|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
૪ જાહેર સાહસોનું ટૂંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટ
(પીટીઆઇ) મુંબઇ,
કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે નફો કરતા ચાર જાહેર
સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રક્રિયા આગામી ૨ મહિનામાં ૂપૂર્ણ કરી
દેવામાં આવશે. ભારે ઉદ્યોગ વિભાગના સચિવ ભાસ્કર ચેટરજીએ જણાવ્યું હતું કે
એનટીપીસી, સેઇલ, સતલુજ જલ વિદ્યુત નિગમ અને રૃરલ ઇલેક્ટ્રીફીકેશન
કોર્પોરેશનના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ટૂંકમાં પુરી કરી લેવાશે.
કેન્દ્ર સરકારે હાલમાં જ નફો કરતા જાહેર સાહસોના ઓછામાં ઓછા ૧૦ ટકા શેર
વેચવાનો નિર્ણય કર્યો હતો. આ સંદર્ભમાં સરકારે ૫૦ અનલીસ્ટેડ જાહેર સાહસો
તથા ૧૦ લીસ્ટેડ કંપનીઓ અલગ તારવી હતી. ચેટરજીએ આશા વ્યક્ત કરી હતી કે
ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને કારણે સરકારને ખાધ પર નિયંત્રણ મેળવવામાં
મદદ મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે તેમના વિભાગ હેઠળ કુલ ૨૧૪ કંપનીઓ
છે જેમાંથી ૨૮ કંપનીઓની પુર્નરચનાની કાર્યવાહી ચાલી રહી છે.
માયાવતી સરકાર સામે ભાજપની ચાર્જશીટ
(પીટીઆઈ) લખનૌ,
ઉત્તરપ્રદેશની માયાવતી સરકાર પર બંધારણીય સંસ્થાઓને વેરવિખેર કરી નાખવાનો આક્ષેપ કરી ભાજપે બસપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આરોપનામું ઘડી પ્રસિદ્ધ કર્યું હતું. ભાજપે પ્રસિદ્ધ કરેલાં ૧૮ પાનાના ચાર્જશીટમાં પોલીસ દ્વારા લોકો પર દમન કરી બંધારણનો ભંગ અને માનવ અધિકારોનો પણ ભંગ કરીને રાજ્યમાં ભય ફેલાવી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું ભાજપના ઉ.પ્રદેશના પ્રવકતાએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકાર સામાન્ય લોકોને રાહત પહોંચાડવાના પગલા લેવામાં પણ નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. ભાજપ હવે આ ચાર્જશીટની પાંચ લાખ નકલ પુસ્તીકા સ્વરૃપે પ્રસિદ્ધ કરશે.
ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન બી. શંકરાનંદનું અવસાન
(પીટીઆઈ) બેલગામ,
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પીઢ કોંગ્રેસી આગેવાન બી. શંકરાનંદનું લાંબી માંદગી બાદ બેલગામ ખાતે નિધન થયું હતું. ૮૫ વર્ષીય શંકરાનંદની તબિયત ગંભીર હતી. તેમણે બપોરે ૧.૫૦ કલાકે અહીંની હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. છેલ્લાં ૧૦ માસથી તેઓને ડાયાબિટિસ અને કીડની અંગેની સમસ્યાઓની સારવાર માટે હોસ્પીટલમાં રખાયા હતા. બી. શંકરાનંદ બે પુત્રો અને છ પુત્રીઓને વિલાપ કરતાં છોડી ગયા હતા. દલિત નેતા એવા શંકરાનંદ લોકસભાની ચીકોડી બેઠક પરથી સતત સાત વખત ચૂંટાઈ આવ્યા હતાં. ૩૦ વર્ષની રાજકીય કારકીર્દીમાં તેઓ ગાંધી પરિવારના વિશ્વાસુ નેતા રહ્યાં હતાં.
ચોખાની આયાત નહિ કરવાનો કેન્દ્રનો નિર્ણય
(પીટીઆઈ) નવી દિલ્હી,
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો હોવાથી તે હાલ ચોખાની આયાત કરશે નહીં. પણ ભવિષ્યમાં જરૃર જણાય તો આ અંગે નિર્ણય લેવામાં આવશે. વાણિજય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર આયાત કરી રહી નથી. કારણ કે દેશમાં પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. આ અગાઉ નાણાપ્રધાન મુખરજી અને આનંદ શર્માએ ૨૦૦૯-૧૦ના ખરિફ પાકમાં ૧.૫ કરોડ ટનનો ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કરીને ચોખાની આયાત કરવાની શક્યતા દર્શાવી હતી. નાણા પ્રધાને જણાવ્યું હતું કે ખરિફ પાકમાં ઘટાડો થવાનો સરકારને અંદાજ છે. જોકે તે સમયે તેમણે અનાજની આયાત ક્યારે કરાશે અને કેટલા પ્રમાણમાં કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
|