સ્ટોક આપ્યા બાદ સરકાર દ્વારા સ્ટેક નહી મોકલતાં વેક્સીન લેવા ઈચ્છતા લોકોની હાલત કફોડી થઈ રહી છે. દરમિયાન વેક્સીનનો જથ્થો ન આવ્યો હોવાથી ત્રણ દિવસ વેક્સીનેશન સેન્ટર બંધ રખાયા હતા. તેના આગલા દિવસે વેક્સીનેશન થયું હતું પરંતુ સુરતના ૪૦ હેલ્થ સેન્ટર પરથી માત્ર ત્રણ હજાર લોકોને જ વેક્સીન આપવામાં આવી હતી.
ત્રણ દિવસના વિરામ બાદ આજે શનિવારે વેક્સીનેશ થશે તેવી જાહેરાત થતાં આજે વહેલી સવારે છ વાગ્યાથી જ વેક્સીનેશન સેન્ટર પર વેક્સીન લેવા માટેલોકોએ લાઈન લગાવી દીધી હતી. અનેક વેક્સીનેશન સેન્ટર એવા હતા જ્યાં લોકો વહેલી સવારથી લાઈનમાં હોવા છતાં તેમને ટોકન મળ્યા ન હતા. દરેક વેક્સીનેશન સેન્ટર પર 120 લોકોને જ વેક્સીન આપવામાં આવતી હોવાથી ત્યાર બાદના લોકો વેક્સીન વિના પાછા ફર્યા હતા. શહેરના અનેક વેક્સીનેશન સેન્ટર પર સિનિયર સિટિઝન પણ આવી ગયાં હતા તેમાંથી પણ અનેકને વેક્સીન ન મળતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આજે દિવસ દરમિયાન માત્ર બારથી તેર હજાર લોકોને જ ડોઝ મળે તેમ હોવાથી લોકોએ અનેક વેક્સીનેશન માટે ધક્કામુકકી કરી દીધી હતી. વેક્સીનનો સ્ટોક ઓછો હોવાથી પાલિકાના કર્મચારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. કેટલાક લોકોએ એવી ફરિયાદ કરી છે કે, મોબાઈલ પર બીજા ડોઝ માટે મેસેજ આવ્યા હતા તે લઈને વેક્સીનેશન સેન્ટર પર લોકો પહોંચ્યા હતા પરંતુ ટોકન ન હોવાનું જણાવીને લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિ હોવાના કારણે સુરતને વેક્સીનનો ડોઝ મોટી માત્રામાં આપવામા આવે તેવી માગણી થઈ રહી છે.