
કચ્છના માંડવીમાં વર્ષો જૂનું ઘર તોડી નવા
લાખોનું સોના-ચાંદી મળ્યાની લોકચર્ચા વચ્ચે મકાન માલિકે થોડી ચાંદી અને પોલીસે દસ લાખના સોના-ચાંદી મળ્યાનું કબુલ કર્યું
માંડવી,તા.૩
જમીનમાં દટાયેલી માટલીઓમાં સોના-ચાંદી નિકળ્યા આવી વાર્તાઓ લગભગ બધા જ લોકોએ બચપણમાં સાંભળી હશે, ત્યારે આવો બનાવ આજે માંડવી શહેરમાં બનતા આ માટલીમાં રાખેલા સોના-ચાંદીને જોવા માટે લોકોની ભીડ જામી ગઈ હતી. પોલીસે દોઢ કિલો મીક્ષ સોનું-ચાંદી હોવાનું જણાવ્યું છે. જો કે લોકચર્ચા મુજબ સોના અને ચાંદી ભરેલી ઘણી બધી માટલીઓ મળી આવી છે, પરંતુ પોલીસ અને મકાન માલિક વાતને દબાવી રહ્યા છે.
કોઈપણ રસપ્રદ બાળવાર્તાની કહાની મુજબ માંડવીના સૂરૈયા કુવા પાસે આવેલા ખારવા વિસ્તારમાં એક ૧૦૦ વર્ષ જૂનું મકાન સુંદરભાઈ સૌદાગરની માલિકીનું આવેલું છે પણ તેમણે તાજેતરમાં આ મકાન માંડવીના પ્રવિણભાઈ ઝાલા અને તેમના જમાઈને વેંચી દીધેલું હતું. છેલ્લા ઘણા સમયથી અહીં નવું મકાન બનાવવાનું કામ કાજ ચાલું હતું. કોન્ટ્રાકટર ગઢવીભાઈ આ મકાનને કામ કરતા હતા. આજે સવારે મકાનના પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે એક મજૂરે કોદાડી મારતા પથ્થર જેવું નિકળ્યું હતું. તેણે હાથથી માટી હટાવી તો તેમાં વર્ષો જૂનું માટીનું મટકું ઢંકાયેલું પડયું હતું. તેણે અન્ય મજૂરને બોલાવી આખું મટકું વ્યવસ્થિત કાઢીને તેમા ઉપર ઢંકાયેલ ઠીકરૂં હટાવતા બધાના હોંશ ઉડી ગયા હતા. કારણ કે અંદર સોના અને ચાંદી ભરેલા હતા. ડરી ગયેલા મજૂરોને ગઢવીભાઈને જાણ કરી હતી અને તેમણે મુળ મકાન માલિકને બોલાવી તમામ ઘટના વિશે જણાવતા તાત્કાલીક પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી.
આ વિશે મકાન માલિક પ્રવિણભાઈને પુછતા તેમણે કહ્યું કે, હા થોડી ઘણી ચાંદી નિકળી છે પણ અત્યારે આ સામાન મારા જમાઈ પાસે હોવાથી વઘુ કોઈ માહિતી મળી શકી નથી. તો વળી તપાસ કરતા પોલીસ કર્મચારી સમાભાઈએ જણાવ્યું કે,આશરે દોઢ કિલો સોનું-ચાંદી મળી આવ્યું છે જેની કંિમત હાલ ૧૦ લાખને વટી જાય છે પરંતુ કેટલું સોનું ને કેટલું ચાંદી તે વિશે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો.
સવારે બનેલી ઘટના વિશે એક પણ સરકારી અધિકારી ઘટનાસ્થળે ન પહોંચતા પણ અનેક તર્ક - વિતર્ક સર્જાયા છે. ત્યાં હાજર લોકોએ કહ્યું કે, મટકીમાં ઘણું બઘું સોનું અને ચાંદી મળ્યા છે પરંતુ વાતને દબાવી દેવામાં આવી છે. બનાવ બાદ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા પરંતુ પોલીસ અને મકાન માલિક તમામને ત્યાંથી ભગાડયા હોવાને પણ જાણવા મળ્યું છે.