Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - ગુનાહિત હોવાની લાગણી (ગિલ્ટ ફીલિંગ) એટલે શું ? છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 25 ડિસેમ્બર 2009
22guilty.jpg.gifલાગણીઓ અનેક પ્રકારની હોઈ શકે. સારી લાગણી એટલે જેમાંથી આનંદનો ઉદ્ભવ થાય. મન પ્રસન્ન થાય તે પ્રકારની લાગણી જ્યારે તમે ગુનો કર્યો છે એવી લાગણી સતત રહેતી હોય તેને ગીલ્ટફીલીંગ અથવા ગુનાહિત હોવાની લાગણી કહેવાય.

લાગણીઓમાં જે સૌથી ખરાબ અથવા અધમ કહી શકાય તેવી લાગણીઓ એટલે આ પ્રકારની ગીલ્ટ ફીલીંગ. સતત આવી લાગણી રહેતી હોય તો તેની અસર તમારા શરીર પર પડવાની અને તમારી કલ્પના બહારના જોખમી રોગો આવી લાગણીને લીધે થવાના. આવી લાગણી થતી હોય તો તેને અટકાવવાના અને સારી લાગણી સતત મનમાં રહે તે માટેની વાત આજે કરીશું.

ગીલ્ટ ફીલીંગ શા માટે થાય છે ?
જન્મ્યા ત્યારથી અત્યાર સુધી તમારા કૌટુંબિક જીવન, તમારૂં સામાજીક જીવન, તમારા ઘરનું અને નોકરી ધંધાની જગાનું આજાુબાજાુનું વાતાવરણ, તમારા આડોશી પાડોશીની સાથેનું વર્તન અને તમે ભણેલા હો તો તમે જે રોજ પેપર વાંચતા હો તેને કારણે અથવા ટી.વી. જોવાને કારણે સમાચાર અને સીરીઅલ કે ફિલ્મ જોવાને કારણે તમારા મન ઉપર થતી અસર - આ બધાને કારણે તમારા મનમાં તમારા રોજીંદા વાણી, વ્યવહાર અને વર્તન માટે ચોક્કસ ખ્યાલ અથવા તો ગ્રંથિ બંધાઈ ગઈ હોય એટલે તમે તમારી જાતે નક્કી કરેલા વાણી, વ્યવહાર અને વર્તનમાં તમે જાણે અજાણે ભુલ કરી હોય અથવા વિરૂદ્ધ વર્તન કર્યું હોય તો તમને કોઈ ગુનો કર્યો હોય તેવી લાગણી થાય.

આવી લાગણી એટલે ખોટું કર્યાની લાગણી જો તમે વધારે પડતા લાગણીવશ હો તો વારે વારે થાય. આવી ગીલ્ટ ફીલીંગનું પ્રમાણ વધતું જાય તો તમને નાની મોટી કોઈપણ શારીરિક તકલીફ થાય જ. ગીલ્ટ ફીલીંગ ખોટા અથવા નેગેટીવ વિચારોને કારણે પણ થાય છે. આને કારણે ડીપ્રેશન પણ આવે. ઘરના કે બહારનાની સાથે વાતો કરવાનું પણ બંધ કરી દો એવું પણ બને.
ગીલ્ટ ફીલીંગના પ્રકારો કેટલા ?

૧. ફોલ્સ ગીલ્ટ એટલે કે તમે કોઈ ખોટી વસ્તુ કરી ના હોય છતાં તમે તમારી જાતને તેને માટે જવાબદાર ગણતા હો. દા.ત. તમારૂં બાળપણ બહુ ખરાબ વિત્યું હોય. તમારે અમુક વસ્તુ કરવી હોય પણ તે કરી શક્યા ના હો. કદાચ તમને કોઈ શિક્ષા થઈ હોય.

