જીવનસાથીનો ધર્મ છે જીવનમાં સુખનો અનુભવ કરાવવો. સુખ જન્મે છે શાંતિમાંથી. એને બદલે શાંતિનો જ ભોગ લે તેવી કચકચમાં સગવડ માટેની દોડ શરૂ થાય છે ને સુખ તો ક્યાંય પાછળ રહી જાય છે.
ઓ હંિદ, દેવભૂમિ ! આ દેવભૂમિની દુર્દશા ને છાવરતા
એક સમયે ભૂ.પૂ.વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહેલું કે, ભ્રષ્ટાચાર તો વૈશ્વિક છે ! ત્યારે ભારે ઉહાપોહ થયેલો. ભ્રષ્ટાચાર દૂર કરવાની પ્રતિબદ્ધતા ન હોવા વિષે પણ જોરજોરથી આક્ષેપ થયેલા. પણ, આ તારણ ખોટું તો નહોતું જ. ભ્રષ્ટાચારની વ્યાપકતા આજે હવે જગત સામે છે. અતિ પ્રામાણિક વહીવટીતંત્ર તરીકે જાણીતા રાષ્ટ્રોના ભ્રષ્ટાચારીઓ પણ જાણીતા થયા છે. કેટલાક જેલમાં છે. કોઈકે આત્મહત્યા કરી છે. કેટલાક વિકસિત દેશોમાં દૈનિક વ્યવહારોમાં ભ્રષ્ટાચાર નથી આથી ત્યાં કેટલીક વ્યવસ્થા સચવાઈ છે. પ્રજાના અધિકાર રૂપે એની રખેવાળી થાય છે. સ્વચ્છતા, આરોગ્ય, શિસ્ત, પ્રામાણિકતા, વિશ્વાસ... હજી સચવાયા છે. આ પ્રજાને હજી એ અનુભવ નથી કે આ તમામ સ્તરે ભ્રષ્ટાચાર શક્ય છે. અને એના ભોગ જનસામાન્યે બનવું પડે છે. ઉચ્ચ સ્તરના મોટા પાયાના ભ્રષ્ટાચાર તો ત્યાં પણ છે. અને આવા ભ્રષ્ટાચારને કારણેે કથળેલા અર્થતંત્રની અસર હવે જે તે દેશોમાં પણ અનુભવાય છે.
ભારતમાં તેની શરૂઆત વર્ષો અગાઉથી થઈ ગઈ છે. એટલે હવે આપણે નાના સ્તરના રોજીંદા ભ્રષ્ટાચારથી ટેવાઈ ગયા છીએ. અલબત્ત, હજી એની ચર્ચા કરીએ છીએ, પણ હવે ઉચ્ચ સ્તરના વ્યાપક ભ્રષ્ટાચાર આપણી વાતચીતનો વિષય નથી. કારણ કે, એ જે રકમના ભ્રષ્ટાચાર છે એને લખતદા કે બોલતા આવડે નહિ એવો વિશાળ જનસમૂહ આપણે ત્યાં છે. અને એટલે જ આટલા મોટા ભ્રષ્ટાચારની હંિમત ખૂલે છે. પ્રજા અશિક્ષિત છે. પ્રજાને ડરાવીે રાખી છે. પ્રજા રોજબરોજના જીવન સંઘર્ષમાં અટવાઈ છે. પ્રજાને જાણ છે કે આ દૈનિક સંઘર્ષમાં પણ કામ કરાવવા ભ્રષ્ટાચાર કરવો જ પડે તેમ છે. અને એ રીતે હવે એને ય ભ્રષ્ટાચારની નવાઈ નથી. તક મળે તે ભ્રષ્ટાચાર કરે જ એ વાત હવે સહુએ સ્વીકારી લીધી છે. પ્રામાણિકતા અને ભ્રષ્ટાચારની તક ન મળવાની અવસ્થા માત્ર છે. પ્રજાને મળેલા અધિકારો કાગળ પર છે. અને એ અધિકાર માટે લડવાની કાનૂની પ્રક્રિયા અતિખર્ચાળ છે. ભ્રષ્ટાચાર સામે લડવા કોર્ટે ચડવું હોય તો ઘર-ખોરડાં ગીરવે મૂકાઈ જાય એવી સ્થિતિ છે. આથી જે છે તે બરાબર છે, એ તો એમ જ હોય એમ માનવું પડ્યું છે.
