માત્ર 14 વર્ષની ઉંમરે ટીબી થયો છતાં પણ પરીવારનું ગુજરાન ચલાવવા દરરોજ સાઈકલ પર 65 કિલોમીટરનું અંતર ખેડ્યું
Updated: Dec 5th, 2022
- પાંચ બહેનો હોવાને કારણે સમાજમાંથી માન સન્માન છીનવાઈ ગયું : પિતાની તબિયત બગડતા ભણતર છોડી ઘરની જવાબારી સ્વીકારી : માતાને પણ ઘરનું કામ છોડાવ્યું
- બહેનોના લગ્ન બાદ પોતે પણ લગ્ન કર્યા અને બે બાળકોના પિતા થયા બાદ માતાની ઈચ્છા પૂરી કરવા નોકરી સાથે ગ્રેજ્યુએશન કર્યુ
સુરત,તા.5 ડિસેમ્બર 2022,સોમવાર
કોઈ કવિએ કહ્યું છે કે,‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે’ અને આજ કહેવતને ૩૩વર્ષના ભરત વિસાવડેએ સાબિત કરી છે. ભરતભાઇએ પાંચ બહેનો હોવાને કારણે સમાજમાં માન સન્માન ગુમાવી દેવાની સાથે મળેલા કડવા ટોણાઓના ઘૂંટને પી જઈને માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવ્યું. એટલું જ નહીં લોકોના ઘરે ઘરકામ કરતી માતાને પણ કામ છોડાવ્યું અને બહેનોના લગ્ન કરાવવાની સાથે પોતે પણ લગ્ન કર્યા તેમજ બે બાળકો આવ્યા બાદ નોકરી કરવાની સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ ઉધના પાંડેસરા વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય ભરત વિસાવડેના માતા પિતા મારા સાથે સુરત મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. લગ્ન બાદ પ્રથમ અને બીજા ખોળે દીકરીઓ જ થતા તેમના પરિવારના માન સન્માન જણાય ખોવાઈ ગયું હતું. સગા વહાલાઓએ પણ મોઢું ફેરવી લીધું હતું. લોકો દ્વારા મળેલાને ટોણા ને કારણે તેમના પિતા વ્યસની થઈ ગયા હતા. ૫ દિકરીઓ બાદ દીકરો તો આવ્યો પરંતુ ભાડાના મકાનમાં રહેતા પરિવારના ગુજરાત માટેના પ્રશ્નો ઊભા થયા હતા. તેથી તેમના પિતાએ મોચી કામ કરવાની શરૂઆત કરી હતી કરી હતી અને માતા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા કૈલાશ નગરમાં અન્ય લોકોના ઘરે કચરા-પોતા-વાસણ કરી જેમ તેમ ઘર ચલાવી રહ્યા હતા. ભરતભાઈનો જન્મ હોસ્પિટલની જગ્યાએ ઝૂંપડીમાં થયો હોવાથી તેમની પાસે જન્મનું પ્રમાણપત્ર ન હતું અને આજે પણ નથી. જો કે જેમ તેમ કરીને નગર પ્રાથમિક શિક્ષણ શાળામાં ધોરણ - ૭ સુધી તેમને ભણતર મેળવ્યું હતું. બાદમાં પરિસ્થિતિ ભણતર છોડીને માત્ર ૧૩ વર્ષની ઉંમરે કામે લાગી જવું પડ્યું હતું. મહત્વની વાત એ છે કે નાની ઉંમરે આવી પડેલી જવાબદારી થી હારી જવાને બદલે તેમણે સાયકલ ઉપર જઈને કામ કરવાનું સ્વીકાર્યું અને પોતાની માતાને પણ ઘરકામ છોડાવ્યું. આ ઉંમરે આ સમજશક્તિ કદાચ આજના બાળકોમાં જોઈ શકાય એમ નથી.
ભરતભાઈ પાંડેસરા થી સાયકલ લઈને સવારે ચાર વાગે ઘરે થી કામ માટે નીકળી જતા હતા અને હજીરા મોરા ટેકરા ડામકા વડલા વગેરે ગામમાં જઈને ગેસ લાઇન ફીટીંગનું તેમજ પ્લમ્બરિંગનું કામ કરતા હતા. પ્રતિ દિવસ અંદાજે રૂ.૧૨૫ ની કમાણી કરીને તેઓ રાત્રે ૧૦ વાગ્યે સુધી ઘરે પરત ફરતા હતા. જેમ તેમ કરીને પરિસ્થિતિનો સામનો કરી રહેલા આકાશભાઈને ૧૪-૧૫ વર્ષની ઉંમરે ટીબી થયા હોવાની જાણ થઈ ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું. કોઈપણ જાતનું વ્યસન ન હોવા છતાં પણ આવી પડેલા રોગને કારણે પરિવાર ચિંતિત હતો. જોકે તેમણે સરકારી હોસ્પિટલમાં તેમજ ટ્રસ્ટના સેન્ટર પર દવા કરાવી અને ટીબી થી મુક્તિ મેળવી હતી.
આ અંગે આકાશભાઈએ કહ્યું કે, મારા પિતા મારી ૨ બહેનોના લગ્ન કરાવ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. અન્ય ૩ બહેનોના લગ્નની જવાબદારી અને મારા ઘરની જવાબદારી મારા પર હતી. જેથી મેં સાયકલ પર જઈને કામ કરવાનું શરૂ રાખ્યું. પરંતુ મારી માતાની ઈચ્છા છે કે હું ભણીને સારી નોકરી મેળવું અને જે લોકોએ અમને તરછોડ્યા હતા તેમને પણ ભાન થાય કે તેઓએ અમારી સાથે ખોટું કર્યું હતું. જેથી આજે મારા પોતાના બે બાળકો થયા હોવા છતાં પણ મેં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
સગા વહાલાઓએ એડમિશન માટે માર્ગદર્શન ન આપ્યું : સમાજસેવકો પાસેથી ગાઈડન્સ મેળવી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું
તેઓએ વધુમાં કહ્યું કે, હું મારા સગાવ્હાલાને પણ કરગર્યો હતો કે મારે ભણવું છે મને મદદ કરો એડમિશન અપાવવાની મદદ કરો. તે સમય મને પાંચ બહેન હોવાને કારણે લોકો જવાબ આપતા ન હતા. બર્થ સર્ટિફિકેટ ન હોવાને કારણે એડમિશનમાં ઘણી વખત મને મુશ્કેલીઓ નડી છે. પરંતુ મેં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સમાજસેવકોએ મને ગાઈડન્સ આપ્યું કે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માંથી કોર્સ કરી શકાશે. જેથી બી.એ. બાદ હાલ લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરી રહ્યો છું. સદનસીબે આજે ભાડાના મકાનથી મારુ પોતાનું મકાન મેં કર્યું છે અને પાંડેસરામાં કેમિકલ સાઇટ પર મહિને રૂ.૨૦,૦૦૦ ની નોકરી પણ કરી રહ્યો છું.