રાજકોટ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત કથળી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
Updated: Sep 15th, 2020
રાજકોટ,તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહીં છે.
સોમવારના રાત્રિના ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 31 ઓગસ્ટના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. તો ગઈકાલે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું હતું.
ગઇકાલે ગાંધીનગરમા યોજાયેલી બુધવારની કેબિનેટ બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતાં. જેના બાદ તેઓને પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જોકે, સામાન્ય લક્ષણો જણાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.
તો બીજી તરફ, ગઈકાલે ભાજપનાં વધું એક ધારાસભ્ય કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું હતું. જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. આ સાથે જ, સુરતમા પણ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં ભાજપના બે કોર્પોરેટરને કોરોના નીકળ્યો છે. કોર્પોરેટર અમિત રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્નેને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.
સત્રના પ્રથમ દિવસે જ 30 સાંસદો, સંસદના 50 કર્મચારીઓને કોરોના
સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થઇ ગઇ છે. જોકે પહેલા દિવસે દરેક સાંસદોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આશરે 30 જેટલા સાંસદો અને સંસદના સ્ટાફના 50 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેથી તેમને સંસદમાં પ્રવેશ નહીં મળે. આ સાંસદોને કોરોનાની સારવાર અપાઇ રહી છે. જેમની સિૃથતિ વધુ ખરાબ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે અન્યોએ પોતાને ઘરે જ ક્વોરન્ટાઇન કર્યા છે.
જે સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાં જૂનિયર રેલવે મંત્રી સુરેશ અંગાડી, ભાજપના સાંસદ મિનાક્ષી લેખી, અનંત કુમાર હેગ્ડે, પરવેશ સાહિબ સિંહ, રિટા બહુગુણા, કૌશલ કિશોરનો સમાવેશ થાય છે. 30માંથી સૌથી વધુ 17 સાંસદો લોકસભાના છે જ્યારે અન્ય રાજ્યસભાના સાંસદ છે.
રાજ્યસભામાં કોંગ્રેસના નેતા દીપેન્દરસિંહ હુડ્ડા, નારણ જે રાઠવા, ભાજપના સાંસદ અશોક ગસ્ટી, અભય ભારદ્વાજ, એઆઇએડીએમકેના નવનીતકિશનન, આપના સુશિલ કુમાર ગુપ્તા, ટીઆરએસના લક્ષ્મીકાંતા રાવ, એઆઇટીસીના શાંતા છેત્રીનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ જણાવ્યું હતું કે સાંસદો અને અન્ય સ્ટાફ મળીને 2500 સેંપલ લેવામાં આવ્યા હતા. દરમિયાન અનેક સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.