જેની પાસે છે એ થોડું આપે છે એમાં ભ્રષ્ટાચાર ક્યાં આવ્યો ? એની પાસે કૈં ઓછું થવાનું નથી અને એ ય એના લાખની ગણતરી સાથે જ આવ્યો હોય છે. તો પછી લેવામાં વાંધો શો ? - આવી દલીલ પણ થાય છે. પણ દલીલ કરનાર એ ભૂલી જાય છે કે આપવા આવનારને જે લેવાનું છે એ મળવાપાત્ર હોય તો ભલે ને ન હોય તો પણ લખવાની તમારી તૈયારી છે ? આ જે કૈં ભેટ મળે છે એ શાને કારણે મળે છે ? તમને મળેલા અધિકારની રૂએ તમે જે અર્થઘટન કરવાના છો એ માટે છે ને ? અને આ કામનો તો તમને ગોરવભેર પગાર મળે છે. તમારી આવડત, તમારી યોગ્યતાનો એમાં આદર ભળ્યો છે. તો આ વધારાની ભેટ શાને ? નવા વર્ષે ભેટના ઢગલા થયા હોય એવી ઓફિસોમાં મીઠાઈઓ સડી જાય છે. ક્યાંક એને બીજાને પધરાવી દેવાય છે. ને તો ય દરિયામાં ટીપું ઉમેરનારા ઉમટ્યા જ કરે છે. સાહેબના ઘેર હવે જગ્યા નથી. પેટમાં મૂકાય તેમ નથી. ડાયાબીટીસ અને બ્લડપ્રેશરનો સંગાથ છે ને છતાં ના પડાતી નથી... શું કરે ? આપનારનો આગ્રહ છે... આદર કરવો પડે, ભાઈ !
આપણે ત્યાં ‘ભેટ’ આપવાનો રિવાજ પારિવારિક પ્રસંગોમાંય છે જ. તહેવારોમાં ય છે, તો એનો વિરોધ કેમ ? પોતાના કાર્યાલયના કામકાજ સંદર્ભે જે સંબંધ બંધાય એને પારિવારિક સંબંધ ગણીને આવા વહેવાર થાય એમાં વાંધો શાને ? પણ, આવા વહેવારમાં રહેલ ભ્રષ્ટાચાર ને વેળાસર રોકવો જરૂરી છે, કારણ કે જે રાષ્ટ્રોમાં જનસાધારણને હજી ભ્રષ્ટાચારનો અનુભવ નહોતો એમણે એમના દેશોમાં કથળતા અર્થતંત્ર અને ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કર્યાં છે. આપણે તો ભ્રષ્ટાચારનો દૈનિક વ્યવહાર તરીકે સ્વીકાર કર્યો છે પણ આપણે પણ હવે જાગી જવા જેવું છે.