દા.ત. તમને જમ્યા પહેલા હાથ ધોઇને જમવાનું કહ્યું હોય અને તમે એમ ના કર્યું હોય અને તમને શિક્ષા થઈ હોય અને એ વાતને વર્ષો વીતી ગયા હોય અને તમે એ વાત ભૂલ્યા ના હો અને આજે પણ જમ્યા પહેલા હાથ ના ધોયા હોય ત્યારે શરમની લાગણી અનુભવો. આને ખોટી ગુનાહિત લાગણી અથવા તો ફોલ્સ ગીલ્ટ કહેવાય. બહુ લાગણીવશ લોકોને આની અસર જીંદગીભર રહે. ૨. રીઅલ ગીલ્ટ એટલે કે દરેકના મનમાં અમુક વસ્તુ સારી અને અમુક ખરાબ એવી છાપ સતત રહેતી હોય છે. કોઈ સ્ટોરમાં ગયા અને કોઈનું ઘ્યાન ના હોય ત્યારે કોઈ વસ્તુ ખીસામાં મૂકી દીધી. તે વખતે પકડાઈ જશો તેવી બીક સતત હોય છતાં કાંઈ ના થયું. ઘેર આવ્યા પછી એ વસ્તુ મફતમાં મેળવ્યાનો આનંદ તો થયો પણ એને જાુઓ ત્યારે સતત ગુનો કર્યો છે એવી લાગણી આખી જીંદગી અનુભવો તેને ‘રીઅલ ગીલ્ટ’ કહેવાય.


22Fotolia.gifએ ફોલ્સ ગીલ્ટ હોય કે રીઅલ, એક વાત યાદ રાખવા જેવી છે કે બન્ને પ્રકારના કારણ માનસિક છે.

અને સતત રહેલી ગીલ્ટ ફીલીંગની અસર શરીર પર થાય છે. માનસિક તનાવ, લધુતાગ્રંથિ, દરેક બાબતમાં રહે તો અફસોસ, નારાજગી અને આખી દુનિયા તમારી દુશ્મન છે અને તમને કોઈ સમજતું નથી. આવા બધા ભાવ જેના મનમાં હોય તેને નેગેટીવ ઇમોશન્સ એટલે કે નકારાત્મક લાગણીઓ થાય.


ગીલ્ટ ફીલીંગનું પરિણામ શું ?


૧. પર્સનલ (વ્યક્તિગત)ઃ ગીલ્ટ ફીલીંગથી પીડાતી વ્યક્તિના પોતાના શરીરનું, કપડાનું અને દેખાવનું ઘ્યાન રાખે જ નહીં. આવું કરવાને લીધે તેને કોઈ મિત્રો ના રહે. જો પરણેલા હોય તો પાર્ટનર તેને છોડી દે અથવા તેને પણ હીનતાની લાગણી ઉભી થાય અને તેને શારીરિક અસર પણ થાય. વ્યક્તિ ધીરે ધીરે કુટુંબની અને મિત્રોની લાગણી ગુમાવે અને છેલ્લે લોકો તેને ગાંડામાં ખપાવે. લાગણી શૂન્ય બની જાય.


૨. શારીરિકઃ શરીર અને મન એકબીજાના પૂરક છે. વૈજ્ઞાનિકોએ આઘુનિક વિજ્ઞાન ‘સાયકોન્યુરોઇમ્યુનોલોજી’નો આધાર લઈને એક વાત ચોક્કસ જણાવી છે. ‘સાયકો’ એટલે વિચાર, ‘ન્યુરો’ એટલે મગજ અને ‘ઈમ્યુનોલોજી’ એટલે તમારી રોગપ્રતિકારક શક્તિનું વિજ્ઞાન. તમારા વિચારો પોઝીટીવ (હકારાત્મક) હોય તો તમારી ઈમ્યુનીટી એકદમ સરસ પણ જો વિચારો નેગેટીવ (નકરાત્મક) હોય તો તમારી ઇમ્યુનીટી નબળી બને, જેને લીધે તમને શરૂમાં ચેપી રોગો થાય અને પછી હાર્ટએટેક, બી.પી., ડાયાબીટીસ, કેન્સર, સ્ટ્રોક જેવા રોગો થાય.


