For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના વાયરસની અસર એવિયેશન સેક્ટર પર, એર ડેક્કન તેનો સૌપ્રથમ શિકાર

Updated: Apr 5th, 2020

Article Content Imageનવી દિલ્હી, 4 એપ્રિલ 2020 રવિવાર

કોરોના વાયરસ મહામારીના કારણે થયેલા લોકડાઉનના મારથી કંપનીઓ નબળી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ડોમેસ્ટિક એરલાઈન કંપની એર ડેક્કન માટે કોરોના વાયરસ સંકટને કારણે ઊભા થયેલું દબાણ સહન કરવું શક્ય નથી બની રહ્યું અને પોતાનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ તેણે બધા કર્મચારીઓને વેતન વિના રજા પર મોકલી દીધા છે. કોરોના વાયરસ સંકટનો સામનો કરવા માટે સરકારે 21 દિવસનો ‘પ્રતિબંધ’ લગાવેલો છે. આ રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધથી એવિએશન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

એર ડેક્કન પહેલી એરલાઈન કંપની બની ગઈ છે, જે આ દબાણને સહન નથી કરી શકી. એર ડેક્કનના સીઈઓ અરુણ કુમાર સિંહે કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં કહ્યું કે, ‘હાલના સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓના કારણે ડીજીસીએએ 14 એપ્રિલ સુધી પોતાની ફ્લાઈટ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવામાં એર ડેક્કનની પાસે આગામી નોટિસ સુધી પોતાનું સંચાલન બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.’

તેમણે કહ્યું કે, ‘ભાર મનથી મારે એ જાણ કરવી પડી રહી છે કે એર ડેક્કનના બધા સ્થાયી, અસ્થાયી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તાત્કાલિક પ્રભાવથી વેતન વિના રજા પર મોકલવામાં આવી રહ્યા છે.’ એર ડેક્કન પાસે ચાર 18 સીટોના બીચક્રાફ્ટ વિમાન છે. એરલાઈન પશ્ચિમ ભારતમાં ક્ષેત્રીય માર્ગો પર સંચાલન કરે છે. મુખ્ય રીતે એરલાઈનનું કેન્દ્ર ગુજરાત છે. સિંહે ઈ-મેલમાં કહ્યું કે, ‘આગામી સપ્તાહ મેનેજમેન્ટ કેટલાક મહત્વપૂર્ણ પદોને ચાલુ રાખવા માટે વિભાગના પ્રમુખો સાથે બેઠક કરશે. તેનાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે જ્યારે યોગ્ય સમય આવશે તો એરલાઈન મર્યાદિત પ્રયાસોથી પરિચાલન ફરી શરૂ કરી શકશે.’

તેમણે કહ્યું કે, ‘હું વ્યક્તિગત રૂતે તમને ખાતરી આપું છું કે, જ્યારે ડેક્કન અનુકૂળ પરિસ્થિતિઓમાં સંચાલન ફરી શરૂ કરશે તો હાલના બધા કર્મચારીઓને તેમના વર્તમાન પદો પર કામ કરવાનો પ્રસ્તાવ પહેલા આપવામાં આવશે.’ દેશમાં 25 માર્ચથી 21 દિવસનું લોકડાઉન લાગુ છે. તેના પગલે બધી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ છે. જોકે, પ્રતિબંધ દરમિયાન કાર્ગો ફ્લાઈટ્સ, ઓફશોર હેલિકોપ્ટર સંચાલન, મેડિકલથી સંબધિત ફ્લાઈટ્સને મંજૂરી છે. તે ઉપરાંત, ડીજીસીએી મંજૂરીથી વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કરી શકાય છે.

ઉદ્યોગ મંડળ ફિક્કીએ ગત સપ્તાહે એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું છે કે, દેશમાં ઘણી એરલાઈન્સ દેવાળું ફુંકવાના આરે છે. તેમની પાસે રોકડ પૂરી થઈ રહી છે. જ્યાં અન્ય એરલાઈન્સે પડતરમાં કાપના ઉપાય કર્યા છે. તેમાં પાયલોટ્સની છટણી, વેતન કાપ કે કર્મચારીઓને વિના વેતન રજા પર મોકલવા વગેરે પગલાં સામેલ છે.

એર ડેક્કન કોરોના વાયરસ સંક્રમણનો ‘શિકાર’ બનનારી પહેલી એરલાઈન છે. એર ઈન્ડિયાને છોડીને બાકીની એરલાઈન્સ 14 એપ્રિલ બાદના બુકિંગ લઈ રહી છે. પરંતુ એર ડેક્કને બુકિંગ શરૂ નથી કર્યું. એરલાઈન તેને લઈને સ્પષ્ટ નથી કે તે પોતાનું સંચાલન ફરીથી ક્યારે શરૂ કરશે. અન્ય એરલાઈન કંપનીઓની વાત કરવામાં આવે તો ઈન્ડિગોએ પોતાના વરિષ્ઠ કર્મચારીઓના વેતનમાં 25 ટકાનો કાપ મૂક્યો છે.

વિસ્તારાએ પોતાના સીનિયર કર્મચારીઓ માટે માર્ચમાં વિના વેતન 30 દિવસની ફરજિયાત રજાની જાહેરાત કરી છે. સ્પાઈસજેટે કહ્યું છે કે, તેના બધા કર્મચારીઓના વેતનમાં 10થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. એર ઈન્ડિયાએ કેબિન ક્રૂને છોડીને બધા કર્મચારીઓના ભથ્થાંમાં 10 ટકાના કાપની જાહેરાત કરી છે. ગોએરે પોતાના કર્મચારીઓનું વેતન ઘટાડ્યું છે. વિદેશમાં કાર્યરત પાઈલોટ્સને હટાવ્યા છે અને એક પછી એક કર્મચારીઓને પગાર વિના રજા પર મોકલવાની જાહેરાત કરી છે.

Gujarat