સત્ય, અહંિસા અને બ્રહ્મચર્યને પ્રયોગાત્મક ધોરણે પોતાના જીવનમં ચરિતાર્થ કરનાર વિરલ વિભૂતિ એવા મહાત્મા ગાંધીજીનું નામ સમગ્ર દુનિયામાં અમર છે. આવા વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીએ સાચા અર્થમાં રાષ્ટ્રની સેવા કરી તેઓને મળેલ ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ સાર્થક કર્યું.
તેઓએ સ્વદેશી ભાવના, અસ્પૃશ્યતા નિવારણ, ખાદીપ્રચાર, દારૂબંધી માટે અમૂલ્ય યોગદાન આપ્યું અને દેશમાં એકતા અને ભાઈચારાની ભાવના વૃદ્ધિગંત થાય તે માટે અથાક પ્રયત્નો કર્યા. મહાત્મા ગાંધીજી એટલે રાષ્ટ્રઘડતરના શિલ્પી. ‘સાદુ જીવન ઉચ્ચ વિચાર’ને મૂર્તિમંત રૂપ આપનાર સાધક, વાત્સલ્યના વારિધિ, શ્રદ્ધાની જ્યોત, અણિશુઘ્ધ આચરણના પ્રતીક, અપરિગ્રહના ઉપાસક, સ્વાશ્રયના અનુરાગી, પરિશ્રમની પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રસેવાની જીવંત પ્રતિમા, કુદરતી સંપત્તિના રક્ષણના હિમાયતી, સમયપાલનના ચુસ્ત આગ્રહી, ગરીબોના બેલી, અહંિસાના પૂજારી, જીવનમૂલ્યોને પ્રયોગાત્મક ધોરણે અમલમાં મૂકનાર પ્રયોગવીર, પ્રાર્થનાના પરમ અનુરાગી, મુઠ્ઠી ઊંચેરા માનવી, ખાદીના ચાહક અને વિશ્વમાં સત્યાગ્રહને ગુંજતો કરનાર વિશ્વવંદ્ય વિભૂતિ.
મહાત્મા ગાંધીજીને જ્હોન રસ્કિન, લિઓ ટૉલ્સટૉય, ગોપાલકૃષ્ણ ગોખલે અને શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનમાંથી ઘણી પ્રેરણા મળી હતી. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રાજ નાથુરામ ગોડસે નામની વ્યક્તિએ ગોળી મારી તેઓની હત્યા કરી. અંતિમ સમયે તેઓના મુખમાંથી નીકળેલા ‘હે રામ’ શબ્દ તેમના જીવનની સાર્થકતા સૂચવે છે. સૌના પ્રેરણામૂર્તિ આવા મહાપુરુષન જીવનચરિત્રના કેટલાક પ્રસંગોનું અવલોકન કરી તેને આત્મસાત્ કરવા પ્રયત્ન કરીએ.
(૧) સર્વાત્મામાં સમદ્રષ્ટિ
ઠંડીના દિવસોમાં એક દિવસ મહાત્મા ગાંધીજી આશ્રમની ગૌશાળામાં પહોંચ્યા. ત્યાં ગોશાળામાં ઊભા રહેલા એક ગરીબ છોકરાને જોઈ ગાંધીજીએ પૂછ્યું, ‘‘રાત્રે તું શું ઓઢીને સૂઈ જાય છે?’’ છોકરાએ તેની ફાટેલી ચાદર ગાંધીજીને બતાવી.
બાપુએ તે જ વખતે પોતાની કુટિરમાંથી બે જૂની સાડીઓ, થોડા જૂના પેપરા અને રૂ મંગાવ્યું. રૂને પોતાના હાથથી સાફ કર્યું. સાડીઓની ખોળ કરી અને રજાઈ બનાવી. પછી પેલા છોકરાને બોલાવ્યો અને તેને તે રજાઈ આપી. બીજા દિવસે સવારે જ્યારે બાપુ ગૌશાળામાં પહોંચ્યાં ત્યાં તો પેલા છોકરાએ ખુશ થતાં બાપુને કહ્યું, ‘‘બાપુ કાલે રાત્રે મને ખૂબ સરસ ઉંઘ આવી.’’ બાપુના ચહેરા ઉપર હાસ્ય ખીલવા લાગ્યું. તેઓ બોલ્યા, ‘‘ત્યારે તો હું પણ આવી જ રજાઈ ઓઢીશ!’’
