ઉચ્ચ સંસ્કારો ગરીબોમાં હોય કે માલદારોમાં પણ ? લોકો ખરેખર શાને મહત્વ આપે છે ? પૈસાને કે સંસ્કારોને ?
ઉચ્ચ સંસ્કારો ગરીબોમાં હોય કે માલદારોમાં પણ ? લોકો ખરેખર શાને મહત્વ આપે છે ? પૈસાને કે સંસ્કારોને ?
* પ્રશ્નકર્તા ઃ જયદેવભાઈ બ્રહ્મભટ્ટ, નવરાત્રિ ચોક, મું. પુંદરા, તા. માણસા
ઉચ્ચ સંસ્કારયુક્ત જીવન એટલે માણસાઈયુક્ત જીવન. માણસમાં પશુત્વ પ્રબળ બને તો એનું પતન થાય, અને દેવત્વ કે પવિત્રતા પ્રબળ થાય તો એને સમુત્કર્ષ થાય. માણસ માટે ૠષિઓએ એટલે જ એક પ્રેરક સૂત્ર આપ્યું ઃ ‘મનુર્ભવ’ એટલે કે માણસ બન. મનન કરવાની શક્તિ પણ કુદરતે માણસને એટલા માટે જ આપી છે કે આ ધરતીના સર્વોત્કૃષ્ટ સર્જન તરીકે માણસ જાતને અને જગને જાળવે, જીવમાત્રનો, પ્રાણી માત્રનો રક્ષક બને. માણસમાં રહેલા રાજસિક અને તામસિક ગુણો એને ગેરમાર્ગે દોરે અને સાત્વિક ગુણો એને સન્માર્ગ તરફ લઈ જાય. ઉચ્ચ સંસ્કારો અને સાત્વિક જીવનનો રાજપથ છે, જે અંતે માણસને મોક્ષ કે મુક્તિ માટે લાયક બનાવે છે. ઉચ્ચ સંસ્કારોનું બીજારોપણ માણસમાં માતાની ગર્ભાવસ્થાથી થવું જોઈએ અને તબક્કાવાર જુદી જુદી સંસ્કારલક્ષી ક્રિયાઓ, શિક્ષણ વગેરે દ્વારા મનુષ્ય માનવ તરીકેનું કર્તવ્ય દીપાવી જીવતરમાં ધન્યતા અનુભવે.
પણ ‘માણસ’ બનવાનું કામ વીજળીની સ્વીચ દબાવીએ અને પ્રકાશ થાય એટલું સહેલું નથી, કારણ કે સાંસારિક સુખો, આકર્ષણો, વૈભવ વિલાસ વગેરે તેને ‘પ્રજ્ઞાવાન’ બનવાને બદલે માત્ર ‘સુખી થવા’ પ્રેરે છે. ઇન્દ્રિયો પોતાની તરફ માણસને ખેંચે છે. મન ચલિત-વિચલિત થતું રહે છે. એટલે મનને ભટકતું રહેવા દેવાને બદલે પવિત્રતાના કુંડમાં સ્નાન કરાવી સન્માર્ગ તરફ નિરંતર વાળતા રહેવાનો જાગૃત પ્રયાસ કરવો પડે છે. એ માટે સત્સંગ અને સદાચાર મદદરૂપ થાય. મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવાનું નામ જ આત્મ સંયમ. ઉચ્ચ સંસ્કારોના દ્રઢીકરણથી માણસ દુર્ગુણો પર વિજય પ્રાપ્ત કરી શકે છે.
માણસના જીવનમાં ધનની ઉપેક્ષા કરવાનું ધર્મશાસ્ત્રો નથી કહેતાં, પણ ધર્મપૂર્વકના પ્રયત્નો અને શુદ્ધ સાધનો દ્રષ્ટિ સમક્ષ રાખી ધનોપાર્જન કરવાનું સૂચવે છે. એનો અર્થ એ થયો કે કોઈ તવંગર માણસ પણ ધર્મ તરફ નજર રાખે તો એ અનીતિપૂર્વક ધન ભેગું કરવાની કોશિશ નહીં કરે. ધનનો સદુપયોગ કરશે. ઉચ્ચ સંસ્કારો તેને દાની, ત્યાગી અને પરોપકારી બનાવશે. ધનિક હોવા છતાં એ એવું કશું જ નહીં કરે જેથી તેના ઉચ્ચ સંસ્કારયુક્ત જીવનને લાંછન લાગે.
