ખરેખર જોવામાં આવે તો, વાતમાં કંઈ દમ નથી પણ સરકારી કર્મચારીની સર્વિસ બુકમાં ટાંચ મારવામાં આવે તો એ કર્મચારી માટે સારું ન કહેવાય બાકી એનું બહુ મહત્ત્વ બીજાને મન ન ગણાય પણ સરકારી કર્મચારી માટે એક પ્રકારની સજા ગણાય.
આ સજા થઈ છે વહીવટી ચુકના કારણે અને સજા છે એ સરકારી કર્મચારીને બીજું કોઈ સરકારી કામ નહીં આપવાની.
એ સજા જેમને કરવામાં આવી છે એમનો ફાળો આપણા દેશના અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે ઘણો મોટો અને મહત્ત્વનો છે... એ બદલ તો એમને પદ્મ વિભુષણથી નવાજવામાં પણ આવેલા. એ માધવન નાયર ૨૦૦૩થી ૨૦૦૯ સુધી ઈસરોના વડા રહેલા. એ પછી એમને નિવૃત્તિ મળેલી પરંતુ ઈસરોમાં નિવૃત્ત થયેલાને ઇસરોની જ અથવા એવી કોઈક સરકારી સંસ્થામાં નોકરી આપવામાં આવે એવો વણલખ્યો નિયમ છે. એ મુજબ એમને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં પ્રોફેસર તરીકે લેવામાં આવેલા તે હમણાં સુધી એમને સરકારી નોકરીમાં ક્યાંય રાખવા નહીં એવો હુકમ (સજા) થયો ત્યાં સુધી તેઓ ત્યાં જ હતા.
૧૯૬૦ના દસકાથી ઈસરોએ રોકેટનો કાર્યક્રમ ઉપાડ્યો ત્યારથી તેઓ એમાં રોકેટ એન્જીનીયર હતા અને પૂર્વરાષ્ટ્રપતિ અબ્દુલ કલામના તેઓ ખાસ શિષ્ય ગણાય.
આપણા દેશે અવકાશ વિજ્ઞાનમાં જે ફાળ ભરી એ આ માધવનને આભારી છે. તેઓ ઈસરોના વડા (એટલે ચેરમેન) રહેલા એ દરમ્યાન જ આપણા દેશે અવકાશના ૨૫ સફળ પ્રયોગો કરેલા. એમાં પણ ચન્દ્ર ઉપર સફળ ચઢાઈ કરવાનો યશ એમને જ જાય છે. એમની પછી ઈસરોના વડા તરીકે આવેલા કે. રાધાકૃષ્ણને હજી સુધી એવી એકપણ સિઘ્ધિ નથી મેળવી. તેઓ કથકલી નૃત્યના કલાકાર છે અને વિજ્ઞાન કરતાં કલામાં વઘુ રસ ધરાવે છે.
જે વહીવટી ચુક થયાનો વાંક માધવન નાયર ઉપર કાઢવામાં આવ્યો છે એ એન્ટ્રીક્સ-દેવાસ સોદો ૨૦૦૫માં થયેલો. એ સોદામાં દેવાસ મલ્ટીમીડીયા નામની એનઆરઆઈની એક કંપનીને મોબાઈલ સેટેલાઈટ સર્વિસ ઈસરોની સેટેલાઈટની ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હતો.
એ માટે જીએસએટી-૬ સેટેલાઈટ રૂપિયા ૨,૬૯,૦૦,૦૦,૦૦૦ ખર્ચે ફરતો કરવાની મંજુરી કેન્દ્ર સરકારે ૨૦૦૫માં જ છેલ્લા મહિનામાં આપેલી.
એ પછી ડટેચી ટેલિકોમ નામની વિદેશી કંપનીએ ૨૦૦૮માં દેવાસ કંપનીનો ૧૭ ટકા હિસ્સો રૂપિયા ૩૨૩.૨૫ કરોડમાં ખરીદ્યો.
