ચૂંટણી અંગેની રજૂઆતો-ફરિયાદો માટે 24 કલાકનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો
Updated: Nov 11th, 2022
- બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા
- બોટાદના નાગરિકોને મતદાર યાદી તેમજ ચૂંટણી કાર્ડની ફરિયાદો અંગે જરૂરી જાણકારી મળી શકશે
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જણાવ્યા મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે જરૂરી છે. જેથી બોટાદ જિલ્લાના નાગરિકોને ચૂંટણી અંગેની તમામ માહિતી મળે તેમજ તેઓની રજૂઆતો-ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય તે માટે બોટાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે હેલ્પલાઇન અને ફરિયાદોનું નિરાકરણ માટેના કોલ સેન્ટર ખાતે ઝડપથી ફરિયાદ નિરાકરણ થાય તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી તેમજ ચૂંટણી કાર્ડની ફરિયાદો કે જરૂરી જાણકારી અર્થે ૧૯૫૦ ટોલ ફ્રી નંબર તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણીને લગતી વિવિધ ફરિયાદો અર્થે ટોલ ફ્રી નંબર (૦૨૮૪૯) ૨૭૧૩૧૩ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ટોલ ફ્રી નંબર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે.