
પરણ્યા પછી સપ્તપદીના સંકલ્પો અને સ્નેહસંબંધો તૂટવાની નોબત ન આવે તે માટે હસ્તમેળાપ પહેલાં જ યુવક-યુવતીએ મનમેળાપની ખાતરી કરી લેવી જોઈએ
આજથી અડધી સદી પહેલાંની આપણી સામાજિક સ્થિતિમાં, સમાજમાં પ્રચલિત વિધિ નિષેધોમાં ઘણા ફેરફારો થવા પામ્યા છે. અને દાંપત્યજીવન તથા કુટુંબજીવન પણ એથી અસ્પૃશ્ય નથી રહ્યું. સંયુક્ત કુટુંબનું વર્ચસ્વ આજે લગભગ લુપ્ત થવા આવ્યું છે. પહેલાંના જમાનામાં છોકરા-છોકરીનાં લગ્ન મા-બાપ અથવા અન્ય વડીલો જ ગોઠવી આપતાં. છોકરા-છોકરીને એ બાબતમાં પૂછવાની પણ કોઈને જરૂર ન લાગતી. એ જ રીતે છોકરા-છોકરીઓ પણ પોતાને જીવનભર સ્પર્શતી આ ગોઠવણ આજ્ઞાંકિતપણે સ્વીકારી લેતાં, એ અંગે વડીલો સમક્ષ હોઠ ફફડાવવાની યે હંિમત ન કરતાં. લગ્ન પછી પણ નવદંપતીને સામાજિક કે કૌટુંબિક કશી ખાસ જવાબદારી ન રહેતી, કુટુંબનાં વડીલો જ એ બોજ ઉપાડતાં. સંયુક્ત કુટુંબમાં મા-બાપને અન્ય વડીલોની દેખરેખ અને રાહબરીને લઈને આવી જવાબદારીઓની તાણ નવદંપતી પર નહિ જેવી જ રહેતી.
પણ આજે એ જમાનો નથી રહ્યો. હાલના બદલાયેલા જમાનામાં પતિ કે પત્નીની પસંદગીનો પ્રશ્વ્ન સામાન્યતઃ છોકરા-છોકરીઓની સ્વતંત્ર ઇચ્છા પર છોડી દેવાનું વલણ વધતું જાય છે, કારણ હવે સંયુક્ત કુટુંબનું વર્ચસ્વ તૂટતું જાય છે. અને એ જ કારણે નવદંપતીએ પોતાનું ભાવિ જીવન પણ એમણે જાતે જ ભોગવવાનું આવે છે. આ બદલાયેલી પરિસ્થિતિમાં લગ્નોત્સુક યુવાન-યુવતી બન્નેએ પરિસ્થિતિથી પુરા વાકેફ થવું અનિવાર્ય ગણાય.
લગ્ન જીવનને અનેક પાસાં છે, આપણે અહીં એનું એક સામાન્ય પાસું ચર્ચીએ- ખાસ કરીને શારીરિક પાસુ, જેના તરફ જોઈએ તેટલું લક્ષ અપાતું ભાગ્યે જ જોવામાં આવે છે. પરણીને પુરુષે પારકી છોકરીને ઘરમાં લાવવાની હોય છે. એટલે એની ગૃહવિષયક અને કૌટુંબિક ભૂમિકા એણે જાળવવી જરૂરી છે. દા. ત. એનાં મા-બાપનું લગ્નજીવન પરસ્પર સંતુષ્ટ અને સુખદ રહેતું આવ્યું છે કે બન્ને એકબીજા સાથે લડતાં-ઝઘડતાં આવ્યાં છે? એવી રીતે કન્યાએ પણ પતિનાં માતા-પિતા અને એમના કૌટુંબિક જીવન વિષે જાણવું જરૂરી છે. આ પછી લગ્ન સંબંધથી જોડાઈને પોતે કેવું જીવન જીવવા માગે છે એનો નિર્ણય કરવો. પોતાનાં મા-બાપ જેવું કે પછી તેમની પોતાની ઇચ્છા મુજબનું.