એના એક વર્ષ પછી ડો. કે. રાધાકૃષ્ણને માધવન નાયર પાસેથી ઈસરોનો વહીવટ સંભાળી લીધો. દરમ્યાનમાં પેલી સોદાબાજી સામે ફરિયાદો થવા લાગી. એ ફરિયાદની તપાસ કરવા માટે ઈસરોને બી.એન. સુરેશના વડપણ નીચે તપાસ સમિતિ નીમી. એ સમિતિએ એવો અહેવાલ આપેલો કે દેવાસ કંપની દ્વારા સેટેલાઈટનો ઉપયોગ કરે છે એ વિશે ઈસરોએ પ્રધાન મંડળને જાણ કરેલી નહીં.
આ અહેવાલને ચકાસવા વડાપ્રધાનના કાર્યાલયે ચાતુર્વેદી કમીશનની નિમણુંક કરેલી. એ સાથે પ્રધાન મંડળે આ આખા કિસ્સાને સલામતીની દ્રષ્ટિએ પણ જોયો. અંતે ૨૦૧૧ના માર્ચ મહિનામાં ચાતુર્વેદી સમિતિએ વડાપ્રધાનના કાર્યાલયે અહેવાલ આપીને જણાવ્યું કે... વહીવટી પ્રક્રિયા પાળવામાં નથી આવી.
છેવટે ૨૦૧૨ના જાન્યુઆરીની ૧૩ તારીખે કેન્દ્ર સરકારના અવકાશ વિજ્ઞાનના વિભાગે ઈસરોના અગાઉના વડા જી. માધવન સહિત કુલ ચાર વિજ્ઞાનીઓને સરકારી નોકરીમાં નહીં રાખવાનો હુકમ કર્યો.
જી. માધવન ઉપરાંત જે બીજા વૈજ્ઞાનિકો છે એમાં એક છે ડો. કે.એન. શંકરા. આ શંકરા ઈલેક્ટ્રીકલ કોમ્યુનિકેશન એન્જીનીયર છે. તેઓ અગાઉ ઇસરોના સેટેલાઈટ સેન્ટર અને સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વડા હતા તથા દેવાસ કંપની સાથે ઈસરોનો ‘એન્ટ્રીક્સ’ નામનો જે ધંધાકીય વિભાગ છે એણે જે કરાર કરેલા એનું કાચું લખાણ એમણે કરેલું. શંકરા કહે છે કે... અમે કરારની ટેકનીકલ બાજુને જોઈ હતી. દા.ત. દેવાસ કંપની જે ટેકનોલોજીથી મોબાઈલ સેટેલાઈટનો ઉપયોગ કરવાની હતી એ દેશના દૂરના ભાગમાં ઉપયોગી થઈ શકે તેમ છે કે નહીં એ એમણે જોવાનું હતું.
ત્રીજા જે વૈજ્ઞાનિકને સરકારી નોકરીમાંથી દુર રાખવાનો હુકમ કરાયો છે કે.આર. શ્રીધર મુર્તિ.
તેઓ અમદાવાદના આઈઆઈએમના ગ્રેજ્યુએટ છે અને મીકેનીકલ એન્જીનીયર છે. તેઓ ઈસરોના સાયન્ટીફીક સેક્રેટરી હતા અને ઈસરોની ધંધાદારી પાંખ એન્ટ્રીક્સ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર હતા. ઈસરોએ સેટેલાઈટો ભાડે આપવાનો જે વેપાર શરૂ કર્યો છે એ કંપનીને એન્ટ્રીક્સ કોર્પોરેશન કહે છે. આ શ્રીધર મૂર્તિએ એન્ટ્રીક્સના વડા હતા એ દસ વર્ષ દરમ્યાન એન્ટ્રીક્સનો વેપાર રૂપિયા ૬૦,૦૦,૦૦,૦૦૦માંથી રૂપિયા ૧૦,૫૮,૦૦,૦૦,૦૦૦ થયો હતો. દેવાસ સાથે થયેલા કરારમાં એન્ટ્રીક્સ કંપની એટલે ઈસરો વતી એટલે ભારત સરકાર વતી સહી કરનારા તેઓ હતા. તેઓ કહે છે કે... ‘‘અમે જે કરેલું એ પ્રમાણિકતાપૂર્વક અને વફાદારીથી કરેલું. વેપાર વધારવો જરૂરી હતો અને અમે વેપાર વધારેલો પણ ખરો... પણ એનો જો આવો જ બદલો મળવાનો હોય તો વેપાર વધારવાનો શું અર્થ છે?’’
