આપણા ભવાઈવેશો આપે છે
૬૦૦ વર્ષ પુરાણા અમદાવાદ નગરનાં અદ્ભુત વર્ણનો
ભારતવર્ષના પ્રત્યેક રાજ્યો પાસે પોતાના લોકસંગીત, લોકનૃત્ય અને લોકનાટ્યના વિશિષ્ટ તળપદ પ્રકારો જોવા મળે છે. ગુજરાતી લોકનાટ્ય જેને આપણે ભવાઈ કહીએ છીએ એને આંધ્રમાં યજ્ઞગાન, મહારાષ્ટ્રમાં તમાશા, બંગાળ અને બિહારમાં જાતરા, હરિયાણા ને પંજાબમાં સ્વાંગ, તામિલનાડુમાં તેરૂકુટ્ટુ, ઉત્તરપ્રદેશમાં નવટંકી અને મઘ્ય ભારતમાં નાચ તરીકે ઓળખવામાં આવે છે.
તા. ૨૬ ફેબુ્રઆરી ૨૦૧૦ના રોજ અમદાવાદ નગર તેના અસ્તિત્વના
૬૦૦ ઐતિહાસિક વર્ષ પૂરાં કરે છે. ભવાઈ વેશોમાં સચવાયેલા અમદાવાદના
સ્થળનામો અને દરવાજા વર્ણનોની મારે આજે વાત કરવી છે.
આપણે ત્યાં ભવાઈ લોકનાટ્યનું સ્વરૂપ હોવા છતાં દેવી ઉપાસનાનો એક પ્રકાર
ગણાય છે. ભવાઈ શબ્દની વ્યૂત્પત્તિ અંગે વિદ્વાનો જાુદા જાુદા મંતવ્યો
ધરાવે છે. શ્રી રસિકલાલ પરીખ નોંધે છે કે ‘ભવાઈના ચોપડાઓમાં ‘ભાવન’ શબ્દના
નિર્દેશો મળે છે. જૈન પરિભાષામાં રાતના મંદિરમાં અથવા પૂજાસ્થાનના
ચોગાનમાં વાદ્યો સાથે સ્તવનો ગવાય છે. કોઈ કોઈ વાર નૃત્ય પણ થાય છે. તેને
હજી પણ ભાવના કહેવાય છે. આ રીતે જોઈએ તો ભવાઈ એ અંબામાતાના ચોગાનમાં થતું
ભાવન છે. એ રીતે ભવાઈ ભક્તિનો એક પ્રકાર છે.’ શ્રી હરકાન્ત શુકલ કહે છે
કે, કથાનૃત્યમાંથી કથ્થક નૃત્યનો વિકાસ થયો અને નાટ્યમાંથી આપણને રાસલીલા,
ઢાઢીલીલા, નવટંકી એવા લોકનાટ્યો મળ્યાં, જેની પશ્ચાત્ભૂમિ સંગીત-નૃત્યથી
ઘડાઈ હતી. આવાં નૃત્યો કરતી અને કૃષ્ણજીવનના વેશ ભજવતી બ્રાહ્મણોની કેટલીક
ધંધાદારી કોમો થઈ. જેમાં કથ્થક, ઢાઢી, નટવરિયા, બહુવૈયા વગેરેનો સમાવેશ
થયો હતો. બહુવૈયા બહુરૂપી જેવી કોમ ગણાતી. આ બહુવૈયા શબ્દ ભવૈયા તરીકે
અપભ્રંશ થયો. ભવૈયા ને કવૈયાની કલા તે ભવાઈ એમ અર્થઘટન કરી શકાય.’
ગુજરાતમાં પ્રચલિત ભવાઈવેશોના સર્જક સિદ્ધપુરના કવિ અસાઈત ઠાકર ગણાય છે.
એમનું મૂળ નામ આશારામ હતું. એમનો જીવનકાળ ચૌદમા સૈકાની છેલ્લી ત્રણ
પચ્ચીસીમાં મૂકવામાં આવે છે. અસાઈને નૃત્યમાં, સંવાદો, પાત્રો, વેશ
વગેરેનું સંકલન કરી ૩૬૦ જેટલા વેશોની રચના કરી હતી એમ કહેવાય છે. આ ૩૬૦
વેશોમાંથી ડૉ. સુધા દેસાઈ પીએચ.ડી.ની થિસિસ માટે ૬૧ જેટલાં વેશો માંડ
મેળવી શક્યાં. બાકીના ૨૯૯ વેશો કાળની કંદરામાં લુપ્ત થઈ ગયા હોવાનું મનાય
છે.
