|
તમિળનાડુના પ્રાચિન મંદિરમાં ૧૩મી સદીના લખાણો મળ્યા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 જુલાઇ 2010 |
|
(પીટીઆઇ) તિરુપટ્ટુર,
તમિળનાડુના પુડુકોટ્ટઇ જિલ્લામાં ખંડેર સમાન બની ગયેલા એક પ્રાચિન
મંદિરમાંથી ૧૩મી સદીના લખાણો મળી આવ્યા છે. આ પ્રદેશ પર ૧૩મીથી ૧૮મી સદી
સુધી પાંડય અને નાયક રાજાઓએ શાસન કર્યું હતું. આ શોધને કારણે એ સમયના
સામાજિક અને રાજકીય વાતાવરણ વિશે વધુ માહિતી મળવાની આશા છે.
પાંડિયન શાસકોના સમયના આલેખમાં વેપારીઓ, ખેડૂતો દ્વારા મંદિરને દાનમાં અપાયેલી જમીન વિશેની વિગતો
એપીગ્રાફિસ્ટ (આલેખવિદ્યાને ઉકેલવામાં નિષ્ણાંત)ની ટીમના જણાવ્યા પ્રમાણે મળી આવેલા લખાણો દક્ષિણ ભારતના શાસકો સુંદર પાંડિયન (ઇ.સ.૧૨૧૨-૧૨૩૯), જેતાવર્મન કુલશેખર પાંડિયન બીજો (ઇ.સ.૧૨૩૭)થી વિરપાંડિયન (ઇ.સ.૧૨૫૩-૭૪) જેવા શાસકોના સમયગાળાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટુકડીએ હાલમાં જ વેલ્લનચાર ગામના એક પ્રાચિન મંદિરમાંથી કોતરણીઓ શોધી કાઢી હતી.
પ્રાચિન લખાણોમાં વેપારીઓ, ખેડૂતો અને મંદિરના કર્મચારીઓ દ્વારા ભેટમાં આપવામાં આવેલી જમીન વિશના ઉલ્લેખો છે. પુડુકોટ્ટઇ હિસ્ટોરીકલ કલ્ચરલ રીસર્ચ સેન્ટરના પ્રમુખ રાજા મોહમ્મદે જણાવ્યું હતું કે બે વર્ષ સુધી શાસન કરનાર જેતાવર્મન કુલશેખર પાંડિયન બીજા વિશે બે આલેખોમાં વિગતો છે, આ લખાણોમાં એ સમયની ન્યાયપાલિકા તથા રાજાના પ્રધાન મંડળ વિશેની વિગતો છે. આલેખમાં જણાવ્યા મુજબ જેતાવર્મન કુલશેખર પાંડિયન બીજાએ અન્ય પાંડિયન રાજાઓ સાથે શાસન કર્યું હતું. આલેખ મુજબ મંદિરનું નામ કુલોથુંગા ચોલીશ્વરમ છે. આ મંદિર કુલોથોંગા ચોલીશ્વર મુદયા નાયાનર નામના દેવનું છે. જો કે આ મંદિર ચોલ શાસક કુલોથુંગા બીજા (૧૧૩૩-૧૧૫૦)ના સમયમાં બંધાયું હતું, પણ એ પછીની સદીમાં પાંડિયન શાસકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એપીગ્રાફિસ્ટોએ જણાવ્યું હતું કે જીર્ણોદ્ધાર બાદ મંદિરનું નામ જાળવી રાખવામાં આવ્યું હતું. એપીગ્રાફિસ્ટોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મંદિરની આસપાસના ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તો વધુ આલેખો મળી શકે એમ છે.
|