નડિયાદ,તા.૨૦
છત્તીસગઢમાં નકસલવાદીઓએ બિછાવેલી સુરંગોમાં આઇડી બ્લાસ્ટ થતા શહીદ થયેલા
સીઆરપીએફના મેજરના મૃતદેહને ગઇરાત્રે વિમાન મારફતે અમદાવાદ લાવ્યા બાદ
માતર તાલુકાના બામણગામે આવેલા તેમના વતન લઇ જવામાં આવ્યો હતો. આજે સવારે આ
શહીદની અંતિમયાત્રા નીકળી હતી. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ નીકળેલી આ
અંતિમયાત્રામાં પ હજાર કરતા પણ વધુ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. બામણ
ગામે આજે સ્વયંભૂ બંધ પાળી સદ્ગતના આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આખુ
ગામ શોકમગ્ન બન્યું હતું.
આણંદ, આણંદ શહેર નજીકની સામરખા ચોકડી ઉપરથી બે દિવસ અગાઉ અમદાવાદ એન્ટીટેરરીસ્ટ સ્કવોર્ડની ટીમે હિઝબુલનો આતંકવાદી બશીર ઉર્ફે બાવાને ઝડપી પાડ્યા બાદ તેના ૧૪ દિવસના રીમાન્ડ મેળવી તેની પુછપરછ હાથ ધરતાં કેટલીક ચોંકાવનારી વિગતો એટીએસને પ્રાપ્ત થઈ રહેલ છે. આણંદમાં પણ આ આતંકવાદી દ્રારા નેટવર્ક ઉભુ કરવામાં આવ્યુ હોવાની બાતમીના આધારે એટીએસની ટીમ ગતરોજ રાત્રિના સુમારે આણંદ આવી હતી અને આણંદમાંથી મળેલ બાતમીના પગલે આ ટીમ મઘ્યરાતે વડોદરા તેમજ ડભોઈ પહોંચી હતી. આણંદ શહેરના એક કોમ્પલેક્ષમાં પકડાયેલ આ ત્રાસવાદી દ્રારા એક એનજીઓ કાર્યાલય ઉભુ કરી તેના બહાના હેઠળ યુવકોને પાકિસ્તાનમાં તાલીમ અર્થે મોકલતો હોવાની વાત સમગ્ર શહેરમાં ચર્ચાની એરણે ચઢવા પામી છે.
આણંદ, અમદાવાદ એટીએસએ આણંદમાંથી હિઝબુલ મુજાહીદ્દીનના સક્રિય કાર્યક્રર અને આતંકવાદી એવા બશીરને બે દિવસ અગાઉ આણંદ નજીકની સામરખા ચોકડીથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ અન્ય આતંકવાદી અને વીતેલા દિવસોમાં આણંદની મહેમાનગતિ માણી ગયેલા હિઝબુલ મુજાહીદ્દીનના બીજા સક્રિય કાર્યક્રર એવા ગુલામરસુલને પકડી પાડવામાં પોલીસ હવામાં હવાતીયા જ મારતી રહી ગઈ છે.
નડિયાદ, નડિયાદ તાલુકાના નરસંડા ગામે આવેલી બી.એમ.પટેલ હાઈસ્કુલમાં ધો.૪ માં ભણતી એક બાળાને તાજેતરમાં નજીવી બાબતે શિક્ષિકાએ માર મારી અપમાન કર્યું હોવાની રજૂઆત તેના વાલીએ જીલ્લા શિક્ષણાધિકારીને કરી છે અને આ બાબતે તપાસ કરાવી પગલા ભરવાની માંગ કરી છે.
આણંદ, ચરોતર પંથકમાં કેટલાક પક્ષીઓની ઘટતી જતી સંખ્યાને લીધે પક્ષીવિદોમાં ચિંતા વ્યાપી છે. આઘુનિકીકરણ અને ખેતપાકોમાં વપરાતા પેસ્ટ્રીસાઈઝને લીધે તેની ગંભીર અસરો પશુપંખીઓ ઉપર વર્તાઈ રહી છે. આણંદ જિલ્લામાં અગાઉના વર્ષોમાં હજારોની સંખ્યામાં જોવા મળતા સારસની સંખ્યા હાલ માત્ર ૭૦૦ થી ૮૦૦ પહોંચી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. ઘર આંગણે જોવા મળતા કેટલાક પંખીઓ હાલ જોવા દુર્લભ બનવા લાગ્યા છે. જો પશુપંખીઓની વિવિધ જાતિઓનું રક્ષણ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં કેટલીક જાતિઓ કાયમ માટે અદ્રશ્ય બની જશે તેવી ચિંતા કેટલાક ચિંતિત પક્ષીવિદો દ્રારા કરવામાં આવી છે.