એમને સરકારી નોકરી કરવામાંથી દૂર રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે એવું એમણે જાણ્યા પછી તેઓ વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી જાતે જ સ્વૈચ્છિક રાજીનામુ આપીને છૂટા થઈ ગયા હતા.
એ. ભાસ્કરનારાયણ્ ચોથા વૈજ્ઞાનિક છે. તેઓ આઈઆઈટી મદ્રાસના ઈલેક્ટ્રીકલ કોમ્યુનિકેશન એન્જીનીયર છે. તેઓ ઈસરોના અગાઉ સાયન્ટીફીક સેક્રેટરી તથા સેટેલાઈટ કોમ્યુનિકેશન પ્રોગ્રામના ડિરેક્ટર હતા. એન્ટ્રીક્સ દેવાસ કરારમાં સાયન્ટીફીક સેક્રેટરી તરીકે તેઓ હિસ્સેદાર હતા. તેઓ કહે છે કે... ‘‘મેં ચાર દસકા સુધી વફાદારપૂર્વક અને તનમનથી કામ કરેલું છે એમાં મેં ક્યાંય ખોટું કર્યું હોય એવું મને નથી લાગતું.’’
ઈસરો સેટેલાઈટો જેને ભાડે આપીને કમાણી કરે છે એ કંપનીઓમાં તાતા સ્કાય, સન ટીવી જેવી કંપનીઓ છે. એ બીજા દેશોને પણ સેટેલાઈટ તૈયાર કરી આપવાનો વેપાર કરે છે.
ઈસરોની એન્ટ્રીક્સ કંપનીએ ૨૦૧૦માં રૂપિયા ૮૮૩.૯૨ કરોડની આવક કરેલી જેમાંથી ચોખ્ખો નફો રૂપિયા ૧૨૮.૦૨ કરોડ થયેલો. એ પહેલાંના વર્ષે એટલે ૨૦૦૯માં કંપનીએ રૂ. ૧૦૫૮ કરોડની આવક કરેલી જેમાં નફો રૂ. ૨૨૯ કરોડનો થયેલો.
જ્યારે ઈસરોનું ૨૦૧૧-૧૨નું બજેટ લગભગ રૂપિયા ૬૬,૨૬,૦૦,૦૦,૦૦૦નું છે જેમાંથી સ્પેસ ટેકનોલોજી ખાતે રૂ. ૪,૧૭,૦૦,૦૦,૦૦૦ રૂ. ૮,૪૮,૦૦,૦૦,૦૦૦ સ્પેસ એપ્લીકેશન ખાતે, રૂ. ૧૦૮૫૦૦૦૦૦૦૦ કોમ્યુનિકેશન સેટેલાઈટ ખાતે, રૂ. ૩૫૧૦૦૦૦૦૦૦ સ્પેસ સાયન્સ ખાતે અને રૂ. ૩૨૨૦૦૦૦૦૦૦ વહીવટી તથા પરચુરણ
ઈસરોની સ્થાપના અને સંચાલન આપણા અમદાવાદના સ્વ. વિક્રમ સારાભાઈએ કરી. તેઓ ઈસરોની રચના ૧૯૬૩માં થઈ ત્યારથી ૧૯૭૨ સુધી ઈસરોના વડા રહેલા. પરંતુ એમનું નાની વયે અવસાન થતા ઈસરોનો વહીવટ વગેરે કેરળના અને કેરળવાસીઓના હાથમાં ચાલ્યો ગયો. દા.ત. ૧૯૯૪ પછી ઈસરોના જેટલા ચેરમેન (એટલે વડા) થયા એ બધા જ કેરળના જ હતા. એટલે કે મલયાલમ ભાષીઓના હાથમાં જ ઈસરોનો વહીવટ રહ્યો છે.
એ કેરલીઓ પછી ઈસરો ઉપર બીજા નંબરે જો વર્ચસ્વ કોઈનું હોય તો એ તમિળ ભાષી તામિલનાડુ વાસીઓનું રહ્યું છે.
