અમદાવાદ,
તેંડુલકરનો જાણે એક પછી એક ઐતિહાસિક સીમાચિન્હો પીછો જ ના છોડતા હોય તેમ
આજે તેણે અહીં મોટેરા સ્ટેડિયમ પર વધુ એક સિદ્ધિ મેળવતા આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા હતા. અહીં શ્રીલંકા સામેની નિરસ ડ્રોમાં
પરિણમેલી પ્રથમ ટેસ્ટના આખરી દિવસે તેંડુલકરે બીજી ઇનિંગમાં તેની
કારકિર્દીની ૪૩મી સદીમાં અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. તેની અને ગંભીરની
(૧૦૪)ની સદીની મદદથી ભારતે ટેસ્ટ ડ્રો ખેંચવામાં સફળતા મેળવી હતી.
તેંડુલકરને ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ
૩૦,૦૦૦ રન કરવા માટે ૩૫ રનની જરૃર હતી જે તેણે કોઈ પણ જાતના તનાવમાં આવ્યા
વગર કરી લીધા હતા. તે પછી તેણે તેની ઇનિંગ ભારત માટે ડ્રો નિશ્ચિત કરતા
આગળ લંબાવી તેમાં ૬૫ રન વધુ ઉમેરતા તેનો આંતરરાષ્ટ્રીય રનનો આંક ૩૦૦૬૫ રન
પર પહોંચ્યો.
તેંડુલકરે આંતરરાષ્ટ્રીય સ્તરે એવરેસ્ટ સર કરતાં ૪૩મી ટેસ્ટ સદી ફટકારી ઃ શ્રીલંકાની સામેની પ્રથમ ટેસ્ટ ડ્રા
તેન્ડુલકરે ટેસ્ટ (૪૩) અને વન-ડે (૪૫)માં મળીને કુલ ૮૮ આંતરરાષ્ટ્રીય સદી આ સાથે ફટકારી છે. તેંડુલકરે ૪૩૬ વન-ડે રમીને ૧૭૧૭૮ રન, ૧૬૦ ટેસ્ટમાં ૧૨,૮૭૭ રન તેમજ એકમાત્ર ટ્વેન્ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૧૦ રન નોંધાવ્યા છે. તેંડુલકર માટે છેલ્લા ૧૫ દિવસ કારકિર્દીમાં એક સાથે ગણી ઇતિહાસસર્જક સિદ્ધિ અપાવનારા પુરવાર થયા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં વન-ડે ક્રિકેટમાં ૧૭,૦૦૦ રન પૂરા કર્યા હતા. ભલે ભારત ૩૫૧ રનનો સ્કર ચેઝ કરતા ઓસ્ટ્રેલિયા સામે ચાર રનથી હાર્યું હતું પણ તેંડુલકરે તેમાં ફટકારેલા ૧૭૫ રનને કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિગોમાં સ્થાન મળ્યું છે.
ત્યાર પછી ૧૫મી નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ વર્ષ પૂરા કર્યા હતા. તે પછીના દિવસે જ ૧૬ નવેમ્બરથી શ્રીલંકા સામ અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૃ થઈ જેની પ્રથમ ઇનિંગમાં તે માત્ર ચાર રને જ બોલ્ડ થતા ચાહકો નિરાશ થયા હતા. પણ બીજી ઇનિંગમાં તેણે શ્રીલંકાની ભારતને હરાવવાની નજીવી આશા પર પણ પડદો પાડી દેતાં અણનમ ૧૦૦ રનની ઇનિંગ રમી હતી. હજુ ૨૦ વર્ષની ઉજવણીના પડઘમ માંડ શાંત થયા માંડયા હતા. ત્યારે ફરી તેંડુલકરને ૩૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય રનનો માઉન્ટ એવરેસ્ટ સર કરતી સિદ્ધિની ઉજવણી ચાહકોએ કરી દીધી. દિવસ દરમ્યાન તેની જ વાતો થતી રહી હતી. ટી.વી. ચેનલોએ પણ તેંડુલકરને દિવસભર દાદ આપી હતી. વર્તમાન ને ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેંડુલકરને સુપર હ્યુમન કહીને યોગ્ય રીતે નવાજ્યો હતો. આમ તો મોટેરાની પીચ નિર્જીવ જ હતી છતાં ભારત ૩૩૪ રનના દેવા સાથે ઉતર્યું હતું. મુરલીધરનને જરા ટર્ન મળે તો જાદુઈ અપસેટ સર્જી શક તેમ હતો. તેંડુલકરે અભેદ્ય દિવાલની જેમ રમીને ભારતને હેમખેમ રાખ્યું હતું. હવે બીજી ટેસ્ટ કાનપુરમાં ૨૪ નવેમ્બરથી રમાશે.