પ્રત્યેક માનવીના સ્વભાવમાં કંઈક વિશેષતા કે વિચિત્રતા રહેલી જ હોય છે. કેટલાકમાં કશી ખોડ પણ રહેલી હોય છે. પતિ યા પત્નીમાં આદત યા ઘરેડના જોરે આવી કોઈ સ્વભાવગત ખોડ કે વિચિત્રતા બંધાઈ જવા પામી હોય તો એનું નિવારણ શક્ય છે, પરંતુ જો એ વારસાગત હોય તો? તો એનું નિવારણ એટલું સરળ નથી હોતું. કહેવાનો આશય એ નથી કે વારસાગત હોવાને કારણે એ નિવારી જ ન શકાય, પરંતુ વારસાગત જડ ઘાલી ગયેલી આદત કે ઘરેડ નિવારવી મુશ્કેલ થઈ પડે છે. જો આવી સ્વભાવગત ખોડ કે વિચિત્રતાની પતિ કે પત્નીને પહેલેથી જાણ હોય અને જાણપૂર્વક સંબંધ જોડાયો હોય તો પછી સહજીવન કલેશમય ન બને એટલા માટે તે સહન કરી લેવા અને સહાનુભૂતિ પૂર્વક તે નિવારવા તત્પર રહેવું જોઈએ.
આજનાં મોંઘવારી અને બેકારીને અનુલક્ષી પરણનાર યુવાન-યુવતીએ સંતાન વિષયક પોતપોતાના ખ્યાલોની પણ નિખાલસપણે પરસ્પર ચર્ચા કરી લેવી જોઈએ, અને સંતાનનાં મા-બાપ બન્યા પછી બન્નેએ તેનાં ઉછેર આરોગ્ય અને કેળવણીની સંયુક્ત જવાબદારી ઉપાડી લેવી જોઈએ.
ગૃહસ્થજીવનમાં સામાજિક અને આર્થિક જવાબદારીઓનો બોજો પતિ ઉઠાવતો હોય છે, જ્યારે ઘર-કુટુંબનો બોજો પત્ની ઉઠાવતી હોય છે. ઘર અને કુટુંબનો સ્ત્રીને મન જે અર્થ થાય છે તેની પુરુષને ઘણીવાર કલ્પના સુઘ્ધાં નથી હોતી. સ્ત્રી એની સીધી અસર ઝીલતી હોય છે. કારણ તેને તો ચોવીસ કલાક એની વચ્ચે જ કાઢવાના હોય છે. પુરુષને પોતાની જીવનસંગિનીની પોતાની ઘરસંસાર પ્રત્યેની આટલી ભાગીદારીનું ભાન કેળવી ઘરમાં તેના આનંદ અને સુવિધા પાછળ પૂરતું લક્ષ આપવું જોઈએ. સ્ત્રી પોતાના ગૃહજીવનના ટકાવ નિભાવ વિષયક અસ્થિરતા કે બિન સલામતી સહી શકતી નથી.સંતાનની ઝંખના કરતા દંપતી સંતાન સુખ ન મળતા જીવનનો મોટામાં મોટો આનંદ ગુમાવી બેસે છે. સ્ત્રીની સંતાનોત્પત્તિ જેના પર આધાર રાખે છે એ પ્રજનન અવયવોનું નવપરિણીતોને પૂર્વજ્ઞાન હોવું જરૂરી છે. સહજીવનનાં સાથીઓને એકબીજાની શરીર રચનાનો પણ પુરો ખ્યાલ ન હોય એ કેવું? સંતાન ભૂખ તો હરેક દંપત્તીને હોય જ. એટલે લગ્નસંબંધથી જોડાતાં પહેલાં પ્રજનન ક્ષમતા માટે બન્ને જણ લગ્ન પહેલાં જ દાકતરી તપાસ કરાવી લે એ ઇષ્ટ છે, જેથી એમાં કશો અંતરાય નડતો હોય તો એથી પહેલેથી માહિતગાર બની વેળાસર એના નિવારણના ઉપાયો કરી શકે. આવી દાકતરી પૂર્વ તપાસ દરમિયાન કદાચ એવું સાબિત થાય કે ભવિષ્યમાં સંતાન થવાની શક્યતા જ નથી, તો એ વિષે પણ બન્ને જણ પહેલેથી જ ચોખવટ કરીને પરણવા કે ન પરણવાનો નિર્ણય લઈ શકે. અમુક પરિસ્થિતિમાં લગ્નોત્સુક યુવાન યુવતીના લોહીની તપાસ પણ લગ્ન પહેલાં જરૂરી રહે છે જેથી બેમાંના કોઈને કશો ગુપ્ત રોગ હોય તો તેનો ખ્યાલ આવી શકે. સ્ત્રીના લોહીની આ રીતની તપાસ તો ઊલટી બેવડી મદદરૂપ નીવડે છે. કારણ કે લોહીમાં રહેલું ‘આર. એચ.’ તત્ત્વ રક્ત સંયોગમાં જ નહિ, પરંતુ ગર્ભ ધારણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ તત્ત્વ માતાના લોહીમાં ન હોયને પિતાના તથા ગર્ભસ્થ બાળકના લોહીમાં હોય, તો માતાના લોહીમાં જેને ‘એન્ટીબોડીઝ’ નામે ઓળખવામાં આવે છે એવા પ્રતિગુણી તત્ત્વો પેદા થઈને બાળકના લોહીના રક્ત કણોનો નાશ કરી દે છે. અલબત્ત, કોઈ કોઈ દાખલામાં જ આમ બનવા પામે છે, પણ જેમની બાબતમાં તે બને છે એમને માટે તો એ જબરા દુઃખ અને કરૂણાનો વિષય બની રહે છે. હવે આપણે લગ્નનું શારીરિક પાસું તપાસીએ. આગળ ઉપર દર્શાવી ચુક્યા મુજબ લગ્ન પહેલાં લગ્નોત્સુક યુવાન-યુવતીની શારીરિક તપાસ અનિવાર્ય અને પુરેપુરી થવી જોઈએ.