૩. માનસિકઃ આના વિષે વાત કરતાં પહેલાં વર્ષો પહેલાંનો એક અનુભવ જણાવું. આફ્રિકાના ડર્બન શહેરના એક ચર્ચની મુલાકાત વખતે મેં જોયું છે. ચર્ચમાં પ્રાયશ્ચિત (કન્ફેશન) કરવા આવનારા લોકોમાં ગોરા લોકોની સંખ્યા વધારે હતી. આફ્રિકાની વસ્તીમાં કાળા લોકો વધારે અને ગોરા લોકો ઓછા હોય છતાં આવું કેમ એવો સવાલ મેં ત્યાંના પાદરીને પૂછ્યો ત્યારે જવાબ મળ્યો એ આપણે સૌએ યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું ‘‘ગોરા લોકો ભણેલા છે’’ આનો અર્થ સરળ છે કે જે ભણેલા હોય તે વઘુ વિચારો કરે અને સારા અને નરસાં કામને બેલેન્સ કરવા પ્રયત્ન કરે માટે ‘ગીલ્ટ ફીલીંગ’ તેમનામાં વધારે હોય. આ માટે થોડી વધારે વિગત પણ જોઈએ. આપણે જ્યારે નાના હોઈશું તે વખતે જ્યારે જ્યારે કાંઈ જરૂર હોય તે રડવાથી કે મોટો અવાજ કરવાથી મળી જતું હતું. દૂધ પીવું હોય, રમકડું જોઈતું હોય, મા બાપ કે કુટુંબીજનોનું ઘ્યાન ખેંચવાનું હોય તો તે બહુ સહેલું હતું. એ વખતે તમે પોતાને ખૂબ અગત્યના માનતા હતા. જેમ જેમ ઉંમર વધી, થોડું જ્ઞાન થયું ત્યારે ખબર પડી કે વાસ્તવિકતા શું છે. આમ છતાં સમાજમાં એવી વ્યક્તિઓ છે કે આ વાત ભૂલી શકતી નથી અને પરિસ્થિતિનો સામનો નહીં કરવાને કારણે પોતાને મોટી ઉંમરે જે વસ્તુ ના મળી તેમાં પોતાનો દોષ કાઢે છે એટલું જ નહીં પણ આખી દુનિયામાં પોતે જે કમનસીબ છે અને તેથી બીજા બધાને જે જોઈએ તે મળે છે અને પોતાને નથી મળતું તે વાતે દુઃખી થાય છે. નાનપણમાં મા-બાપ અને કુટુંબીજનોની લાગણીને હિસાબે જે જોઈએ તે જાદુઈ રીતે મળતું હતું તે માબાપની લાગણી પ્રેમ અને ફરજને હિસાબે મળતું હતું એ વાત ભૂલી જઈને અત્યારે નથી મળતું માટે ‘પોતાનો જ કોઈ દોષ’ હશે એવી હીનતાની લાગણી (ગીલ્ટ ફીલીંગ)થી પીડાય છે. ‘‘મેં આવું ના કર્યું હોત તો’’ ‘‘મારી જ ભૂલ છે માટે જ આવું થયું...’’ આવા વિચારો કરીને સતત પીડાનો ભાવ અનુભવે છે. એટલું જ નહીં પણ એને કારણે શારીરિક અને માનસિક તંદુરસ્તીના આધાર જેવી તંદુરસ્ત જીવનશૈલીનું આચરણ કરવાનું પણ ભૂલી જાય છે અને પહેલાં કહ્યું તેમ અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોનો ભોગ બને છે એટલું જ નહીં પણ અંગત સગા અને કુટુંબીજનોમાં પણ આવા આચરણથી અપ્રિય થઈ પડે છે.


