નવરાત્રીમાં ગરબે રમવા માટે કિન્નરો પણ સુરતમાં શીખી રહ્યા ડોઢિયા
Updated: Sep 24th, 2022
સુરત,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર
સોમવારથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વર્ષે નવરાત્રીમાં ગરબે રમવા માટે કિન્નરો પણ ડોઢિયા શીખી રહ્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં 75 થી વધુ કિન્નરો છેલ્લા એક મહિનાથી ડોડીયા ની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને નવરાત્રી દરમિયાન તેઓ નવે નવ દિવસ અલગ અલગ જગ્યા ઉપર ગરબા રમવા જશે.
માતાજીના આરાધનાના પર્વ નવરાત્રીને હવે એક જ દિવસની વાર છે ત્યારે નાના-મોટા સો કોઈ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. કોરોના બાદ ફરી એકવાર નવરાત્રીમાં સૌ કોઈ મનમૂકીને ગરબે ઘૂંમશે, ત્યારે આ બધામાંથી કિન્નરો પણ બાકાત નથી. આ વર્ષે કિન્નરો પણ માતાજીના ગરબે રમવાની તૈયારીઓ કરી છે અને તે માટે તેઓ સ્પેશિયલ ડોઢિયા શીખી રહ્યા છે.આ અંગે પાયલમાસીએ કહ્યું કે " છેલ્લા બે વર્ષથી કોરોના કારણે નવરાત્રિ થતી ના હતી.અમે બે તાળી અને ત્રણ તાળીના ગરબા રમતા હોઈએ છે.પરંતુ આ વખતે નવા પ્રવાહમાં જોડાવા અમે ડોઢિયા શીખવાની શરૂઆત કરી છે. અમે 75 જેટલા કિન્નરો ગોડાદરા ખાતે રામનગરમાં ડોઢિયાના અલગ અલગ સ્ટેપ્સ શીખી રહ્યા છે.અમે નવે નવ દિવસ સુરત ના વિવિધ વિસ્તારોમાં ગરબા રમવા જઈશું. અમને અલગ અલગ જગ્યા એ ગરબા રમવા માટે આમંત્રણ મળ્યું છે.