|
રાજ્યસભાના ૪ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 15 માર્ચ 2010 |
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૫
મહિલા અનામત બિલને રાજ્યસભામાં પસાર કરવાના સમયે બિલનો વિરોધ કરતી વખતે
ગેરવર્તણૂક આચરવા બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સમાજવાદી પાર્ટીના
ચાર સાંસદોનું સસ્પેન્શન અંતે પાછું ખેંચવામાં આવ્યું છે. ઉલ્લેકનીય છેકે
આ બિલને ૯મી માર્ચના રોજ રાજ્યસભામાં પસાર કરાયું હતું.
ચારેય સાંસદો સપાના ઃ બીજા ત્રણ સભ્યો અંગે સરકારે કોઈ નિર્ણય ન લીધો
સરકારના સપાના આ ચારેય સાંસદોનું સસ્પેન્શન પાછુ ખેંચવાના ઠરાવનો ગૃહે સ્વીકાર કરતા ગૃહના ઉપાધ્યક્ષ કે રેહમાન ખાને આ સંદર્ભે જાહેરાત કરી હતી. આ ચાર સાંસદોમાં વીરપાલ સિંહ યાદવ, કમલ અખ્તર, નંદ કિશોર યાદવ અને અમિર આલમ ખાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે સપાના સાંસદોની સાથે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના સુભાષ યાદવ, લોક જનશક્તિ પાર્ટીના સબિર અલિ અને અપક્ષ સાંસદ એજાઝ અલિને પણ સંસદનું વર્તમાન સત્ર પતે નહીં ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સાતેય સભ્યોને ૯મી માર્ચના રોજ રાજ્યસભામાંથી માર્શલોએ બહાર કાઢ્યા હતા. સપાના સભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચવા પાછળ કોઈ સત્તાવાર કારણ રજૂ કરાયું નથી. આ ઉપરાંત, આજે પસાર કરાયેલા ઠરાવમાં સપાના ૪ સાંસદો સિવાયના સભ્યો અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી.
નંદ કિશોર યાદવે જણાવ્યું હતું કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને મળ્યા હતા અને અમારી આ બેઠક દરમિયાન સસ્પેન્શન અંગેના કોઈ મુદ્દે ચર્ચા થઈ નહોતી.
|