માનસિક ગીલ્ટ ફીલીંગ (અનકોન્શીભસ ગીલ્ટ)ને દૂર કરવાનું ઘણું મુશ્કેલ છે કારણ કે વ્યક્તિને પોતાને ખબર નથી હોતી કે પોતાને આ પ્રકાર (અનકોન્શીઅસ ગીલ્ટ)ની અસર છે. પોતાને થએલી તકલીફ માટે બીજાનો દોષ કાઢવાની વૃત્તિ એ આ પ્રકારની ખાસિયત છે. આ પ્રકારની ગીલ્ટ ફીલીંગના પરિણામે તમે દારૂ-તમાકુનો આશરો લો અથવા શારીરિક નુકશાન થાય (તૂટી જાઓ) તેવું સતત કામ કર્યા કરો. આ પરિસ્થિતિ પણ ઈચ્છવા યોગ્ય નથી.


આ બન્ને પ્રકારની ગીલ્ટ ફીલીંગ માટે શું કરશો ?

૧. સૌથી પહેલું પગલું નિષ્ણાત સાઈકીઆટ્રીસ્ટની સલાહ લો અથવા સાયકોલોજી કાઉન્સેલર પાસે સીટીંગ લો.
૨. ચોક્કસ કઈ વસ્તુ માટે તમને ગીલ્ટ ફીલીંગ થઈ છે તે શોધી કાઢો. નાનપણની કોઈ ભૂલ હોય તો તે જુની વાત છે તેમ માની તેને ભૂલી જાઓ. આમ છતાં વિચારો આવતા જ હોય તો તમારા મનને સતત પ્રવૃત્તિશીલ-શારીરિક અને માનસિક રીતે રાખવા પ્રયત્ન કરો. સંગીત શીખો, ચિત્રકામ શીખો, કોઈ શોખ કેળવો, મન સતત પ્રવૃત્તિમાં રહે તેવી શારીરિક પ્રવૃત્તિ કરો.
૩. માનો કે લાગણીના આવેશમાં આવી કોઈ મિત્રને મોટી રકમ આપી અથવા જલદી પૈસા કમાવા કોઈ પબ્લીક ઈસ્યુમાં પૈસા રોક્યા અને બન્ને રીતમાં તમારા પૈસા ગયા અથવા તમારી પાસે પૈસા હતા, તાત્કાલિક જરૂર નહોતી છતાં સારી એવી મિલકત ઉતાવળ કરી વેચી દીધી અને અત્યારે એ મિલ્કતનો વધારે ભાવ આવતો હોય તો તમે જે ભૂલ કરી છે તેનો અફસોસ કર્યા વગર બઘું જ તમારા ઈષ્ટદેવની મરજી પ્રમાણે થયું છે, તમે કશું કર્યું નથી એવો ભાવ મનમાં રાખશો તો ગીલ્ટ ફીલીંગ જતી રહેશે.
૪. મનમાં નેગેટીવ ભાવ ઉત્પન્ન થાય એવું કાંઈ ના કરશો. વાણી ઉપર કાબુ રાખશો. કોઈને નારાજ ના કરશો, કોઈ વખત ખોટું ના બોલશો. કોઈની ખોડ ના કાઢશો. વર્તન અને વ્યવહારમાં એકદમ પારદર્શક રહેશો. જેવા છો તેવા જ દેખાવા પ્રયત્ન કરશો.
૫. બહાર તમારી જાણ બહાર કે જાણમાં કોઈપણ બનાવ બને તેનું કારણ તમે છો એવો ભાવ કદાપિ લાવશો નહીં.
૬. ભૂલેચુકે જાતનો નાશ થાય તેવું કાંઈ પણ એટલે દારૂ પીવો, સીગરેટ પીવી, ડ્રગ્સ લેવા આવું કદાપિ ના કરશો. તમારા મનની ખરાબ પરિસ્થિતિ શાશ્વત રહેવાની નથી, તે પણ જતી રહેશે એવો વિશ્વાસ રાખશો.
