|
ભારતે એક વધારાના બોલરને ટીમમાં સમાવવાની જરૃર છે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
૧-૦થી પાછળ હોઈ ભારતે હવે જોખમ લેવું જોઈએ
જયારે એક ટીમ ૬૦૦ થી વધુ રન કરે અને બીજી ટીમ તેનો જવાબ આપતા ૭૦૦થી વધુ રન
કરે ત્યારે ટેસ્ટનું પરિણામ ડ્રો જ હોય તે સમજી શકાય તેવી વાત છે. હવે
શ્રેણી શ્રીલંકા ૧-૦થી આગળ હોઈ હારી નહીં શકે તે નક્કી થઇ ગયું છે. ભારતને
આખરી ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણી ૧-૧ થી બરાબર કરવાની તક છે.
બે ટેસ્ટ પરથી જો કંઇ સાબીત થતું હોય તો તે ભારત પાસે શ્રીલંકાને બંને ઇનિંગમાં ઓલઆઉટ કરી શકે તેવા બોલરો નથી તે છે.નિર્જીવ પીચ અને ભેજવાળા વાતાવરણમાં બોલિંગ નાંખવી તે હતાશ અને થકાન લાવી દેતી બાબત છે. બોલર થોડી ઓવરો બાદ જ તેનો જુસ્સો ગુમાવી દે છે. નથી પીચ પરથી ઝડપ, સ્વીંગ કે ઉછાળ મળતો. મુરલીધરન અને મલિંગાની ગેરહાજરીમાં શ્રીલંકા પાસે પણ ભારતને બંને ઇનિંગમાં ઓલ આઉટ કરી શકે તેવા બોલરો નથી જણાતા.
પ્રથમ ટેસ્ટમાં કુલ ૮૦૦ વિકેટોના આંકને સ્પર્શ કરતી આઠ વિકેટો લેતી મુરલીધરનની બોલિંગ અને મલિંગા એ નિર્ણાયક સમયે ટુંકા અંતરે ઝડપેલી કિંમતી વિકેટોએ જ ભારતને પરાજય તરફ ધકેલી દીધું હતું. ભારતીય બેટસમેનોએ બીજી ટેસ્ટમાં બંનેની ગેરહાજરીનો ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો. ભારત હવે ત્રીજી ટેસ્ટ માટે કેટલાક ફેરફાર કરશે તેમ લાગે છે. અમિત મિશ્રાને સ્પિનર તરીકે અને ચુસ્ત લાઇન લેન્થ સાથે બોલિંગ નાંખતા મુનાફ પટેલનો ઇલેવનમાં સમાવેશ કરી શકાય.ઇશાંત શર્મા અને મિથુને ખુબ પ્રયત્ન કર્યો પણ પીચે તેઓને જરા પણ સહાય ન કરી. હરભજન જેવા બોલરને પણ પીચને કારણે ખાસ કોઈ સફળતા નથી મળી. એક ટેસ્ટથી પાછળ હોઇ હવે ભારતે જીતવા માટે થોડુ જોખમ લેવું જોઈએ. આ માટે વધારાનો બોલર સમાવી શકાય. ભારતે જીતવુ હશે તો શ્રીલંકાને બંને ઇનિંગમાં આઉટ કરવાનો વ્યુહ નજરમાં રાખવો પડશે. ભારતે નંબર વન રહેવા પણ નિડર નિર્ણય લેવા પડશે.
|