|
ફુગાવો વધીને ૯.૮૯ ટકા ઃ ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૫
ફેબુ્રઆરી મહિનામાં ફુગાવાનો દર ૯.૮૯ ટકા સાથે બે આંકડાની સપાટી તરફ આગળ
વધ્યો હતો. આવશ્યક ખાદ્ય પદાર્થોનો ભાવ વધારો તથા પેટ્રોલ-ડિઝલના ભાવ
વધારાને પગલે ફુગાવાનો દર છેલ્લા ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટીએ આંબી ગયો
હતો. સરકારે આશા વ્યક્ત કરી છે કે બજારમા રવિ પાકના આગમનથી ખાદ્ય
પદાર્થોના ભાવ હળવા થશે.
પેટ્રોલ-ડિઝલ તેમજ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાની અસર ઃ માર્ચમાં દર દ્વિઅંકી થવાની આગાહી
જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાના દરમાં ફેબુ્રઆરી મહિનામાં ૧.૩૪ ટકાનો વધારો નોંધાયો હતો, અગાઉના મહિનામાં ફુગાવાનો દર ૮.૫૬ ટકા હતો. ફુગાવાના વર્તમાન દરે રિઝર્વ બેન્કના અગાઉના અંદાજને ક્યારનો વટાવી દીધો છે, જાન્યુઆરીમાં આરબીઆઇએ વર્ષના અંત સુધીમાં ફુગાવો ૮.૫ ટકાની આસપાસ રહેશે એવી આગાહી કરી હતી. ભારતના ચીફ સ્ટેટેસ્ટીશ્યન પ્રણવ સેને અંદાજ વ્યક્ત કર્યો હતો કે માર્ચમાં ફુગાવો બે આંકડાની સપાટીએ આંબી જવાની શક્યતા છે.
અગાઉ નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ બજેટમાં એક્સાઇઝ ડયુટીના દરમાં ૨ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, બજેટને કારણે જથ્થાબંધ-ભાવ આધારિત ફુગાવામાં ૦.૪૧ ટકાનો વધારો થયો હતો. ખાદ્ય પદાર્થોમાં ખાંડ, કઠોળ, બટાટાના ભાવમાં વર્ષ દરમિયાન અનુક્રમે ૫૫ ટકા, ૩૬ ટકા અને ૩૦ ટકાનો વધારો થયો હતો.
ફુગાવો હવે ખાદ્ય પદાર્થોથી સરકીને અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે, ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે એપ્રિલમાં આરબીઆઇ નાણાંપુરવઠા નીતિમાં ફેરફાર કરશે એવી શક્યતા છે. જેને કારણે બેન્કો વ્યાજદરમાં વધારો કરશે. આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી ગુ્રપ સહિતની અન્ય બેન્કોએ તો અગાઉથી જ વ્યાજદર વધારી દીધા છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ફુગાવાનો દર ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવને કારણે વધી રહ્યો છે, પણ હવે તે વધુને વધુ સામાન્ય થઇ રહ્યો છે. જો કે સરકારનું માનવું છે કે બજારમાં રવિ પાકના આગમનથી ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થશે. જો કે રવિ પાકનું આગમન એપ્રિલ માસથી થશે, જ્યારે ફુગાવાનો દર ૧૧ ટકાની સપાટીએ આંબી જવાની શક્યતા છે.
|