૭. શરીરને સ્વસ્થ બનાવો ઃ શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. મનમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે. મેડીકલ ભાષામાં જણાવું તો નિયમિત ૪૦ મિનિટની તમને ગમતી કસરત, જેમાં હૃદય, ફેફસાં અને રક્તવાહિનીની ક્ષમતા વધે તેવી (એરોબીક) કસરત ૩૦ મિનિટ, આખા શરીરના સાંધાને વાળવાની કસરત (ફલેક્ષીબીલીટી) ૫ મિનિટ અને સ્નાયુને મજબુત કરવાની (મસલ પાવર) કસરત ૫ મિનિટ કરો તો છ મહિનામાં તમારા અંગોના પ્રત્યેક કોષમાં લોહી પહોંચાડવાનું કામ હૃદય સારી રીતે કરી શકશે. ફેફસાની કાર્યક્ષમતા વધશે અને આ બધાથી શરીર સ્વસ્થ થશે.
૮. મનને સ્વસ્થ કરવા યોગા અને મેડીટેશન કરો ઃ પુરાણોમાં વશિષ્ટ ઋષિએ ‘‘લધુયોગવાશિષ્ટ’’નું યોગનું જ્ઞાન તેમના શિષ્યો રામ અને લક્ષ્મણને આપ્યું હતું તેવો ઉલ્લેખ છે. તેમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ‘‘મનમાં કોઈપણ કારણસર ખળભળાટ (બેચેની) થાય છે, ત્યારે શરીર તેને અનુસરે છે.’’ જ્યારે શરીરમાં ગરબડ થાય છે ત્યારે મન તેની વિચારશક્તિ ગુમાવી બેસે છે. આને લીધે પ્રાણ જે શરીરને અને મનને કાબુમાં રાખે છે તેની દશા તીરથી ઘવાએલા હરણ જેવી થાય છે એટલે કે મન અને શરીરનો કાબુ ગુમાવી બેસે છે. મોડર્ન ભાષામાં જણાવું તો મગજ જ્ઞાનતંતુ ઉપરનો અને જ્ઞાનતંતુને સક્ષમ રાખનાર ન્યુરોટ્રાન્સ્મીટર્સ ઉપર કાબુ રાખી શકતું નથી. આની અસર આખા શરીર ઉપર થાય છે એટલે કે લોહી બરોબર બનતું નથી, હાડકાં નબળાં પડે છે. ખોરાકનું બરોબર પાચન થતું નથી. શરીરમાંથી અનિષ્ટ તત્વો (ટોકસીન) કિડની અને આંતરડા બહાર કાઢી શકતા નથી. યાદશક્તિ, જાતીય શક્તિ નબળી પડે છે. અનેક રોગો થાય છે. સારા નિષ્ણાત યોગશિક્ષક પાસે નિયમિત યોગક્રિયા કરો તો ફાયદો થશે. શ્રેષ્ઠ રસ્તો લાફીંગ કલબમાં જોડાઈ કસરત કરવાનો છે.

છેલ્લે એટલું જ જણાવવાનું કે ગુનાહિત લાગણી (ગીલ્ટ ફીલીંગ) તમે જ અનેક પ્રકારના ખોટા વિચારો કરીને ઉભો કરેલો રાક્ષસ છે. જો સમયસર તેનો ઉપાય નહીં કરો તો એ તમને ખાઈ જશે. તમે શક્તિમાન છો એવી પોઝીટીવ વિચાર- સરણી રાખી સમયસર તેનો નાશ કરો. પરમેશ્વરને પ્રાર્થના કરો અને આત્મવિશ્વાસ રાખો કે છેવટે બઘું જ સારું થવાનું છે.
 
< પાછળનુ   આગળનુ >