|
ત્રાસવાદ સામે નિર્ણાયક પગલાં લેવા પાક.ને અમેરિકાની તાકીદ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
|
(પીટીઆઈ) વોશિંગ્ટન,
અમેરિકાએ પાકિસ્તાનને તેની ધરતી પર સક્રીય આતંકવાદીઓ સામે નિર્ણાયક પગલા
ભરવા જણાવ્યું છે. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને પણ તેનું
ધ્યાન અન્ય દિશામાં કેન્દ્રિત કરવાનું કહી અમેરિકાએ જણાવ્યું હતું કે તેમની
સાંઠગાંઠ કોઈ આતંકવાદી સંગઠન સાથે હોવાનું 'ચલાવી લેવાશે નહીં.'
આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતી ISIની ભૂંડી ભૂમિકાની આકરી ટીકા કરી
તાજેતરમાં જ ઈસ્લામાબાદ ખાતે યોજાયેલી અમેરિકા-પાકિસ્તાન વ્યૂહાત્મક વાટાઘાટોની સાથે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે. ઓબામા વહીવટી તંત્રએ અફઘાન યુધ્ધ અંગેના દસ્તાવેજો જાહેર થતા આઈએસઆઈના કેટલાક 'તત્વો'ના આતંકવાદીઓ સાથેના સંપર્કો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા પી.જે. ક્રોઉલીએ પત્રકારોને જણાવ્યું હતું કે આઈએસઆઈ અને તેમના કેટલાક તત્વોની આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠ અંગે અમેરિકાની ચિંતા જગજાહેર છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન સાથેની વાટાઘાટોમાં પણ આ મુદ્દો ચર્ચાતો રહ્યો છે અને પાકિસ્તાને પણ આ મુદ્દે જાહેરમાં ટિપ્પણી કરી હતી. ક્રોઉલીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને તેની ધરતી પર ધમધમી રહેલા આતંકવાદ સામે નિર્ણાયક પગલા ભરવા જ જોઈએ.
પાકિસ્તાન આતંકવાદ સામેનું તેનું આક્રમણ વલણ ચાલુ રાખે તેવી માગણી રજૂ કરતા ક્રોઉલીએ કહ્યું હતું કે પાકિસ્તાને લીધેલા આવા પગલાથી અમેરિકાને સંતોષ છે. દરમિયાન અમેરિકી સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફ એડમિરલ માઈક મુલેન્ટે પત્રકારોને જણાવ્યું હતું કે આઈએસઆઈમાં કેટલાક તત્વોની કટ્ટરવાદી સંગઠનો સાથેની સાંઠગાંઠ અમેરિકાને સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું હતું કે આઈએસઆઈએ હવે તેનું ધ્યાન અન્ય બાબતોમાં કેન્દ્રીત કરવું જોઈએ. જેમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય હિતોનો પણ સમાવેશ થાય છે. આ સતત ચર્ચાનો વિષય બનતો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મુલેન્ટ ૧૮ થી વધુ વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચુક્યા છે અને બે ડઝનથી વધુ વાર તેમણે પાકિસ્તાની સૈન્યના વડા કાપાની સાથે બેઠક યોજી છે.
|