|
'ફીર મિલે સૂર'માં હવે સચીન પણ જોવા મળશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 08 ફેબ્રુઆરી 2010 |
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૮
૧૯૯૦ના દાયકામાં ભારે લોકચાહના મેળવનાર 'મિલે સૂર મેરા તુમ્હારા'ના નવા
અવતારને ધાર્યા અનુસારનો પ્રતિસાદ સાંપડયો ન હતો, તેથી હવે તેના સર્જકોએ
ગીતના ફિલ્માંકનમાં સચીન તેંડુલકર સહિત અન્ય ક્રિકેટરોને પણ સામેલ કરવાનો
નિર્ણય કર્યો છે.
વધુ પડતી લંબાઇ અને બોલિવુડ કેન્દ્રીત હોવાની ફરિયાદને પગલે ગીતમાં ફેરફારનો નિર્ણય
ગત ૨૬મી જાન્યુઆરીએ રજૂ થનાર 'ફિર મિલે સૂર'ની નવી આવૃત્તિને લોકો તથા વિવેચકોનો મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. અનેક લોકોએ ગીતને વધુ પડતું લાંબુ તથા બોલિવુડ કેન્દ્રીત ગણાવ્યું હતું. આ તથ્યોને ધ્યાનમાં લેતા સર્જકોએ ગીતની લંબાઇ ઘટાડવાનો તથા અન્ય કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ટીવી ચેનલ પર પ્રસારિત થયેલા વિડિયોમાં એકપણ ક્રિકેટર સામલ ન હતા.
વિવિધતામાં એકતાનો સંદેશ આપતા ગીતના ડાયરેક્ટર અને જાણીતા એડમેકર કૈલાશ સુરેન્દ્રનાથને જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સચીન તેંડુલકર પર ફિલ્માંકન કરશે. તેમણે જણાવ્યું હતું કે 'ફિર મિલે સૂરમાં ટૂંક સમયમાં સચીન તેંડુલકરને પણ જોઇ શકાશે. તેઓ આ ગીતના ભાગરૃપ બનવા ઉત્સુક છે.'
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૮૮માં (હાલ સુષુપ્ત અવસ્થામાં) લોકસેવા સંચાર પરિષદના સુરેશ મુલિકે 'મિલે સૂર મેરા તુમ્હારા'નું નિર્માણ કર્યું હતું. જ્યારે આ ગીતના નવા વર્ઝનનું નિર્માણ ખાનગી ટીવી ચેનલે કર્યું છે. નવા ગીતમાં મુલિકને ક્રેડીટ નહિ અપાઇ હોવાની ટીકાને પગલે સુરેન્દ્રનાથને જણાવ્યું હતું કે ગીતના નવા વર્જનમાં તેમના નામનો સમાવેશ થઇ શકે છે.
ફિર મિલે સૂરના વિડિયોમાં અમિતાભ બચ્ચન, શાહરૃખ ખાન, આમિર ખાન તથા ખેલાડીઓ જેવા કે સાઇના નહેવાલ, વિજેન્દ્ર સિંહ તથા વિવિધ સંગીતકારો સહિત ૬૦ હસ્તીઓને દર્શાવવામાં આવ્યા છે. આ ગીતનું શૂટિંગ ૬૦ દિવસમાં ૧૩ શહેરોમાં કરવામાં આવ્યું હતું.
|