વિશ્વભરમાં વ્યાપક બની રહેલા આ જન અસંતોષે સમયસર ઓળખી લેવામાં ડહાપણ છે. આપણે ત્યાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને લોકપાલ બિલ અંગે ઘણું ઘણું કહેવાઈ ગયું છે. તાજેતરમાં એક વાત ચર્ચામાં આવી છે કે ભ્રષ્ટાચારના આવા બેફામ વધારા સાથે કોર્પોરેટ જગત જોડાયેલું છે. કોર્પોરેટ જગતની તાકાતનો પરિચય થઈ રહ્યો છે. ઝડપથી થતા વિકાસના મૂળમાં કોર્પોરેટ જગત છે. એના આયોજન અને અમલની શક્તિ છે. એમાં પરિણામલક્ષી અભિગમ છે. કામ સોંપાય એટલે પરિણામ મળવું જ જોઈએ. કામ કરનારની પાત્રતાને યોગ્ય પગાર ભથ્થા અને અન્ય સગવડ મળે. ઉત્તમ સુવિધાઓ મળે. પણ, કામનો બોજ, જવાબદારીની તાણ એનો આનંદ ન લેવા દે. રકમ ચૂકવનારને એનું વળતર જોઈએ. જો મળે ત્યાં સુધી ખુશ. મળવામાં વાર થાય ત્યાં સન્માનીય વ્યવહાર પણ ન સચવાય. ભાષાનું સ્તર પણ કથળે. અને અપેક્ષિત પરિણામ ન મળે તો લાત મારીને કે ચાના કપમાંથી માખી ફેંકી દે તેમ ફેંકી દેવાય. કંિમત માણસની તો નથી, એની પાસેથી મળતા પરિણામની છે. આવું આ કોર્પોરેટ જગત ક્રૂર છે. દયાહીન છે. કારણ કે અહીં કરોડો રૂપિયા ખર્ચાયા છે. પરિણામ ન મળે તો મોટી ખોટ જાય. નફો થાય એમાંથી થોડોક હિસ્સો જે તે સમાજના હિતમાં પણ ખરચાય. પણ, નફો આવશ્યક અને એ મેળવવા જે કરવું પડે તે કરો. ના સાંભળવાની અહીં કોઈને ટેવ નથી અને હા કરાવવા માટે જે કરવું પડે તે કરવાની છૂટ છે.
વહીવટીતંત્ર જાણે છે કે અહીં કેટલી મોટી રકમ રોકાયેલી છે અને એથી જ પ્રોજેક્ટ જલદી અમલમાં આવે ને કમાણી શરૂ કરે તે જરૂરી છે. આથી આ ઉતાવળને જેટલી રોકડી કરી શકાય તેટલી કરી લેવી. રાજકીય પક્ષોને ખબર છે કે પોતે સત્તા પર છે ત્યાં સુધીની આ લીલા છે. વિરોધ પક્ષ ધમકી આપી શકે છે કે શું નિયમ બહાર થયું છે તે અમે જાણીએ છીએ. વહીવટીતંત્ર કહે છે કે નિયમો જ એટલા છે કે એકાદનો ભંગ શોધીને કામ અટકાવી દેવાનું અમારે માટે અઘરું નથી. કોર્પોરેટ જગતના માંધાતાઓ એ કહ્યું કે ભૂખ કરતાં બમણું પીરસો... ને આ રીત સફળ થાય, કામ પૂરાં થાય પછી ‘બમણું ખાવાની ભૂખ જાગે... એટલે વધારે પીરસાય... ને પછી આ બઘું જ પાછું મેળવવા માટે ભાવવધારો થાય.’
આખા દેશનો કારભાર રાજકીય પક્ષો, વહીવટી તંત્ર અને સમૂહ માઘ્યમો પાસે છે અને કોર્પોરેટ જગતે એ વ્યવસ્થા ઊભી કરી છે જેની જાળમાં સહુુ સપડાયા છે. હવે સેવા પણ વ્યવસાય છે. ત્યાં વ્યવસાયનું રૂપ તો શું હોય ? કોર્પોરેટ જગત પાસે ધનના ઢગલા છે. પણ આ ધન એમની માલિકીનું નથી. એમની પ્રચારકળા અને પરિણામોને કારણે પ્રજા એમાં પૈસા રોકવા પ્રેરાઈ છે. આમ આ પ્રજાના પૈસાનો વહેવાર ચાલે છે ! પ્રજાના પૈસે ભ્રષ્ટ બનેલાઓની દાઢે હવે ભ્રષ્ટાચારનો સ્વાદ બેસી ગયો છે. એટલે એ નાનું કામ પણ, નિયમસરનું કામ પણ, સમયબદ્ધ કરવા માટે રકમની અપેક્ષા જ નહિ, આગ્રહ રાખે છે ને મળે તો જ કામ કરે છે.
