|
ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
રુરકેલા તા.૨૦ માઓવાદીઓએ ઝારખંડના વેસ્ટ સિંઘભૂમ વિસ્તારમાં કરેલા વિસ્ફોટને કારણે ખડી પડેલી ટાટા-બિલાસપુર ટ્રેનના પંચાવન ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત ટ્રેન દ્વારા ઓરિસાના પોલાદ શહેર ગણાતા રુરકેલામાં લાવવામાં આવ્યા હતા. ટ્રેન ખડી પડવાથી ટ્રાફિકને થયેલી અસર દૂર કરવા રાહત ટુકડી ગઇ કાલે રાત્રે ઘટના સ્થળે ધસી ગઇ હતી.
આ દુર્ઘટનામાં બે ઉતારુ માર્યા ગયા હતા. ઇજાગ્રસ્ત ઉતારુઓ
સાથે આવેલા બોંડામુંડજા રેલવે યાર્ડના એરિયા મેનેજર એચ કે પાધીએ ક્હ્યું
કે પંચાવનમાંના ૩૨ને માત્ર મામુલી ચોટ આવી હોવાથી તેમને પ્રાથમિક સારવાર
આપીને જવા દેવાયા હતા જ્યારે બાકીના ઉતારુઓને ઇસ્પાત જનરલ હૉસ્પિટલ અને
સરકારી હૉસ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી.
તેમણે કહ્યું કે વિસ્ફોટને કારણે ટ્રેનના બંને એંજિન ખડી પડયાં હતાં, બે
બોગી પૂરેપૂરી ઊંધી વળી ગઇ હતી અને ત્રણ બોગી વાંકી વળી ગઇ હતી. ઇજાગ્રસ્ત
ઉતારુઓએ કહ્યું કે અમે પ્રચંડ ધડાકો સાંભળ્યો હતો.
હકીકતમાં આ ધડાકો એટલો પ્રચંડ હતો કે અપ લાઇનના ટ્રેક (પાટા) ઊખડી ગયા હતા
અને ડાઉન લેનની વીજલાઇન ખોરવાઇ ગઇ હતી. પાધીએ ક્હ્યું કે ડાઉન લાઇનને ફરી
કાર્યરત થતાં થોડો સમય લાગશે. જો કે રેલવેના એક પ્રવક્તાએ ક્હ્યું કે બંને
તરફની લાઇનને ફરી કાર્યરત કરવા યુદ્ધ ધોરણે કામ ચાલુ છે.
|