ગીત, સંગીત, નૃત્ય અને સંવાદો ભવાઈનો પ્રાણ ગણાય છે. વિવિધ વેશોમાં
સંગીતબદ્ધ ગેય પદ્ય રચનાઓ દૂહા, છંદ, સોરઠા, સવૈયા, ચંદ્રાવળા, કવિત,
કુંડળિયા, રેકતા, ઝકડી, બાજંદા, સાખી, ભજન, ગરબા, પાયા, પદ, છપ્પા,
સમસ્યા, પાંચકડાં, ચકવરા, આવણી, મુસ્લિમ હરફો અને અબોલા ગવાય છે. આ પદ્ય
સાહિત્યમાં અમદાવાદના બાદશાહી યુગના સમાજ અને સંસ્કૃતિનું દર્શન જોવા મળે
છે. ઝંદાઝૂલણના વેશમાં તો અમદાવાદના દરવાજા, માણેકચોક, કાંકરિયા તળાવ,
ભદ્રની બારી, ગણેશ બારી અને હલીમની ખડકીના રસપ્રદ વર્ણનો મળી આવે છે. બસો
ત્રણસો વર્ષ પૂર્વેના અમદાવાદના નગરજનો, એમના ધંધાધાપા, દેવમંદિરો,
જોવાલાયક સ્થળો, સામાજિક પરિસ્થિતિ, ગુનેગારોને થતી સજાનું વર્ણન પણ એમાં
આવે છે. સંશોધકોનું ઘ્યાન એના પર ગયું નથી. ઝંદા-ઝૂલણનાં એક રેખતામાં
માણેકચોક, પાનકોર નાકા, કારંજ ચોક, ભદ્રકાળીનો ગોંખ અને વાણિયાના વેપારની
વાત પણ વર્ણવાઈ છે. ઝંદાઝૂલણના વેશ પર મુસલમાન શાસકોનો પ્રભાવ પડેલો જોઈ
શકાય છે. વેશની મુસ્લીમ બોલીમાં મુસ્લીમ હરફો પણ ગવાય છે. આ વેશમાં આવતો
અમદાવાદનો રેખતો જોઈએ.
અમદાવાદ કે અંદર હૈ દરવાજા પંદર
બીચમેં માણેક કા ચોક, બાવા ગોદડકા ગોંખ
બનિયા બેકતે હૈ માલ, સાડી ધોતિયું રસાલ
વાંસે આગે જાવે, પાનકોર કા નાકા આવે.
માલ મેવા બેચે, સૂર સારંગી ખેંચે
કીસબણ ગાણાં ગાવે, સૂનકે આગે જાવે
તીન દરવાજા આવે, બીચ કારંજકા ચોક,
ભદ્રકાલીકા ગોંખ, વાં કેદિયું કા કામ
વોહી ઉનકા મુકામ, ગારદી પહેરા ભરતે
ખૂબ ચોકી કરતે, ઐસા અમદાવાદ
મૈને દેખી ગુજરાત, જાત મહાજનકી સહી
બાત જુબને કહી, થૈયા થૈ તાથૈ તાથૈ (૩)
મુનશી હરમણીશંકર ધનશંકરે પાંચ દાયકા પૂર્વે પ્રગટ કરેલ ‘શ્રી ભવની ભવાઈ
પ્રકાશ’માં મનીહાર-મણિયારાના વેશમાં અમદાવાદના સ્થળો અને દરવાજાઓનું વર્ણન
મળે છે. મણિયારો ચુડિયો વેચવા નીકળે છે ત્યારે ગવાય છે ઃ
ભલા કોઈ ચૂડિયા લો રે બંગડિયાં
મેરા બના ચૂડિયાં લો રે બંગડિયાં
લોરે લોરે લોરે કોઈ ચૂડિયાં ભલા
એક સુહાગન પહરને બાઈ
દુજી જાુએ રે બાટડિયાં મેરા બના
ઐસી ટોકરિયાં લે કે
સારા અમદાવાદ શહેરમાં બારૂ દરવાજા ફીરે
સો એક દરવાજા કીસ તરહકા હોતા હૈ ?
શાહઆલમના દરવાજાથી શરૂઆત થાય છે ઃ
શાહઆલમકા બહોતમ તેજ તાથૈ થૈતા થૈથૈ
શાહઆલમકા બહોતમ તેજ શેખઅલી બસે સરખેજ
દુવા માગું દાવલશા પીર, ગુજરાતમેં બડાવજીર તાથૈ.
