સરકાર આ 4 પૈકી 2 બેંકોનું કરી શકે ખાનગીકરણ, નાણામંત્રીએ બજેટ ભાષણમાં કરી હતી ઘોષણા
બેંકિંગ સિસ્ટમમાં ધડમુળથી પરિવર્તન લાવવા માટે સરકાર ખાનગીકરણ તરફ વળી છે
Updated: Feb 15th, 2021
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2021 સોમવાર
નાણા પ્રધાન નિર્મલા સિતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર જાહેર ક્ષેત્રની 2 બેંકોનું ખાનગીકરણ કરવાનું લક્ષ્ય રાખી રહી છે, હવે સરકારનાં ત્રણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તે બેંકો પૈકીની બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીસ બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
મોટાભાગે સરકાર બેંકિંગ સેક્ટરમાં ખાનગીકરણ કરવાનું ટાળે છે, કારણ કે તે રાજકિય રીતે પણ સરકાર માટે જોખમી છે, જો કે મોદી સરકારે આ સાહસીક નિર્ણય કર્યો છે, સરકાર આ ચાર પૈકીની બે બેંક વેચવા માટેની કાર્યવાહી અપ્રિલથી શરૂ થતા નાણાકિય વર્ષમાં કરશે.
સરકારે રોકાણકારોનાં મુડને જાણવા માટે પહેલા નાની બેંકોની પસંદગી કરી છે, આગામી સમયમાં સરકાર મોટી બેંકોનું ખાનગી કરણ કરવાનું વિચારી શકે છે. હાલમાં બેંક ઓફ ઇન્ડિયાનાં કર્મચારીઓની સંખ્યા લગભગ 50,000 અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનાં 33,000 છે આઇઓબીનાં 26,000 તથા બેંક ઓફ મહારાષ્ટ્રનાં 13,000 કર્મચારીઓ છે. આ ખાનગી કરણની પ્રક્રિયામાં 6 મહિના જેટલો સમય લાગી શકે.
જો કે સરકાર દેશની સૌથી મોટી બેંક એસબીઆઇને પોતાની પાસે રાખશે, દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં લોન વિતરણને પ્રોત્સાહિત કરવામાં તેનાથી મદદ મળશે. સરકાર એનપીએની સમસ્યાનો સામનો કરી રહેલી બેંકિંગ સિસ્ટમમાં ધડમુળથી પરિવર્તન લાવવા માટે ખાનગીકરણ તરફ વળી છે.