ગરીબ માણસ પણ ગરીબી તો ઇચ્છતો જ નથી. એને પણ સુખી થવાના સાધન તરીકે ધનની અપેક્ષા હોય છે. ધનપ્રાપ્તિ માટે એ પ્રયત્ન ઉપરાંત દેવ કે દૈવની કૃપાને પણ આવશ્યક ગણે છે. એટલે સામાન્યતઃ ગરીબ માણસ ધર્મભીરૂ હોય છે. શક્ય હોય ત્યાં સુધી એ અનિતીના માર્ગે નહીં ચાલવાની સાવધાની રાખે ચે. તેમ છતાં ગરીબ માણસ પણ લાચારીનો શિકાર બને છે અને લોભ, લાલચ, કામ-ક્રોધ વગેરેની પકડમાં આવી જાય તો નીતિનાં તમામ ધોરણો નેવે મૂકતાં અચકાતો કે ખચકાતો નથી, કારણ કે જરૂરિયાત તેને કાયદો કે નીતિમત્તા અંગે વિચાર કરતાં અટકાવી દે છે.
એટલે જ અમીર હોય કે ગરીબ, બન્ને આખરે તો માણસ જ છે. બન્નેને દુર્લભ એવું મનુષ્યત્વ પ્રાપ્ત થયેલું છે. એટલે બન્ને જો જીવનમાં વિવેકને હેમખેમ રાખી શકે તો જ પોતાનામાં રહેલાં દૂષણો ત્યજી શકે. પણ વિવેક જન્મવા માટે પણ સત્સંગ આવશ્યક છે. એટલે જ તુલસીદાસજીએ કહ્યું કે ‘બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામકૃપા બિન સુલભ ન હોઈ.’ સત્સંગ માણસમાં ઉચ્ચ સંસ્કારો અને ઉચ્ચ વિચારો જન્માવી શકે, અલબત્ત એ માટેનો ‘ગુરૂ’ ‘સદ્ગુરૂ’ હોવો જોઈએ, બાકી તો ‘ધન હરે, ધોખા ન હરે, એ ગુરૂ કલ્યાણ શું કરે ?’
સુસંસ્કારોની આવશ્યકતા માનવ માત્રને છે. મુખ્ય પ્રશ્ન છે તમે જીવનમાં મહત્વ શાને આપો છો ? ધનને કે ધર્મને ? ઉચ્ચ સંસ્કારોને કે વૈભવ વિલાસને ? ઇમાનદાર જીવનને કે લોભ-લાલચયુક્ત સુખી જીવનને ? પણ માણસ માટે પશુતાનો માર્ગ સરળ છે, દેવત્વનો માર્ગ અત્યંત કપરો, કારણ કે માણસનું ચંચળ મન એ લોભ માટે લલચાવે છે. લોભ વિવેકને ભરખી જાય છે એટલે ઉચ્ચ સંસ્કારોને બદલે માણસ પતનની ખીણમાં ધકેલાઈ જાય છે.
આજના જગતમાં પૈસો ‘સાધન’ રહેવાને બદલે ‘સાઘ્ય’ બની ગયો છે. અમીર હોય કે ગરીબ બન્નેની નજર પૈસા તરફ છે. ગરીબ સુખી જીવન માટે પૈસો ઝંખે છે અને અમીર વઘુ અમીર બનવા પૈસો ઝંખે છે. પરિણામે ધન પાછળની દોડ અને ધનવૃદ્ધિની લાલચ બન્નેને વિવેકભ્રષ્ટ બનાવે છે.
