|
આંધ્રમાં ગાંધીજીના નામે ફોટા સાથે રેશનકાર્ડ ઈસ્યુ થયું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
(પીટીઆઈ) હૈદરાબાદ,
આંધ્રપ્રદેશની એક ઘટનાએ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ખડો કર્યો છે.
રેશનકાર્ડમાં જે તે વ્યક્તિના નામ-સરનામામાં ભૂલ પકડાય એ તો જાણે હવે
'ગૌણ' બાબત બની ગઈ છે પણ આંધ્રપ્રદેશમાં તો મહાત્મા ગાંધીજીના નામે
રેશનકાર્ડ જારી કરાયું છે. બાપુની તસ્વીરવાળઆ આ રેશનકાર્ડમાં ગાંધીજીના
પિતા તરીકે નથુરામ ગોડસેનું નામ મળેલું છે.
સૌથી આઘાતજનક બાબત તો એ છે કે બાપુના હત્યારા ગોડસેના નામનો ઉલ્લેખ ગાંધીજીના પિતા તરીકે કરાયો
આ કાર્ડ ચિત્તોડ જિલ્લાના રામચંદ્રપુરમ્ મંડળના ચુતાગુન્હા ગામમાં જારી કરાયું છે અને તંત્રની આ ઘોર બેદરકારી પ્રકાશમાં આવતા જીલ્લા કલેકટર વી. સેશાદ્રીએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. જીલ્લામાં નકલી રેશનકાર્ડ અંગે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન આ છબરડો બહાર આવ્યો હતો. આ રેશનકાર્ડમાં ગાંધીજીનો ફોટો અને નામ છે, અને તેમાં દર્શાવેલું સરનામું એક વાજબીભાવની દુકાનના માલિકનું છે.
સેશાદ્રીએ આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ રચી છે અને જવાબદાર અધિકારી સામે પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત કાર્ડ બનાવવા સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓ અને કાર્ડની વિગતો તપાસવામાં નિષ્ફળ ગયેલા મહેસૂલ વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવી ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ પણ જાણીતા રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ અને હિંદુ દેવી-દેવતાઓના નામે પણ નકલી રેશનકાર્ડ તૈયારની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે આ વખતે ''કૌભાંડ''માં રાષ્ટ્રપિતાના નામનો ઉપયોગ કરાયો હોવાથી તંત્રએ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. વાજબી ભાવની દુકાનનાં માલિકોએ આવા અનેક ભૂતિયા રેશનકાર્ડ તૈયાર કરાવ્યા હોવાની પણ શંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં આવા નકલી રેશનકાર્ડની સંખ્યા ૩૫ લાખથી પણ વધુ હોવાનો અંદાજ છે.
|