|
લખવીની જામીન અરજી પર પાક. કોર્ટનો ચુકાદો અનામત |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
|
(પીટીઆઈ) ઈસ્લામાબાદ,
મુંબઈ હુમલામાં સંડોવણી ધરાવતા સાત આરોપીઓ સામે સુનાવણી કરી રહેલી
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે લશ્કર-એ-તોઈબાના કમાન્ડર ઝાકિઉર રહેમાન
લખવીની જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે. અદાલત લખવીની અરજી અંગે
સાતમી ઓગસ્ટના રોજ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.
હુમલામાં લખવીની સંડોવણીના પુરાવા હોવાનો પાક.ના સરકારી વકીલનો દાવો
રાવલપીંડીની અદિઆલા જેલમાં સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ મલિક મુહમીદ અક્રમ અવાને ફરિયાદી અને બચાવ પક્ષની દલિલો સાંભળ્યા બાદ લખવીની જામીન અરજી પરનો નિર્ણય આગામી સુનાવણી પર ઠેલ્યો હતો. ફરિયાદી પક્ષે દલિલ કરી હતી કે લખવીને પાકિસ્તાની તપાસકારોએ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ગણાવ્યો છે. અને તેની મુંબઈ હુમલામાં સંડોવણી અંગેના પુરતા પુરાવા ઉપલબ્ધ હોવાથી તેને મુક્ત કરાવો જોઈએ નહીં. બચાવ પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે લખવી પરના આરોપો ભારતીય તપાસકારોએ આપેલા ડોઝિયર પરથી ઘડવામાં આવ્યા છે. સને ૨૦૦૮ના આ હુમલામાં લખવીની સંડોવણી અંગે કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. લખવીનો ઈતિહાસ 'બેદાગ' હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. લખવી તેમજ અન્ય ૬ સામેનો કેસ પાકિસ્તાને ભારત તેમજ અન્ય દેશોના દબાણને પગલે દાખલ કર્યો હોવાનો આરોપ પણ બચાવ પક્ષે મુક્યો હતો.
ફરિયાદી પક્ષે આ કેસમાં અંદાજે ૨૦૦ જેટલા સાક્ષીઓ એકઠા કર્યા છે અને તેથી આ કેસની સુનાવણી ઘણી લાંબી ચાલે તેવી શક્યતા હોવાથી લખવીને જામીન પર મુક્ત કરવો જોઈએ તેવી દલિલ લખવીના વ્યક્તિએ અદાલત સમક્ષ કરી હતી. બન્ને પક્ષોની દલિલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ અવાને કેસની સુનાવણી સાતમી ઓગસ્ટ સુધી મોકુફ રાખી હતી અને હવે તેઓ આગામી સુનાવણી દરમિયાન લખવીની મુક્તિ અંગે નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે લખવી સહિત કુલ સાત વ્યક્તિઓ પર મુંબઈ હુમલાનું કાવતરું ઘડવાનો, તેને પુરુ કરવા માટે આર્થિક મદદ આપવાનો તેમજ હુમલાખોરોને મદદ કરવાનો આરોપ મુકાયો છે.
|