(૨) પ્રાર્થનાનું મૂલ્ય
મહાત્મા ગાંધીજી અને તેમના સાથીદારો દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે એક ગામમાં ચરખાસ્પર્ધા યોજાઈ હતી. પૂર્ણાહૂતિ સમયે ત્યારે રાતના ૧૨ વાગ્યા હતા. પથારીમાં પડતાવેંત સૌ ઘસઘસાટ સૂઈ ગયા. રાત્રે બે વાગ્યે ગાંધીજીની આંખ ઉઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે પોતે સૂતી વેળાની પ્રાર્થના કરવાનું ભૂલી ગયા હતા. તેમને એક પ્રકારનો આઘાત લાગ્યો. કડકડતી ઠંડીમાં પણ તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા!
આખી રાત પ્રાર્થનામાં પસાર કરી. સવારે સાથીદારોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પૂછ્યું કે અજાણતા આવી નાનકડી ભૂલી થઈ ગઈ તેનું આટલું પ્રાયશ્ચિત! ગાંધીજીએ કહ્યું, ‘‘આ ભૂલ નાનકડી ન ગણાય. રાતદિવસ મને જિવાડી રહ્યો છે તે ઇશ્વરને હું ભૂલી બેઠો એ કંઈ નાનોસૂનો અપરાધ નથી!’’ ઈશ્વર પરની ગાંધીજીની આવી દ્રઢ આસ્થા જોઈ સાથીદારોના મસ્તક આદરભાવે નમી પડ્યા.
(૩) ચાલતો ફરતો ફરિશ્તો
જ્યારે ચંપારણમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો તે સમયની વાત છે. એક દિવસ સાંજે સત્યાગ્રહીઓ પોતાની છાવણીમાં આવી રહ્યા ત્યારે એક કોઢિયા સત્યાગ્રહીથી ચલાતું ન હોવાથી તે પાછળ રહી ગયો. ગાંધીજીને આની જાણ થતાં તરત હાથમાં બત્તી લઈને તેની શોધમાં નીકળી પડ્યા. તેમને શોધીને દુઃખ સાથે ગાંધીજીએ કહ્યું, ‘‘અરે ભાઈ! તમારાથી ચલાતું નહોતું તો મને કેમ કહ્યું નહિ?’’ પછી કોઢિયા સત્યાગ્રહીના લોહી-પરુથી લથપથ પગને સાફ કરી ગાંધીજીએ પોતાની ચાદર ફાડીને તેના પગ પર કપડું લપેટી દીઘું અને તેને ટેકો આપીને આશ્રમાં લઈ ગયા. તેના પગ ધોયા અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડીને પ્રાર્થના કરી.
(૪) મઝિયારી મિલકત
ગાંધીજી પાણીની નાની લોટી વડે સવારે દાતણ કરી મોં સાફ કરતા. એક દિવસ મોહનલાલ પંડ્યા કહે, ‘‘બાપુ, પાણીનો ક્યાં તોટો છે? આખી સાબરમતી નદી વહે છે. પાણીની કરકસર શું કામ કરો છો?’’ ગાંધીજીએ કહ્યું, ‘‘નદીનું પાણી પશુ-પંખી-માણસ-જીવજંતુ સૌના માટે છે, મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું હું જરૂર લઉં. પણ વધારે લેવાનો મને કશો જ હક નથી. સહિયારી મિલકતમાંથી ખપ કરતાં વધારે આપણાથી શીદ લેવાય?’’
(૫) શરીરની સંભાળ
એકવાર ગાંધીજીએ કસ્તૂરબાને કહ્યું, ‘‘આ નાશવંત શરીરનો મોહ ન રાખવો જોઈએ. શરીરને ઉચિત માત્રામાં કષ્ટ આપવું જોઈએ.’’ કસ્તૂરબા જ્યારે ગાંધીબાપુને આરામ કરવાની સલાહ આપતા ત્યારે ગાંધીજી આવું કહેતાં. એક વાર ગાંધીજીને ઠોકર વાગી અને લોહી નીકળવા લાગ્યું. બાપુએ કસ્તૂરબાને કહ્યું, ‘‘જરા કેરોસીનમાં પલાળેલું રૂ લઈ આવોને.’’ કસ્તૂરબાએ કહ્યું, ‘‘તમે તો શરીરનો મોહ રાખવાની ના કહેતા હતા ને!’’ ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘‘આ શરીર હવે મારી અંગત માલિકીનું થોડું છે! પ્રજાની સેવા કરવા માટે સર્જાયેલું છે, એટલે હવે સવિશેષ સંભાળ લઉં છું.’’
|