વધતી માગને જોતા કોલસા આધારિત વીજ ક્ષમતા વધારવા ભારત પર દબાણ
- પ્રદૂષણનો ફેલાવો અટકાવવા રિન્યુએબલ ઊર્જામાં જંગી ઈન્વેસ્ટમેન્ટની પણ યોજના
Updated: Sep 23rd, 2022
મુંબઈ : એકતરફ પ્રદૂષણ ફેલાવતા ખાસ કરીને કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટાડી રિન્યુએબલ વીજ ઉત્પાદનમાં વધારો કરવાનો ભારત ટાર્ગેટ ધરાવે છે ત્યારે ઊર્જા પ્રધાને કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ૨૦૩૦ સુધીંમાં ૨૫ ટકા વધારો કરવાની યોજના હોવાનું જણાવ્યું હતું.
કોલસા આધારિત વીજ ક્ષમતામાં ૫૬ ગીગાવોટસનો ઉમેરો કરાશે સિવાય કે રિન્યુએબલ ઊર્જા સંઘરવા પાછળના ખર્ચમાં જોરદાર ઘટાડો થશે એમ વીજ પ્રધાન રાજ કુમાર સિંઘે એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે.
આર્થિક વિકાસને પહોંચી વળવા ભારતને વધુ ઊર્જાની આવશ્યકતા હોવાનું તેમણે જણાવ્યું હતું. રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં જંગી રોકાણ કરવાની ભારત યોજના ધરાવે છે, પરંતુ વિકાસને ગતિ આપવા ખાતરીપૂર્વકના વીજ પૂરવઠાને પણ તે અગ્રતા આપવા માગે છે.
ઊર્જા પ્રધાનના આ નિવેદને દેશમાં કલીન એનર્જી તરફ વળવાની યોજના સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. રશિયા દ્વારા ગેસ પૂરવઠા પર કાપ મુકાયા બાદ યુરોપમાં કોલસાની માગમાં વધારો થયો છે.
વર્તમાન વર્ષના ઊનાળામાં ભારતમાં મોટેપાયે વીજ કાપ જોવા મળ્યો હતો. વીજની માગ વધતા આ કાપ આવી પડયો હતો. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર જુના કોલસા આધારિત વીજ પ્લાન્ટસ બંધ કરવામાં ઢીલ કરી રહી છે અને કોલસાનું ઉત્પાદન પણ વધારી રહી છે.
અમે વિકાસ સાથે સમજુતિ કરી શકીએ નહીં એમ સિંઘે મુલાકાતમાં વધુમાં જણાવ્યું હતું. ભારત કોલસાની આયાત કરતા પણ ખચકાશે નહીં. વીજની ઉપલબ્ધતા જરૂરી છે.
૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ ઊર્જાની ક્ષમતા ૫૦૦ ગીગાવોટ પહોંચડવાનો ભારત ટાર્ગેટ ધરાવે છે. રિન્યુએબલ ઊર્જાના પૂરવઠાને સતત ઉપલબ્ધ બનાવવા ભારતે સસ્તા પ્રકારની સ્ટોરેજ વ્યવસ્થાની આવશ્યકતા રહે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
સ્ટોરેજ ટેકનોલોજીના વિકાસ માટે પૂરતું રોકાણ નહીં કરવા બદલ તેમણે વિકસિત દેશોની ટીકા કરી હતી. વિશ્વમાં લિથિઅમનો મોટાભાગનો જથ્થો ચીન પાસે છે, જે ચિંતાની બાબત છે. વીજ બેટરી બનાવવા માટે લિથિઅમ એક મહત્વનો કાચો માલ છે.