સસા ઉપર કુત્તા દૌડાયા તાથૈ થૈતા થૈથૈ (૨)
સસા ઉપર કુત્તા દૌડાયા, તબ અમદાવાદ શહેર બસાયા
અમદાવાદકી નવી ગુજર, બારે ભાગોળ છત્રીસ મંદિર તાથૈ.
ઐસા શહેર કબુ નહીં બસતા, તાથૈ થૈતા તાથૈ (૨)
જમણા રસ્તા ફીર કાંકરિયા તાથૈ...
કાંકરિયા તળાવઃ
કાંકરિયામેં કાલાપાની (૨) બીચ નગીના વાડી
માલી સીંચે મોગરા, મતબાલા પીવે તાડી તાથૈ
તાડી પી મતબાલા હોવે તાથૈ (૨)
ભર ભર પીને તરિયાં, વાડી તો નગીના સોહિયે
અજબ બના કાંકરિયા તાથૈ...
કાંકરિયા મેં કૌન કૌન જાવે ? તાથૈ (૨)
મુગલ પઠાણ ફિરંગી ડગલા પૈરે દરિયાઈકા
પાઘડી પચરંગી તાથૈ
કાંકરિયામેં કાલા પાની તાથૈ (૨)
બીચ પડી હૈ ટીંબી,વાં આગે એક ધોબણ ધોતી
ઉસકા નામ લીંબી તાથૈ....
નીચી હોકે સાબુ દેવે તાથૈ (૨)
ઉંચી હોકે નૈન મિલાય
કાથા ચૂના દેતી જાય, યાર કુ ફૂસલાતી જાય તાથૈ....
બે કાંકરિયા ચોખંડ ભરિયા તાથૈ (૨)
પથ્થર ઉપર પથ્થર જડિયા, જંગલ જંગલ કા પાની પડિયા
તબ નામ કાંકરિયા પડ્યા તાથૈ...
ધજાકી બીચ લીંબ ખડા તાથૈ (૨)
જો જાવે સો જીતા મૂવા,
બાંસે ચાલે આશાપુરી, સામી ભાગોળ શાહપુરી તાથૈ...
શાહપુર દરવાજો ઃ
શાહપુરા દરવાજ કીલાવે (કહેલાવે) તાથૈ (૨)
બીબી ફતેહકા ઓરસ આવે
પાનફૂલકી રોલારોલ, શહેર મેં શહજાદી પોળ
શાહપુરમેં રંગીલા પોળ, તાથૈ થેઈ તા થૈઈ થૈઈ
ખાનપુર દરવાજો ઃ
ખાનપુરકી ખડકી ખોલી તાથૈ (૨)
નદીમેં સે ધોબન બોલી
ધોબન બોલી ગુમાનભરી
બે દરવાજા ખાનપુરી
ધોબન કે તો લંબે ખાળ
જો આવે સો કાટે ગાલ તાથૈ (૨)
ભદર (ભદ્ર)ની બારી ઃ
ભદરકી બારી કો’લાવે તાથૈ (૨)
મેલી ચોખી વાંઈ આવે
મેલી જાવે ચોકખી આવે
ભદરકી બારી કી’લાવે તાથૈ (૨)
ગણેશબારી ઃ
ગણેશ કી બારી કી’લાવે તાથૈ (૨)
પ્યાસે ઘોડે વાંઈ આવ
પખાલી તો આવે જાવે
ગણેશકી બારી કી’લાવે તાથૈ...
રાયખડ દરવાજો ઃ કોટ
રાયખડ દરવાજા કી’લાવે તાથૈ (૨)
શિકાર ખેલને રાજા આવે
શિકાર કી તો લગી ઓટ
તબ બના રાયખડ કા કોટ તાથૈ (૨)
ખાનજાન દરવાજો ઃ
ખાનજાને ખુદવાયા કૂવા તાથૈ (૨)
ખારા પાની મીઠા હુઆ,
પાની કી તો છાકમછોળ
કોટપે પુરુકી ઘોર તાથૈ....