આ તમિળ ભાષી અને મલયાલમભાષીઓ વચ્ચે ‘‘બાપા માર્યા વેર’’ વર્ષોથી ચાલે છે. નદીઓ અને બંધોના પાણીઓથી માંડી ટેક્સી-મોટરોની એકબીજાના પ્રદેશમાં આવ-જા અને ઈસરોના વહીવટ સુધી વેરઝેર પહોંચેલા છે. દેશભરમાં ઈસરોના ૧૯ મથકો છે જેમાં વૈજ્ઞાનિકો અને બીજા કર્મચારીઓ મોટાભાગે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થિરુવન્તપુરમ્માંથી હોય છે. એ મથકમાં રોકેટ વિશે કામકાજ થાય છે.
ઈસરો સેટેલાઈટ સેન્ટર, બેંગ્લોરમાં અને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં સેટેલાઈટ અથવા રોકેટ અવકાશમાં મોકલવાનું કામ થાય છે. જ્યારે રોકેટમાં ઇંધન વગેરે ટેકનોલોજીનું કામ બીજા ત્રણ મથક ઉપર થાય છે અને અમદાવાદના સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાં એન્ટ્રીક્સ કોર્પોરેશનનું કામ થાય છે.
- ગુણવંત છો. શાહ
સ્પેક્ટ્રમ
અમિતાભ બચ્ચન કવિવર રવીન્દ્રનાથનું
‘એકલો જાને રે!’ કાવ્ય ગાશે
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું ‘એકલા છોલો રે’ પ્રેરણાદાયક પ્રસિઘ્ધ કાવ્ય છે. ગુજરાતીમાં એનો અનુવાદ મહાત્મા ગાંધીના મંત્રી મહાદેવભાઈ દેસાઈએ ‘‘એકલો જાને રે... તારી જો હાક સુણી કોઈ ના આવે તો.. એકલા જાને રે’’ કર્યો છે.
આ કાવ્યને ગાયક-અભિનેતા મહાન કલાકાર ૬૯ વર્ષના અમિતાભ બચ્ચન વિદ્યાબાલન અભિનીત ફિલ્મ ‘કહાની’ માટે ગાવાના છે. એ ફિલ્મનું દિગ્દર્શન સુજય ઘોષ કરે છે. તેઓ બંગાળી છે અને રવીન્દ્રનાથ પણ બંગાળી હતા તથા અમિતાભે નોકરીની શરૂઆત પણ કોલકાતા બંગાળમાંથી કરેલી.
અમિતાભે ઘણી ફિલ્મોમાં કેટલાક ગાયનો ગાયા જ છે. એ ઉપરાંત એમના પિતા હરિરાય બચ્ચનની કવિતાના સંગ્રહની ઘણી કવિતાઓ પણ ગાઈ છે.
બહુ કે’વાય!
ખર્વોપતિ ધનિકોની યાદીમાં મુંબઈનો નંબર દુનિયામાં પાંચમો
‘‘વેલ્થ ઈનસાઈટ’’ નામની વેબસાઈટે કરેલી મોજણી મુજબ દુનિયાના ૨૫ ધનાઢ્યોના પણ ધનાઢ્ય શહેરોમાં મુંબઈ ૫મા નંબર પર છે.
ગયા વર્ષે મુંબઈ ૬ઠ્ઠા નંબર પર હતું. જ્યારે ન્યુયોર્ક પહેલા નંબર પર છે. દુબઈ જો કે પહેલા પાંચમાં નથી પણ મઘ્ય એશિયાના (આરબ) દેશોમાં પહેલા નંબર પર છે.
દુનિયામાં ૧૩૦૦ કરતાં વઘુ ખર્વોપતિ છે જેમાંના ૧૪ દુબઈમાં છે.
આ યાદીમાં ૧લા નંબર પર ન્યુયોર્ક છે, બીજે મોસ્કો, ત્રીજે લંડન, ચોથે હોંગકોંગ અને પાંચમે મુંબઈ છે.
કેટલાક ધનાઢ્ય ભારતીયો એવા છે કે જે ભારતમાં નથી રહેતા પણ દુબઈ કે સંિગાપુરમાં રહે છે.