એક સમય હતો, જ્યારે માણસ પૈસાને બદલે પવિત્રતાને મહત્વ આપતો હતો. ‘લાખ જાય તો જાય, પણ શાખ ન જવી જોઈએ’ એ આદર્શને નજર સમક્ષ રાખીને જીવતો હતો. એને કારણે તવંગરો વચ્ચેથી પણ સમાજને ‘ભામાશાઓ’ પ્રાપ્ત થતા. રાજકારણના કીચડ વચ્ચે પણ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, લાલ બહાદુર શાસ્ત્રી જેવી વિભૂતિઓ દેશને પ્રાપ્ત થતી. સત્તા તેમને માટે સેવાનું સાધન હતી એટલે તેઓ સત્તા લજવાય એવું કશું જ નહોતા કરતા. પહેલાંના માણસો ગરીબીને અભિશાપ માનવાને બદલે જે મળ્યું છે, તેમાં સંતોષ માનતા. એટલે તેમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું મહત્વ હતું. અમીરી પણ અમીરો પચાવી શકતા હતા અને અમીરીમાં પણ સજ્જનત્વ અને સૌજન્યને હરપળે યાદ રાખતા હતા. પરિણામે તેઓ સમાજધર્મી હતા, ઉદાર હતા, પરોપકારી હતા અને સાચા અર્થમાં ‘શેઠ’ એટલે કે ‘શ્રેષ્ઠ’ માણસ હતા, કારણ કે ઉચ્ચ સંસ્કારો અર્થાત્ ઉદાત્ત જીવનમૂલ્યોને તેઓ અંગત જીવન કે વેપાર-વાણીજ્યમાં ક્યારેય વિસરતા નહોતા. આજે ‘શેઠો’ વઘ્યા છે, પણ આચારગત શ્રેષ્ઠતા સંશોધનનો વિષય બની છે. ગરીબો પણ ધનને મહત્વ આપવાને બદલે ઉચ્ચ સંસ્કારોને ‘પેથી’નો વિષય માની અનીતિ આચરવામાં છોછ અનુભવતા નથી ! ધીરે-ધીરે દુનિયામાં એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે કે સજ્જન, પવિત્ર કે નીતિવાન માણસ, પણ ‘જીવવાની આવડત’ વગરનો માણસ ગણાઈ રહ્યો છે. ‘સર્વગુણ કાંચનં સમાશ્રિત’ એટલે કે સુવર્ણ કે ધનમાં જ સર્વગુણો સમાયેલા ગણાવા લાગ્યા છે. કવિ રામનરેશ ત્રિપાઠીએ કેવો વેધક સવાલ આજના મનુષ્ય સમક્ષ ઉપસ્થિત કર્યો છે ?-
‘તુમ મનુષ્ય હો અમિત બુદ્ધિબલ,
વિલસિત જીવન તુમ્હારા,
ક્યા ઉદ્દેશ્ય રહિત હૈ જગમેં,
તુમને કભી વિચારા ?
બૂરા ન માનો, એક બાર સોચો,
તુમ અપને હી મનમેં,
ક્યા કર્તવ્ય સમાપ્ત કર લિયે,
તુમને નિજ જીવનમેં ?’
મૂળ પ્રશ્ન આ છે ઃ જીવન કર્તવ્યનિષ્ઠ બને, ઉદ્દેશપૂર્ણ બને, ઉચ્ચ વિચાર અને ઉચ્ચ આચારયુક્ત બને એ માટે ઉચ્ચ સંસ્કારોની ગરીબ અને અમીર બન્નેને જરૂર છે. યજુર્વેદ કહે છે ઃ આ સંસારમાં કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઇચ્છા કરો. અહીં ‘કર્મ’ સાથે ‘સત્કર્મ’ શબ્દ જોડીને જ સહુએ જીવનશૈલી નિર્ધારિત કરવાની છે. માણસ ઉચ્ચ સંસ્કારયુક્ત જીવન જીવે એની આશા રાખીને પરમશક્તિ સદાય પ્રતીક્ષારત રહે છે... આપણે અન્ય સ્વર્ગની કલ્પના જ છોડી દઈએ, અને આપણને જીવનના વરદાન રૂપે મળેલી આ ધરતીને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ આચારના સંસ્કારસુમન દ્વારા મહેકતી બનાવીએ તો આ ધરતી જ નંદનવન છે, સ્વર્ગોપમ છે.
|