જમાલપુર દરવાજો ઃ
જમાલપુર કા જમણા આરા તાથૈ (૨)
શહરમેં દેખીતા સારા
ભારે ભાગોળ નયણે નીરખી
નહીં હોવે જમાલપુર સરખી તાથૈ (૨)
મુડિયો દરવાજો ઃ
મુડિયા દરવાજા કી’લાવે તાથૈ (૨)
ગાડે ગરીડે વાન જાવે
સબ ભાગોળિયા રોટી જમે
બે ભાગોળિયા ભૂખે મરે તાથૈ (૨)
આસ્તોડિયા દરવાજો ઃ
આસ્તોડિયા દરવાજા કી’લાવે તાથૈ (૨)
ભલેકુ તોરણ બંધાવે
તોરણ કી તો ઐસી રીત
બોખી ભાગોળ લીન મસિદ તાથૈ (૨)
રાયપુર દરવાજો ઃ
રાયપુરમેં રંગ હુઆ તાથૈ (૨)
ભર્યા હવાડા ખાલી હુઆ
ભર્યા આવે ને ખાલી જાય
રાયપુર દરવાજા કી’લાય તાથૈ (૨)
સારંગપુર દરવાજો ઃ
સારંગપુર સુતરિયા સાંથ તાથૈ (૨)
મલેકને ન આપી ખાંત
મલેક બેઠો ચોરે અડી
સુધ ઉગમણા સારંગપુરી તાથૈ (૨)
પાંચકૂવા દરવાજો ઃ
પાંચ કૂવા દરવાજા કી’લાવે તાથૈ (૨)
સબ પનિહારી પાની આવે
પનિહારીકી શોભા સારી
એક દરવાજા દોનું બારી તાથૈ (૨)
કાળુપુર દરવાજો ઃ
કાળુપુરકી કંડેરી તાથૈ (૨)
બીચ પડી હૈ ભંડેરી
ભંડેરી કા નવલા ઘાટ
સામે દો ગાંધી કા હાટ
ગાંધી બે ચે હીંગ મરી
બે દરવાજા કાળુુપુરી તાથૈ (૨)
પ્રેમપુરી-દરવાજો ઃ
પ્રેમપુરી દરવાજા કી’લાવે
આગન બોટકી (આગગાડી) ગાડી આવે
અગનબોટકી શોભા સારી
ટોપીવાલે (અંગ્રેજ) કી અક્કલ ભારી
ચંદન તલાવડી બીચમેં પડી
વે દરવાજા પ્રેમપુરી તાથૈ (૨)
દરિયાપુર દરવાજો ઃ
દરિયાપુર દરવાજા કી’લાવે તાથૈ (૨)
સ્વામીનારાયણ વહાં કી આવે
સ્વામીનારાયણ કી શોભા સારી
એક દરવાજા દોનું બારી તાથૈ (૨)
ઈડરિયા (દિલ્હી) દરવાજા ઃ
ઈડરિયા દરવાજા કી’લાવે તાથૈ (૨)
મૂળે મડદે વહાં કી જાવે
આગળ પાણીકી રોલારોલ
શહેરમાં ધોજાળી પોળ તાથૈ (૨)
હલીમની ખડકી ઃ
બારે ભાગોળ કહે દિખડાઈ તાથૈ (૨)
હમલકી ખડકી જાુદી લહી
જબ બાદશાહે બનાયા શહર
બીચમેં ભૂંડી ભાગોળ તેર તાથૈ (૨)
ભદર (ભદ્ર) દરવાજા ઃ
જબ બાદશાહે ભદર બનાયા તાથૈ (૨)
તબ કારંજા માગું લાભ
તીન દરવાજા ઓળાઓળ
પતરાં આવે તંબોલ તાથૈ (૨)
માણેકનાથ ગોદડિયા ઃ માણેક બુરજ ઃ
માણેકનાથ ગોદડિયા કહાવૈ તાથૈ (૨)
વાયદેવાલે વહાં દી આવે
કંદોઈ પટવા ઓળાઓળ
નાથ બાદશાહ જોડાજોડ
બડા શહર હૈ બરકમદારી
ગુનેગારકુ બાંધે મારી
માણેકચોક કી શોભા ભારી તાથૈ (૨)
ગુજરાતના ગામડાઓમાં ભજવાતા અને આજે મૃતપ્રાય થઈ રહેલા ભવાઈવેશોમાં
અમદાવાદના સ્થળ વર્ણનો, દરવાજા, ખડકી, પોળો, ચોક અને ઔટાનો સાંસ્કૃતિક
ઈતિહાસ સચવાયો છે. ઈતિહાસ, સમાજશાસ્ત્ર, સ્થાપત્ય અને નગરોના અભ્યાસીઓને
એમાંથી મહત્ત્વની માહિતી મળી રહે છે. વિરાસતને જાળવવાની વાત તો આજે આપણે
કરીએ છીએ પણ જૂની ભવાઈ આ વિરાસતને સાચવીને બેઠેલી છે એ અંગે કદી વિચાર્યું
છે ?
|