ક્રુડ તેલના વધી રહેલા ભાવને જોતા વિમાની ભાડામાં વધારાનો લાભ થવા સામે શંકા
- મંદ માગ વચ્ચે વિમાનો ઓછી સંખ્યામાં દોડશે તો જ ઊંચા ભાડાનો લાભ મળી રહેશે
Updated: Feb 13th, 2021
મુંબઈ, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર
વિમાની ભાડામાં ૩૦ ટકા સુધીના વધારાની અપાયેલી મંજુરી છતાં વિમાની સેવા કંપનીઓને તેનો ખાસ લાભ મળી રહેવાની શકયતા નથી. ક્રુડ તેલના ભાવમાં થઈ રહેલા સતત વધારાથી વિમાની સેવા કંપનીઓને ભાડાંમાં વધારાનો લાભ મર્યાદિત રહેશે એમ ઉડ્ડયન ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે ભાડાંમાં વધારોનો લાભ ત્યારે જ મળી રહેશે જ્યારે વિમાની સેવા કંપનીઓને ક્ષમતાના ૮૦ ટકાએ કામ કરવાનું ચાલુ રખાશે. આ ટકાવારી ૯૦ અથવા ૧૦૦ ટકા કરાશે તો તેનાથી ભાડાંમાં ઘટાડા તરફી દબાણ આવશે કારણ કે ઊતારૂઓની સંખ્યા હજુપણ મંદ છે.
હાલમાં નાણાં વર્ષનો ચોથો ત્રિમાસિક ગાળો ચાલી રહ્યો છે જે સામાન્ય રીતે નબળો ગાળો હોય છે. વિમાની ઊતારૂઓની સરેરાશ દૈનિક સંખ્યા ૬ ફેબુ્રઆરીના સપ્તાહના અંતે ૨.૪૮ લાખ હતી જે ૩૦ જાન્યુઆરીના સપ્તાહના અંતે ૨.૪૨ લાખ રહી હતી.
બીજી બાજુ વિમાન રવાના થવાની સંખ્યા૩૦ જાન્યુઆરીના સપ્તાહમાં જે દૈનિક સરેરાશ ૨૨૧૧ હતી તે ૬ ફેબુ્રઆરીના સપ્તાહમાં સાધારણ વધી ૨૨૧૫ રહી હતી. હાલમાં વિમાની પ્રવાસીઓમાં મોટાભાગના મિત્રો અથવા સંબંધી શ્રેણીના પ્રવાસીઓ જોવા મળે છે, કોર્પોરેટ ટ્રાફિકમાં હજુ વધારો થયો નથી માટે વિમાની ભાડાંમાં ભારે લવચિકતા રહે છે, એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.