|
હળવાં પીણાં સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
એક સપ્તાહમાં સોફ્ટ ડ્રિંક્સની બે બોટલ પીવાથી આ જીવલેણ કેન્સરના જોખમમાં લગભગ બમણો વધારો થાય છે
(પીટીઆઇ) સેન્ટ પોલ, તા.૮
શર્કરા ધરાવતા હળવાં પીણાંનો અતિરેક જીવલેણ એવા સ્વાદુપિંડડના કેન્સરની શક્યતામાં નાટકીય ઢબે વધારો કરે છે. હાલમાં જ થયેલા સંશોધનના તારણો પ્રમાણે સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડનું ઊંચુ પ્રમાણ શરીરમાં ઇન્સ્યુલીનના પ્રમાણમાં વધારો કરે છે, જેના કારણે સ્વાદુપિંડના કેન્સરના કોષો વૃદ્ધિ પામે છે, જો કે સંશોધન દરમિયાન ફળોના જ્યુસ તથા કેન્સર વચ્ચે કોઇ સંબંધ પુરવાર થયો ન હતો.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિનેસોટાના સંશોધકોએ હળવાં પીણાની અસરો પર વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તેમના તારણો પ્રમાણે અઠવાડિયામાં માત્ર બે વખત ઠંડા પીણા લેવાની આદત સ્વાદુપિંડના કેન્સરનો રોગ વિકસીત થવાનું જોખમ બેવડું થઇ જાય છે. કેન્સરના આ પ્રકારને સૌથી જીવલેણ માનવામાં આવે છે.
સંશોધન સાથે સંકળાયેલા એસોશીએટ પ્રોફેસર માર્ક પેરેઇરાએ જણાવ્યું હતું કે જે લોકો નિયમિતપણે કાર્બોનેટેડ સુગર-સ્વીટ બેવેરેજીસ તરીકે ઓળખાતા ઠંડા પીણા લેતા હોય છ, તેમના શરીર પર તેની ઘાતક અસર થતી હોય છે. જો કે આ પીણાંની સ્વાદુપિંડના કેન્સર પર થતી અસર થોડી અલગ છે. પેરેઇરાએ જણાવ્યું હતું કે ઠંડા પીણામાં સુગરના ઊંચા પ્રમાણને કારણે શરીરમાં ઇન્સ્યુલીનના પ્રમાણમાં વધારો થાય છે, અમારા મતે તેના કારણે સ્વાદુપિંડના કેન્સર માટે જવાબદાર કોષો વિકસીત થાય છે.
આ અભ્યાસ માટે પેરેઇરા તથા તેમના સાથીઓએ ૧૪ વર્ષના સમયગાળા દરમિયાન થયેલા ૬૦,૫૨૪ પુરુષો અને સ્ત્રીઓના સિંગાપોર ચાઇનીઝ હેલ્થ સર્વેને અનુસર્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્વાદુપિંડના કેન્સરના ૧૪૦ કેસો નોંધાયા હતા. જે વ્યક્તિઓ પ્રતિ સપ્તાહ બે અથવા ત્રણ ઠંડા પીણા લેતા હોય છે તેમને ઠંડા પીણા નહિ લેતા લોકોની સરખામણીએ કેન્સર થવાની શક્યતામાં ૮૭ ટકાનો વધારો થાય છે. જો કે ફળોના જ્યુસ તથા સ્વાદુપિંડના કેન્સર વચ્ચે કોઇ સંબંધ પુરવાર થયો નથી. અભ્યાસના તારણો જર્નલ ઑફ અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
|