|
ધોની અને હરભજન પોલીસને જાણ કર્યા વગર ફરવા ચાલ્યા ગયેલા |
|
|
|
રમત જગત સમાચાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
|
યુવરાજે સલામતી માટે પોલીસ કર્મીને રાખવાનો ઈન્કાર કર્યો
મોહાલી,
મોહાલીમાં ચોથી વનડે રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ધોની, હરભજન અને યુવરાજે પોલીસ વિભાગની ભારે નારાજગી વહોરી લેતા ઉંઘ હરામ કરી દીધી હતી. ગઈકાલે યુવરાજે સૌથી પહેલા હોટલ છોડી હતી. તેણે હોટલમાં ખેલાડીઓની ખડે પગે સુરક્ષા પુરી પાડતા પોલીસ વિભાગને તે હોટલની બહાર અંગત કારણોસર નીકળી રહ્યો છે તેમ જણાવ્યું હતું. પણ તેની સામે એકપણ પોલીસકર્મીની જરૃર નથી તેમ સ્પષ્ટ સુચના આપી હતી.
ખેલાડીઓના બેજવાબદાર વર્તનથી નારાજ ચંડીગઢ પોલીસ પંજાબ ક્રિકેટ એસોસિએશનને રીપોર્ટ કરશે
તે પછી ધોની અને હરભજને તો પોલીસ તંત્રને તનાવ હેઠળ લાવી દીધી હતી કેમ કે તેઓએ પોલીસ વિભાગને જાણ કર્યા વગર જ એક જ કારમાં અજ્ઞાાત સ્થળે બહાર નીકળી ગયા હતા.યુવરાજ હરિયાણાનું કામચલાઉ રજીસ્ટ્રેશન ધરાવતી કારમાં નીકળ્યો હતો. તે સેક્ટર ૧૭માં ગયો હતો અને કેટલાક કલાકો પછી પરત ફર્યો હતો.
ચંડીગઢના પોલીસ સુપ્રીન્ટન્ડેન્ટ (સીક્યોરીટી) એચ.એસ. દુને જણાવ્યું હતું કે ખેલાડીઓનું આ વર્તન ઘણું જ બેજવાબદાર કહેવાય. તેઓએ આ ત્રણેય ખેલાડીઓના વર્તનની ગંભીર નોંધ લીધી છે અને પંજાબ ક્રિકેટ એસોસીએશને રિપોર્ટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. ખેલાડીઓ દ્વારા સલામતિની શરતોનો ભંગ થાય તે ખુબજ ગંભીર મનાતી બાબત છે.
દુને કહ્યું હતું કે અમારે પંજાબ ક્રિકેટ એસોસિએશન જોડે મેચની તૈયારીના ભાગરૃપે એવી સ્પષ્ટ સમજુતિ થઈ હતી કે જે ખેલાડી હોટલની બહાર જવા માંગતો હોય તેણે ત્રણ કલાક પહેલા સીક્યોરીટી સંભાળતી પોલીસને જણાવવાનું રહેશે. ખેલાડીએ તેની સાથે પોલીસ પણ રાખવાની રહેશે. આવી વ્યવસ્થાની જાણ ખેલાડીઓને પણ કરાઈ હતી.આ ઘટના પરથી એ સ્પષ્ટ થાય છે કે ખેલાડીઓ હવે ટીમ મેનેજમેન્ટ કે બોર્ડના કાબુમાં પણ નથી. અગાઉના વર્ષોમાં મેનેજર કે જે ભૂતપૂર્વ ક્રિકેટર કે આદરણીય ઓફિશિયલ હોય તેનો પ્રભાવ રહેતો હતો. હવે ટીમમાં સ્થાન નિશ્ચિત થઈ ગયેલું હોઈ બોર્ડ પર પણ દાદાગીરી કરતા ખેલાડીઓ કોઈની પરવા નથી કરતા. ધોની કે જે કેપ્ટન છે તે જ આવી ગેરશિસ્ત આચરે તો અન્ય ક્રિકેટરોને તો કહીજ કેમ શકાય. ખેલાડીઓની બેજવાબદારી પણ એટલી જ કહેવાય કેમ કે આ ક્રિકેટરોએ આતંકવાદ, અપહરણથી પણ ડર રાખવો જોઈએ.
|