આજે હવે કશુંય, એની નિર્ધારિત રકમ સિવાય, ઉપરની રકમ ચૂકવ્યા વગર મેળવવું શક્ય જ નથી. જેને જે કામ કરવાનો પગાર મળે છે એ એ જ કામ કરવા માટેના પૈસા માંગતા શરમાતા નથી, અને આપનાર એ માટે તૈયાર પણ હોય જ છે. ભ્રષ્ટાચાર એ ફરિયાદનો વિષય જ નથી, એ હવે માત્ર ચર્ચાપત્રોનો વિષય બનીને રહી ગયો છે. કે જેને કોઈ વાંચવા માંગતું નથી. બધા જ જાણતા હોય ને છતાં જે વિરોધ વગર વ્યાપ્ત હોય એવું સર્વસામાન્ય દૂષણ છે ભ્રષ્ટાચાર. હવે તો એ ગુનો છે એવું જ ભૂલાઈ ગયું છે, કારણ કે એમાં પકડાયેલાને ય ગુન્હેગાર સાહિત કરવામાં વર્ષો વહી જાય છે.
આવા વાતાવરણમાં તહેવારો દરમિયાન મળતી ભેટ-સોગાદને ભ્રષ્ટાચાર ન જ કહેવાય એવું કહેનારા ય મળ્યા. અરે, એવું કહેનારા ય છે કે, અમે તો અમારી જે જરૂરિયાત હોય એ જ માંગીએ છીએ, વધારાનું કૈં લેતા નથી. ઘરમાં પરદા લગાડવાના હોય તો એ જ માંગીએ-બારીના જોઈએ તો બારણાના ન માંગીએ. પછી ભલે, આપનાર મેચીંગ જાળવવા આપે તો જુદી વાત છે ! બાર મહિનાનો પગાર ખાનાર પણ, રજાના દિવસે પત્ની-બાળતો સાથે પોતાના ખર્ચે પ્રવાસ કરવામાં નાનમ ગણે છે, કારણ કે પત્ની મહેણું મારે છે ! એમના જ એક સહકર્મીનો પ્રવાસ ખર્ચ કોઈ આપે છે ! તો તમે ઓફિસમાં જઈને શું કરો છો ? જીવનસાથીનો ધર્મ છે જીવનમાં સુખનો અનુભવ કરાવવો. સુખ જન્મે છે શાંતિમાંથી. એને બદલે શાંતિનો જ ભોગ લે તેવી કચકચમાં સગવડ માટેની દોડ શરૂ થાય છે ને સુખ તો ક્યાંય પાછળ રહી જાય છે.
આવું થાય છે એનું કારણ છે અભાવને રડવાનો સ્વભાવ. જે છે તેનો સંતોષ નથી. જે નથી તેની ભૂખ છે. ને આ ભૂખ તો કદી સંતોષાવાની જ નથી. પગે ચાલતા ત્યારે સાયકલની ઇચ્છા હતી, હવે મોટરકાર છે તો મોડલ જૂનું લાગે છે ! ઇચ્છા હતી ત્યાં સુધી ઠીક હતું, હવે ઇર્ષ્યા જાગી છે. સરખામણી થાય છે, એટલે જે છે તે ઓછું જ પડે છે. જે છે એનો આનંદ જ નથી. જે નથી એની પીડા જંપવા નથી દેતી. ભેટના ખોળાની સાઈઝમાં ફેર પડે તેની નોંધ મન લે છે. અને વધારે મોટા ખોળાને મેળવવા માટેની રમત શરૂ થાય છે. આ સ્પર્ધાએ સંતોષનો ભોગ લીધો છે. શાંતિનો અંત આણ્યો છે. સુખનો અર્થ સગવડ બનાવી દીધો છે. અને એ સગવડ ભોગવવાનો સમય તો પેલી સ્પર્ધા ખાઈ ગઈ છે.
