|
માયાવતીને રૃપિયા ૧,૦૦૦ની સેંકડો નોટોનો હાર પહેરાવાયો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
(પીટીઆઈ) લખનઉ, તા. ૧૫
બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંસીરામની ૭૬મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી મહારેલી 'વન વુમન શો' જેવી બની ગઈ હતી.
બસપના ૨૫ વર્ષની ઉજવણીમાં ૨૦૦ કરોડનો ધુમાડો ઃ લખનૌ વાદળી રંગથી રંગાયું
રેલીમાં બસપના વડા અને ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન માયાવતીના સમર્થકોએ તેમને રૃા. ૧ હજારની અસંખ્ય નોટોથી બનેલો હાર પહેરાવ્યો હતો. જ્યારે અન્ય નેતાઓની હાજરીની કોઈ ખાસ નોંધ લેવાઈ નહોતી. આ ઉપરાંત આખા લખનઉ શહેરને આ રેલી માટે ખાસ વાદળી રંગે રંગવામાં આવ્યું હતું. આજની રેલીમાં માયાવતી સરકારના પ્રધાનોએ રૃા. ૧ હજારની નોટોમાંથી બનાવેલો મોટો હાર માયાવતીને પહેરાવ્યો હતો અને સામે બસપના વડાએ તેનો સહર્ષ સ્વીકાર પણ કર્યો હતો. માયાવતી આ મહારેલીને સંબોધવા માટે સ્થળ પર હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા. રસપ્રદ બાબત તો એ હતી કે સ્ટેજની વચ્ચે માત્ર માયાવતી માટે જ ખુરશી મુકાઈ હતી. જ્યારે બાકીના પ્રધાનોને હાંસીયામાં ધકેલી દેવાયા હોય તેમ સ્ટેજના છેડે બેસાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બસપના સમર્થકોએ માયાવતીના ગુણગાન કરતાં ગીતો ગાઈને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. બસપની રચનાને ૨૫ વર્ષ પૂરા થતાં યોજાયેલી આ મહારેલી માટે લખનઉને 'બ્લૂ સિટી' બનાવી દેવાયું હતું.
વાદળી રંગે રંગાયેલા લખનઉમાં નીકળેલી આ મહારેલીમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. લોકોને લખનઉ પહોંચાડવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા પણ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે રેલીને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે ૧૦ હજાર જેટલા પોલીસ કર્મીને તૈનાત કરાયા હતા અને સાથે ૩૦ પથારીવાળી હોસ્પિટલ, ૨૦૦ તબીબો અને ૫૦૦ જેટલા મેડિકલ મદદનીશોની ટુકડીને પણ તૈયાર રખાઈ હતી.
|