માથાના વાળથી તે પગના નખ સુધીની સ્ત્રીની શરીરની અંદર આવેલા ગર્ભાશય વગેરે ભાગોનો યે આ તપાસમાં સમાવેશ થઈ જવા પામે છે. આ તપાસ લગ્ન પછી નહિ પણ લગ્ન પહેલા જ થઈ જાય એ લગ્નોત્સુક યુવાન-યુવતી બન્નેને માટે ઇષ્ટ છે, કારણ કે લગ્નજીવનની શારીરિક બાજુને લગતાં ઘણાં ખરા ંસંતાપ અને નિરાશાઓનું નિવારણ એથી સરળ બને છે. આની સાથોસાથ સ્ત્રી પુરુષ સંબંધ વિષેનું આવશ્યક જ્ઞાન પણ એમણે મેળવી લેવું જરૂરી છે. આ સંબંધ વિષેનું અજ્ઞાન કેટલીય પ્રચ્છન્ન ભીતિઓ અને મુંઝવણો જન્માવતું હોઈને એ અંગેનં પૂર્વજ્ઞાન એ દૂર કરવામાં સહાયક નીવડે છે.
આ સૂચન પર ખાસ ભાર આપવાનું કારણ એ છે કે કેટલીક શારીરિક બાબતો લગ્નજીવનમાં વિસંવાદનું કારણ બનતી હોય તેનું પહેલેથી જ નિદાન કરી લગ્નજીવનમાં સંવાદ સ્થાપવો જોઈએ. સ્ત્રી-પુરુષની જનનેન્દ્રિયો અને તેમના કાર્ય વિષેનું અજ્ઞાન પણ ઘણીવાર મુંઝવણ ઊભી કરે છે દા. ત. સ્ત્રીના યોનિપટલને જ લઈએ. આમ તો એ ગ્રન્થિઓનું જાળું હોઈ તે પાતળો અને સ્થિતિ સ્થાપક હોવાથી સમાગમમાં કશી અડચણ ઊભી નથી કરતો. પણ કેટલીક સ્ત્રીઓમાં તે જાડો અને સ્થિતિ સ્થાપક ન હોઈ અડચણ ઊભી કરે છે. એવી પરિસ્થિતિમાં દાકતરી સલાહ અનિવાર્ય બને છે.
જે યુવાન યુવતીઓ પોતાના ભાવિ દાંપત્ય જીવન માટેની કશી નિશ્ચિત યોજના કે પુખ્ત વિચારણા વિના જ પરણી બેસતાં હોય છે. તેમનું લગ્ન જીવન વિસંવાદી બની જવાનો સંભવ વિશેષ રહે છે. લગ્ન એ કંઈ કાચી બુઘ્ધિએ નિર્ણય લઈ લેવાની વસ્તુ નથી કે ઝડપટ લાડુ ખાઈ જવાની રમત નથી. તેમાં બે આત્મા, બે શરીરનું આજન્મ મિલન હોય છે. આ મિલાપ આનંદદાયી અને સુખદાયી નીવડે તે માટે કેટલીક પ્રાથમિક તૈયારીઓ કરવી જ રહી.
વારિણી
|