લાંચરૂશ્વત તરીકે કલ્પના બહારનો રૂપિયો બજારમાં વહેવારરૂપે આવ્યો છે. મીઠાઈના બોક્સની મીઠાઈ તો હવે ક્યાંય વિસરાઈગઈ છે. હવે તો વિદેશયાત્રાઓના આનંદ છલકે છે. જેવું મોં એવો કોળિયોના દિવસો ગયા. હવે તો પેટ કરતાંય વધારે થાળ પીરસાય છે. સમજીને આપનારા છે. ન સમજે એની પાસેથી પડાવનારા ય છે. અણસમજુને સમજાવનારા વચેટિયા પણ છે. ભ્રષ્ટાચારના આ વ્યવહારને પાર પાડવા આવશ્યક પાત્રોને રૂપાલા પદનામ પણ મળી ગયા છે. અને એનું ગૌરવ પણ અનુભવાય છે. મોટું કામ, ઓછા ખર્ચે, વઘુ ઝડપથી પાર પાડવાના કૌશલ્યની કંિમત ઉંચી ચૂકવાય છે, અને નિષ્ફળ જનારા ખોવાઈ જાય છે.
એક જમાનામાં રાજવીઓ હતા. એમનો રાજસી ઠાઠ હતો. પ્રજા એમનો આદર કરતી. રાજાના વટનો સહજ સ્વીકાર હતો. પછી શ્રેષ્ઠીઓ આવ્યા. એમણે પરિશ્રમ અને કુનેહથી વેપાર-ઉદ્યોગ શરૂ કર્યા અને જમાવ્યા. એમના નફામાંથી સમાજના ઉત્કર્ષ માટે યોગદાન આપ્યું. પોતાના કર્મચારીઓ સાથે જીવનભર જોડાયેલા રહ્યા. એમની આ પ્રતિષ્ઠાએ એમને સ્વયંભૂ માન અપાવ્યું. જેનો લાભ એમની પછીની પેઢીને ય મળ્યો. જેમને જાળવતા ન આવડ્યો એમણે ખોયો પણ ખરો. પછી સમાજે જે નવધનપતિ જોયા એમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓની સાથે સાથે બિલ્ડર ઉમેરાયા. વહીવટીતંત્રના પદાધિકારીઓ પણ ભળ્યા. એમાં મીડીયાકર્મીઓ પણ આવ્યા. કલા અને રમતજગતના પાત્રો ઉમેરાયા. હવે આજનો આ ધનપતિ વર્ગ છે. એમની પાસે આવેલું ધન એમા મનને પણ સ્પર્શી રહ્યું છે.
કોર્પોરેટ જગતની કાર્યશૈલી ધાર્યું પંખી પાડે છે. અહીં સફળ ‘એક્ઝિક્યુટીવ’ની એક નવો જ વર્ગ રચાઈ રહ્યો છે. એ શિક્ષિત છે. કાર્યદક્ષ છે. એમના મન પર કામનો નશો છવાયેલો છે. આ લોકો ઘડિયાળને જોઈને નોકરી નથી કરતા. કામ પૂરું થાય ત્યારે દિવસ પૂરો થયો ગણે છે. વિશાળ સરકારી યંત્ર તંત્રને મુશ્કેલ લાગતું કામ આ લોકો પાર પાડી શકે છે. આ નવી પેઢી છે. એ પોતાની કાર્યદક્ષતાને સતત ધાર કાઢતી રહે છે. એ સફળ છે અને એનો એમને ગર્વ પણ છે. ટેબલની પેલી બાજુ બેઠેલાની પાત્રતા અને આવડતથી એ અજાણ નથી અને એની કંિમત આંકવાની ને ચૂકવવાની પોતાની ક્ષમતાથી એ પરિચિત છે. રકમ ચૂકવાય છે. કામ થાય છે. આ રીતે ભ્રષ્ટાચાર વહેવાર બની જાય છે. ત્યારે રાજીવ ગાંધી યાદ આવે છે ઃ ભ્રષ્ટાચાર વૈશ્વિક છે. ને એને વૈશ્વિક બનાવવામાં આપણા યોગદાનનો વિચાર આવે છે ત્યારે હંિમતથી કહી નથી શકાતું ઃ એક બે ને સાડાત્રણ !
|