|
બળાત્કારની વ્યાખ્યા નબળી નથી બનાવાઈ ઃ ચિદમ્બરમ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 16 માર્ચ 2010 |
|
નવી દિલ્હી,
સરકાર બળાત્કારની વ્યાખ્યાને હળવી બનાવી રહી હોવાના આક્ષેપોને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે વ્યાખ્યાને વઘુ વ્યાપક બનાવવાના પગલાં વિચારાઇ રહ્યા છે, જેથી તમામ પ્રકારના જાતીય હુમલાઓનો તેમાં સમાવેશ કરી શકાય.
સ્ત્રી-પુરુષ બન્ને પરના તમામ પ્રકારના જાતીય હુમલાનો નવી વ્યાખ્યામાં સમાવેશ કરાશે
લોકસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા ગૃહપ્રધાને કહ્યું
હતું કે ‘‘અમે બળાત્કારની વ્યાખ્યાને હળવી બનાવવાના નથી. તમામ પ્રકારના
જાતીય હુમલાઓનો સમાવેશ કરવા માટે બળાત્કારની વ્યાખ્યાને વ્યાપક બનાવવામાં
આવશે.’’ થોડા દિવસો પહેલા જ ગૃહસચિવ જી.કે. પિલ્લાઇના વડપણ હેઠળની
ઉચ્ચસ્તરીય સમિતિએ જાતીય હુમલાઓને લૈંગિક દ્રષ્ટિએ તટસ્થ બનાવવાનું સૂચન
કર્યું હતું. આ જ પ્રકારની ભલામણ કાયદા પંચના અહેવાલમાં કરાઇ હોવાનું કહી
ચિદમ્બરમે ઉમેર્યું હતું કે ગૃહ મંત્રાલય ટુંક સમયમાં આ બાબતે ખરડો
લાવશે.
જાતીય હુમલાને લૈંગિક દ્રષ્ટિએ તટસ્થ બનાવવાનો અર્થ એ થાય
છે કે ગુનો આચરનારા કોઇ પણ લિંગના આરોપી સામે ઈન્ડિયન પિનલ કોડની સંબંધિત
જોગવાઇઓ લાગુ પાડી શકાશે. આઈપીસીની સેકશન ૩૭૫ અન્વયે બળાત્કારના અપરાધ
માટે આવશ્યક જાતીય સંભોગની સ્થિતિમાં પેનીટ્રેશન પૂરતું છે, પરંતુ સૂચિત
જોગવાઇઓ અમલમાં આવવા સાથે જાતીય હુમલાઓના અપરાધમાં ગુદામૈથુન, કોઇ બાહ્ય
પદાર્થ ધૂસાડવો તથા બળાત્કારની વ્યાખ્યામાં અત્યારે નહિ આવતા આ જ
પ્રકારના અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. દહેજમૃત્યુના સંદર્ભે સાસરિયાઓની કરાતી કનડગત અંગે
પ્રશ્નના ઉત્તરમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે કેસ સાથે પ્રત્યક્ષ સંડોવણી
ધરાવનારાઓની જ ધરપકડ કરવા અને પરિવારના અન્ય લોકોને નહિ સાંકળવાની સૂચનાઓ
આપી દેવાઇ છે.
|