રૂપિયો મજબૂત બનતા ભારતના ટૂકડા ચોખાની નિકાસ પર અસર
- આફ્રિકાના ખરીદદારો ઊંચા ભાવ ચૂકવવા તૈયાર નહીં હોવાનો દાવો
Updated: Mar 22nd, 2019
મુંબઈ,તા. 22 માર્ચ, 2019, શુક્રવાર
રૂપિયામાં સુધારાને પગલે ભારતમાં નિકાસ માટેના ચોખાના ભાવ વધીને સાત માસની ઊંચી સપાટીએ પહોંચ્યા છે, જેને કારણે માગમાં ઘટાડો નોંધાયો છે. ભારતના પાંચ ટકા ટૂકડા પારબોઈલ્ડ જાતિના ચોખાનો ભાવ જે ગયા સપ્તાહમાં પ્રતિ ટન ૩૮૬-૩૮૯ ડોલર બોલાતો હતો તે હાલમાં વધીને ૩૯૨-૩૯૫ ડોલર બોલાઈ રહ્યો છે.
ભાવમાં ઉછાળાને પગલે માગ મંદ પડી રહી છે. આફ્રિકાના ખરીદદારો ઊંચા ભાવ ચૂકવવા તૈયાર નથી એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. ભારતીય રૂપિયો પણ હાલમાં સાત મહિનાની ઊંચી સપાટીએ બોલાઈ રહ્યો છે, જેને કારણે નિકાસકારોની આવક પર અસર પડી છે. ભારત ચોખાનો મોટો નિકાસકાર દેશ છે.
વિયેતનામમાં પાંચ ટકા ટૂકડા ચોખાના ભાવ પ્રતિ ટન ૩૬૦ ડોલર પર જળવાઈ રહ્યા છે. વિયેતનામના ચોખા માટેની માગ વધી રહી છે. વિયેતનામના નિકાસકારો નિકાસ વ્યવહારો પૂરા કરવા સ્થાનિક સ્તરે ખરીદી વધારી રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
વિયેતનામ વિશ્વમાં ચોખાનો ત્રીજો મોટો નિકાસકાર દેશ છે. વર્તમાન વર્ષમાં વિયેતનામ ખાતેથી અત્યારસુધી બે લાખ ટન ચોખાની નિકાસ પૂરી થઈ છે. ઈરાક ખાતેથી પણ વિયેતનામને ૧.૨૦ લાખ ટન ચોખાનો ઓર્ડર પ્રાપ્ત થયો છે.